Ahmedabad: કોરોનાના કેસ ઘટતા ટેસ્ટિંગ ડોમમાં કરાયો ઘટાડો, પહેલા કરતા હવે સંખ્યા અડધી કરી દેવાઈ
બીજી લહેરમાં કેસ બુલેટ ગતિએ વધતા બીજી લહેરમાં પ્રથમ 20 જેટલા ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમાં વધારો કરવામાં આવ્યો હતો અને છેલ્લે 120 જેટલા ટેસ્ટિંગ ડોમ શહેરમાં કાર્યરત કરવામાં આવ્યા.
અમદાવાદ (Ahmedabad)શહેર અને રાજ્યમાં કોરોનાના (Corona Virus) કેસ હજુ યથાવત છે. કોરોનાના કેસ જ્યારે બુલેટ ગતિએ વધી રહ્યા હતા, ત્યારે AMC દ્વારા તેને રોકવા સતત પ્રયાસો પણ કરાઈ રહ્યા હતા અને હાલમાં પણ કરાઈ રહ્યા છે. જે પ્રયાસના ભાગ રૂપે AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ટેસ્ટિંગ ડોમ (Testing Dome) ઉભા કરવામાં આવ્યા. જેથી વધુ લોકો ટેસ્ટિંગ કરાવી શકે અને કોરોનાના દર્દીને શોધી સારવાર આપી શકાય.
જેમાં બીજી લહેરમાં કેસ બુલેટ ગતિએ વધતા બીજી લહેરમાં પ્રથમ 20 જેટલા ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમાં વધારો કરવામાં આવ્યો હતો અને છેલ્લે 120 જેટલા ટેસ્ટિંગ ડોમ શહેરમાં કાર્યરત કરવામાં આવ્યા. બીજી લહેરમાં દરેકને કોરોના થયાનો કે તેમનાથી બીજાને કોરોના થવાનો ભય સતાવતો હતો. જે ભય વચ્ચે પ્રથમ 20 ટેસ્ટિંગ ડોમ શરૂ થતાં ડોમ બહાર લોકોની લાંબી કતારો લાગી. જેને પહોંચી વળવા ડોમમાં વધારો કરાયો હતો. જેના કારણે ટેસ્ટિંગ વધતા કેસમાં પણ વધારો નોંધાયો.
એક સમય એવો આવ્યો કે શહેરમાં જે કેસ બીજી લહેર પહેલા નહીંવત થયા હતા, તે વધી 5 હજારને પાર આંકડો પહોંચ્યો. જેની પર કાબુ મેળવવા સરકારે મીની લોકડાઉન લાગુ કરવું પડ્યું. મીની લોકડાઉન લાગુ કરતા અને લોકોની અવર જવર ઓછી થતાં બજારોમાં ભીડ બંધ થતાં તેની અસર પણ દેખાઈ અને જે કેસ 5 હજારને પાર પહોંચ્યા હતા, તે કેસનો આંકડો હાલ 250ની આસપાસ પહોંચી ગયો. એટલે કે કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો.
જે કેસમાં ઘટાડો થતા AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ઉભા કરવામાં આવેલા ટેસ્ટિંગ ડોમમાં પણ ઘટાડો કરી દેવાયો. શહેરમાં થોડા દિવસ પહેલા 120 ડોમ કાર્યરત હતા, તેના બદલે હવે માત્ર 50 ઉપર ડોમ કાર્યરત છે. એટલું જ નહીં પણ AMC દ્વારા બીજી લહેરમાં વધતા કેસને લઈને અને હોસ્પિટલ બહાર લાગતી દર્દીઓની લાઈનને લઈને પહોંચી વળવા રેલવે સાથે મળી રેલવે આઈસોલેશન કોચ શરૂ કર્યા હતા.
જેમાં ચંદલોડિયા અને સાબરમતી નદી પર 19 કોચમાં 300 દર્દી સારવાર લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી. જેની પાછળ લાખો રૂપિયા ખર્ચ પણ કર્યો હતો. જે કોચમાં એક પણ દર્દી નહીં આવતા અને કેસમાં ઘટાડો થતાં કોચ બંધ કરી દેવા પડ્યા છે. જેના કારણે લાખો રૂપિયા વેડફાયા છે. એટલું જ નહીં પણ પ્રથમ લહેરમાં કેસ વધત કોચ શરૂ કરાયા પણ તેનો કોઈ ઉપયોગ થયો ન હતો અને કોચ ધૂળ ખાધા હતા.
હવે બીજી લહેરમા જ્યારે હોમ આઈસોલેશનની તેમજ દાખલ થનારની સંખ્યા વધુ હતી, જેમાં આ પ્રકારની સુવિધાની જરૂર હતી પણ જ્યારે કેસ ઘટતા હતા, ત્યારે કોચ શરૂ કર્યા તેમજ ભર ગરમી વચ્ચે રેલવેમાં કોચ શરૂ કરતાં દર્દી આવશે કે નહીં તે પણ પ્રશ્ન હતો. જોકે તેમ છતાં કુલર મૂકી અને ઠંડક રહે તેવી વ્યવસ્થા પણ કરાઈ. જોકે તે છતાં પણ કોઈ દર્દી આવ્યું નથી અને આખરે કોચ વગર ઉપયોગે બંધ કરવાનો વારો આવ્યો. જે વસ્તુએ તંત્રના અણઘડ આયોજનની પોલ ખુલી પાડી દીધી છે.