Ahmedabad : ત્રીજી લહેરની શકયતા સાથે પોલીસ વિભાગની તૈયારી, ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલનું થશે રીનોવેશન
શહેર પોલીસ વિભાગ તેમના કર્મચારીઓ માટે ચિંતામાં મુકાયું અને કર્મચારીઓને કોરોના કાળમાં વ્યવસ્થા મળી રહે તેવા પ્રયાસ હાથ ધર્યા. પ્રયાસના ભાગ રૂપે પોલીસ વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલનું રીનોવેશન કરાશે.
શહેરમાં બીજી લહેરમાં સતત કોરોના કેસ (Corona Cases) ઘટી રહ્યા છે, પરંતુ ત્રીજી લહેરની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. જેના માટે અલગ અલગ વિભાગ સાથે સરકાર વ્યવસ્થાની કામગીરીમાં લાગ્યું છે. ત્યાં શહેર પોલીસ (Police) વિભાગ તેમના કર્મચારીઓ માટે ચિંતામાં મુકાયું અને કર્મચારીઓને કોરોના કાળમાં વ્યવસ્થા મળી રહે તેવા પ્રયાસ હાથ ધર્યા.
પ્રયાસના ભાગ રૂપે પોલીસ વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલનું રીનોવેશન કરાશે. જેને લઈને આજે પોલીસ કમિશનરે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં રીનોવેશનને લઈને ખાતમુર્હત પણ કર્યું. જેમાં વિવિધ ઝોનના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા.
શાહીબાગ પોલીસ હેડ કવાટર્સ સામે ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ આવેલી છે. જ્યાં અત્યાર સુધી પોલીસ કર્મચારીઓને OPD બેઝ પર સારવાર આપવામાં આવતી. પણ જે રીતે પહેલી અને બીજી લહેરમાં પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા તો કેટલાક મોતને ભેટ્યા. પોલીસ કર્મચારીઓને કોરોના થયા બાદ સારવાર મેળવવામાં હાલાકી પડતી હતી. આ તમામ બાબતોને ધ્યાને રાખીને વેલ્ફેર હોસ્પિટલના રીનોવેશનનો નિર્ણય પોલીસ વિભાગ દ્વારા કરાયો.
રીનોવેશન થતા જ્યાં OPD બેઝ સારવાર મળતી હતી, ત્યાં 20 ICU બેડ ઉભા કરાશે તો જનરલ વોર્ડ પણ ઉભો કરાશે. અંદાજે 50 જેટલા બેડ વેલ્ફેર હોસ્પિટલમાં ઉભા કરવામાં આવશે.
એટલું જ નહીં પણ જ્યાં બેડ હોય ત્યાં દવાની સુવિધાઓ પણ તે જ પ્રકારની હોવી જરૂરી છે જેને પણ ધ્યાને રાખી શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલમાં ગુજરાતના પોલીસ કર્મચારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યાં બેડ સાથે જરૂરી દવા, ઇન્જેક્શન અને ખાસ ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે લોડિંગ લિફ્ટ પણ બનાવાશે.
રીનોવેશન અંદાજે 4 કરોડના ખર્ચે કરવામાં આવશે. કામ લગભગ એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. જેથી જે શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે તે સમય દરમિયાન કે તે પહેલા સુવિધા ઉભી કરી પોલીસ કર્મચારીઓને સારવાર આપી જીવ બચાવી શકાય.
મહત્વનું છે કે બીજી લહેરમાં એટલે કે 1.1.2021 પછી હાલ સુધી 900 પોલીસ કર્મચારી કોરોના સંક્રમિત બન્યા છે તેમજ 6 કર્મચારીનું મોત નીપજ્યું છે. પહેલી લહેરમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી સંક્રમિત બન્યા હતા અને મોત પણ નિપજયા હતા. ત્યારે ત્રીજી લહેરમાં પોલીસ કર્મચારી સંક્રમિત ન થાય તેના પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. જો કર્મચારી કોરોના સંક્રમિત બને તો કર્મચારીને ઝડપી સારવાર આપી તેનો જીવ બચાવી શકાય.