Ahmedabad: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો કરાવ્યો શુભારંભ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવ્યો હતો.
Ahmedabad: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન (PMJAY-MA) યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ થઇ ચોથા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થતા દર્દીઓ માટે રીસ્પોન્સ ટાઇમ ઝડપી બને, દર્દીને ત્વરીત સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર પહેલ હાથ ધરી હોવાનું જણાવી PMJAY-MA યોજનાના લાભાર્થીઓના હિતાર્થે સરકારી હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર વ્યવસ્થાપનનો પણ મંત્રીશ્રીએ લોકાર્પણ કરાવ્યું હતુ.
રાજ્યમાં 100 દિવસ ચાલનારા આ મેગાડ્રાઇવમાં 80 લાખ કુટુંબો એટલે કે અંદાજીત 4 કરોડ વ્યક્તિઓને આવરી લઇ લાભાન્વિત કરવામાં આવશે તેમ જણાવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ ડ્રાઇવથી જન-જન માં પ્રચલિત બનાવી મહત્તમ લોકોને લાભ આપવા અનુરોધ કર્યો હતો. હવેથી 4 લાખની આવકમર્યાદા ધરાવતા કુંટુબોને આ કાર્ડ કાઢી આપવામાં આવશે. અગાઉ કુટુંબદીઠ એક જ કાર્ડ કાઢવામાં આવતુ હતુ જે હવેથી વ્યક્તિ દીઠ અલાયદુ કાર્ડ પણ ઉપલ્બધ કરાશે.
આ ડ્રાઇવ અંતર્ગત નિયત માપદંડો ધરાવતા લાભાર્થીઓને જિલ્લા હોસ્પિટલ, સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સી.એચ.સી, સંલગ્ન ખાનગી હોસ્પિટલો, સી.એસ.સી., (n) કોડ સેન્ટર, UTI-ITSL,E-gram પરથી PMJAY-MA કાર્ડ કાઢી આપવામાં આવશે તેમ મંત્રીશ્રી એ જણાવ્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને યાદ કરતા તેમણે કહ્યું કે, ”નરેન્દ્રભાઇએ તેમના કાર્યકાળ દરમિયાન જનહિતકારી અભિગમ દાખવી અને ગરીબોના બેલી બનીને અનેકવિધ નવતર પહેલ ,નિર્ણયો, યોજનાઓ અને સેવાઓનો કાર્યરત કરી છે. વર્ષ 2012માં “મા અને મા વાત્સલ્ય” યોજનાને અમલી બનાવીને ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને કેશલેસ આરોગ્ય સેવાઓ અને સારવાર મળે તેવું સુદ્રઢ આયોજન હાથ ધર્યુ હતુ.
આ યોજનાથી આકર્ષિત થઇને અમેરિકાના તત્કાલિન પ્રમુક શ્રી ઓબામાએ પણ “ઓબામાકેર” સેવાનો આરંભ કર્યો હતો. નરેન્દ્રભાઇ પ્રધાનમંત્રી બન્યા ત્યારે વર્ષ 2018માં દેશભરમાં “પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન” યોજનાનું અમલીકરણ કરાવીને કરોડો જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને આરોગ્યવિષયક સેવાઓ થી આયુષ્ય બક્ષ્યુ છે. આજે આ યોજના જન-જનમાં પ્રચલિત બની છે.
PMJAY-MA યોજનાનું સંકલન ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વરદાનરૂપ સાબિત થશે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે જ અગત્યની જાહેરાત કરતા કહ્યુ હતુ કે, PMJAY-MA યોજનામાં મળતા નાણામાંથી 75 ટકા રકમનો સરકારી હોસ્પિટલને સુદ્રઢ બનાવવામાં ઉપયોગ કરવામાં આવશે.બાકીની 25 ટકા રકમને સરકારી હોસ્પિટલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફની કામગીરીને પ્રોત્સાહિત કરવા ઇન્સેન્ટિવરૂપે ઉપયોગ કરવામાં આવશે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, આજનો દિવસ આયુષ્યમાન દિવસ તરીકે ઉજવાઇ રહ્યો છે ત્યારે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહની “આયુષ્માન સપ્તાહ” તરીકે ઉજવણી કરીને મહત્તમ લોકોને આ યોજનાથી લાભાન્વિત કરવામાં આવશે.
આરોગ્ય સેવાઓને વધુ સરળ બનાવીને દિનબંધુઓના સર્વાંગી વિકાસ અને આરોગ્યની જાળવણી માટે સંકલ્પબધ્ધ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેમાં આજે વધુ એક સેવાનો ઉમેરો થયો છે. PMJAY-MA યોજના મેગાડ્રાઇવ ફક્ત એક ડ્રાઇવ નહીં પરંતુ માનવતાવાદી સેવાનું મહાયજ્ઞ છે. વધુમાં વધુ લોકોને આ યજ્ઞમાં જોડાવવા મંત્રી નિમાષાબેન સુથારે આહવાન કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં પ્રતિકાત્મકરૂપે કોરોનામાં નિરાધાર બનેલા બાળકો અને અન્ય લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમાર,અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલભાઇ ધામેલીયા, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રેમ્યા મોહન, સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલના ડાયરેક્ટર, સુપ્રીટેન્ડેન્ટ, ડિન સહિત જીલ્લાની વિવિધ હોસ્પિટલમાં હેલ્થકેરવર્કસ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, PMJAY-MA યોજના હેઠલ રાજ્યની 1872 સરકારી અને 610 ખાનગી આમ કુલ 2482 હોસ્પિટલોમાં કેન્સર,હ્યદયરોગ, કિડનીને લગતા ગંભીર રોગો, બાળ રોગો, આકસ્મિક સારવાર, જોઇન્ટ રીપલેસમેન્ટ, ન્યુરો સર્જરી, ડાયાલિસીસ, પ્રસુતિ વગેરે જેવી ગંભીર અને અતિગંભીર બીમારીઓની કુલ 2681 જેટલી નિયત કરેલ પ્રોસીજર / ઓપરેશનને જેવી આરોગ્ય વિષયક સેવાઓ દર્દીઓને સરળતાથી સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.