Ahmedabad: રાણીપમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત, દોઢ વર્ષના લગ્ન જીવનનો કરૂણ અંજામ
Ahmedabad: રાણીપ વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દોઢ વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા. જો કે પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં આપઘાત કરી લીધો હોવાનુ સામે આવ્યુ છે.
અમદાવાદ (Ahmedabad)ના રાણીપ વિસ્તારમાં જૂના સ્વામિનારાયણ વાસમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Constable) ભાવનાબેન ડાભીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. સમગ્ર ઘટનાની વિગત અનુસાર ગુરુવારની સાંજે ભાવનાબેન અને તેમના પતિ ભદ્રેશભાઈ ઘરમાં હાજર હતા આ દરમિયાન ભદ્રેશભાઈ તેમના બેડરૂમમાં સુતા હતા જ્યારે ભાવનાબેનએ ડ્રોઈંગ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લીધો હતો. લગભગ સાંજે 7:00 વાગે ભદ્રેશભાઈ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે ભાવનાબેનને આત્મહત્યા કરેલી હાલતમાં જોયા અને તેમને રાણીપ પોલીસને જાણ કરી હતી. આપઘાતની સવારે ભાવના બેનએ કન્ટ્રોલમાં ફોન કરી નોકરી પર નહિ આવે તેવું કહ્યું હતું.
દોઢ વર્ષ પહેલા મહિલા કોન્સ્ટેબલના થયા હતા લગ્ન, ગૃહકંકાસમાં આપઘાતની આશંકા
ભાવનાબેન ડાભી 2016માં LRD તરીકે ભરતી થયા હતા. જ્યારે હાલમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. દોઢ વર્ષ પહેલા જ ભાવનાબેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ ડાભી સાથે થયા હતા. દોઢ વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ગૃહકંકાસ ચાલતો હતો. જેનાથી કંટાળીને ભાવનાબેનએ આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે પરંતુ પોલીસને આપઘાતને લઈને કોઈ અંતિમ ચિઠ્ઠી મળી આવી નથી.
મહત્વનું છે કે પાંચ દિવસ પહેલા જ આ પતિ પત્ની પાંચ દિવસની રજા પર હતા વતનમાં ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે સવારે ભાવનાબેનએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે પોતે નોકરી પર નહિ આવે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ મોડી સાંજે ભાવનાબેનએ આપઘાત કર્યો હતો. રાણીપ પોલીસે આ બંને પતિ પત્ની વચ્ચે કયા કારણસર કંકાસ ચાલી રહ્યો હતો તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક પાસેથી નથી મળી કોઈ સુસાઈડ નોટ
મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવના ડાભીના આપઘાત કેસમાં રાણીપ પોલીસે અકસ્માતે મોત નોંધીને તેના પતિ ભદ્રેશ ડાભીનું નિવેદન લઈને આત્મહત્યાના કારણને લઈને તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે ગોતામાં પણ એક પોલીસ કોન્સ્ટેબલે પરિવાર સાથે સામુહિક આપઘાત કર્યો હતો ત્યા એક જ સપ્તાહમાં વધુ એક પોલીસ કર્મચારીના આપઘાતથી પોલીસ બેડામાં શોક ફેલાયો છે. આ આત્મહત્યા પાછળ પારિવારિક સમસ્યા છે કે અન્ય કોઈ કારણ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.