Ahmedabad: ટીવી જોવાના ઝઘડામાં પત્નીએ છરીના ઘા મારી પતિની હત્યા કરી નાખી
હત્યાની દિવસે વિજયસિંહ યાદવ ટીવી જોતા હતા ત્યારે ચેનલ બંધ થઈ ગઈ હતી તો તે પત્ની અને બાળકો પાસે ગયા અને કહેવા લાગ્યો કે તમે જ ચેનલ બંધ કરી છે. આટલું કહીને તેમના 10 વર્ષના દીકરાને માર મારવા લાગ્યો હતો. દીકરાને મારમાંથી છોડાવવા પત્ની વચ્ચે પડી હતી.
અમદાવાદ (Ahmedabad) માં પત્ની (wife) એ છરીના ઘા ઝીંકીને પતિની હત્યા કરી નાખી છે. ટીવીનુ ચેનલ બંધ થઈ જતા પતિ (husband) એ દીકરાને માર માર્યો હતો જે જોઈને પત્ની દીકરાને બચાવવા વચ્ચે પડી હતી અને તેણે પતિ પર છરીથી હુમલો કર્યો હતો, જેમા પતિનુ મોત નિપજ્યુ હતું. સોલા પોલીસ (Police) એ હત્યા (Murder) નો ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ મહિલા દિપમાલાએ પોતાના પતિની જ હત્યા કરી નાખી છે. ઘટનાની વાત કરીએ તો ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જય અદિતિ સોસાયટીમાં વિજયસિંહ યાદવ પોતાના પત્ની દીપમાલા એક દીકરો તથા 2 દીકરી સાથે રહેતા હતા. હત્યાની દિવસે વિજયસિંહ યાદવ ટીવી જોતા હતા ત્યારે ચેનલ બંધ થઈ ગઈ હતી તો તે પત્ની અને બાળકો પાસે ગયા અને કહેવા લાગ્યો કે તમે જ ચેનલ બંધ કરી છે. આટલું કહીને તેમના 10 વર્ષના દીકરાને માર મારવા લાગ્યો હતો. દીકરાને મારમાંથી છોડાવવા પત્ની વચ્ચે પડી હતી. પત્નીના હાથમાં નજીકમાં પડેલ છરી આવતા પત્નીએ છરી પતિના છાતી પર મારી હતી. છરી વાગતા જ વિજયસિંહ જમીન પર ઢળી પડ્યા હતા અને હોસ્પીટલમા સારવાર લઈ જતા તેમનુ મોત નિપજ્યું હતું.
મૃતક વિજયસિંહ યાદવ મૂળ હરિયાણાના રહેવાસી છે. વિજયસિંહ અને દિપમાલાનો 19 વર્ષનું લગ્ન જીવન હતું અને ત્રણ સંતાન સાથે સુખી જીવન જીવતા હતા. વિજયસિંહ યાદવ એ.એમ.ટી.એસ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. પરંતુ કોઈ કારણથી 15 દિવસથી તેમની નોકરી છૂટી ગઈ હતી. અને તેઓ ઘરે બેકાર હતા. આ બેકારીના કારણે વિજયસિંહ પોતાની પત્ની અને બાળકોને સતત માર મારતા હતા. ઘટનાના દિવસે પણ ચેનલ બંધ થવાની સામાન્ય બાબતે પોતાના દીકરાને માર મારતા પત્નીએ હત્યા કરી દીધી હતી. સામાન્ય રીતે પતિ દ્વારા પત્ની પર ત્રાસ ગુજારવાની કે મારામારી કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ આ ઘટના તેનાથી વિપરીત છે.
ગુસ્સા અને ઉશ્કેરાટના કારણે પત્નીને જેલ હવાલે જવુ પડયુ તો પતિને જીદંગી ખોવી પડી છે, જયારે ત્રણ સંતાનોને માતા-પિતાની છત્રછાયા ખોવી પડી છે. હાલમાં સોલા પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.