Ahmedabad : કોરોનાએ વિદ્યાર્થીઓની લેખન અને વાંચન ક્ષમતા પર ગંભીર અસર કરી, જાણો શા કારણે થયું આવું ?
કોરોનાને કારણે વિદ્યાર્થીઓ લખવાનું ભૂલી ગયા છે. લેખનમાં વિદ્યાર્થીઓની ક્ષમતા ઓછી થતા વાલીઓની ચિંતા પણ વધી છે. દોઢ વર્ષ બાદ શાળામાં અભ્યાસ માટે આવતા પ્રાથમિકના વિદ્યાર્થીઓને લખવાની તકલીફ પડી રહી છે.
કોરોના મહામારીની શિક્ષણ અને વિદ્યાર્થીઓ પર ગંભીર અસર પડી છે. કોરોના બાદ પ્રાથમિક શાળાઓ શરૂ થતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કોરોના બાદ પ્રાઇમરીના વિદ્યાર્થીઓને લખવા અને વાંચવામાં તકલીફ પડતી હોવાનું સામે આવ્યું છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓની લેખન ક્ષમતામાં ચિંતાજનક ઘટાડો થયો છે.
કોરોના મહામારી બાદ દોઢ વર્ષ પછી રાજ્યમાં પ્રત્યક્ષ પ્રાથમિક શિક્ષણકાર્ય શરૂ થયું છે. દોઢ વર્ષ બાદ શાળામાં અભ્યાસ માટે આવતા પ્રાથમિકના વિદ્યાર્થીઓને લખવાની તકલીફ પડી રહી છે. શાળાઓ શરૂ થતાં વર્ગખંડમાં અભ્યાસ કરાવતા શિક્ષકોના ધ્યાનમાં આ બાબત સામે આવી છે. ઓનલાઇન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓની લખવાની ક્ષમતામાં ચિંતાજનક ઘટાડો થયો છે. વર્ગખંડમાં મસ્તી અને તોફાન કરતા બાળકો દોઢ વર્ષ બાદ શાળાએ આવ્યા તો શાંત થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. અને ભણવા બાબતે વિદ્યાર્થીઓનો ઉત્સાહ ઘટી ગયો હોવાનું શિક્ષકો જણાવી રહ્યાં છે. ત્યારે કોરોના બાદ વિદ્યાર્થીઓને ફરીથી લખતા અને અભ્યાસ રસ લેતા કરવા શિક્ષકો માટે સૌથી મોટો પડકાર છે.
વિદ્યાર્થીના વાલીઓ, શિક્ષકો અને મનોચિકત્સિક કંઇક આવું જણાવે છે
કોરોનાને કારણે વિદ્યાર્થીઓ લખવાનું ભૂલી ગયા છે. લેખનમાં વિદ્યાર્થીઓની ક્ષમતા ઓછી થતા વાલીઓની ચિંતા પણ વધી છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા લીનાબેન સુથારના બે બાળકો પ્રાઇમરીમાં અભ્યાસ કરે છે. એક બાળક ધોરણ 2માં અભ્યાસ કરે છે. જ્યારે એક બાળક ધોરણ 5માં અભ્યાસ કરે છે. લીનાબેને બાળકોના અભ્યાસ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દોઢ વર્ષથી ઓનલાઇન શિક્ષણ અને પરીક્ષાઓ નહીં લેવાને કારણે બંને બાળકો લખવામાં અને વાંચવામાં નબળા પડ્યા છે. ઓનલાઇન શિક્ષણને કારણે લખવાની પ્રેક્ટિસ ભૂલી ગયા છે. હવે શાળાઓ શરૂ થતાં બંને બાળકોને હોમવર્ક કરવામાં તકલીફ પડી રહી છે.
આ અંગે જાણીતા મનોચિકિત્સક રમાશંકર યાદવે જણાવ્યું હતું કે બાળકો ઉપર માહોલની અસર થઈ છે. ઓનલાઇન શિક્ષણમાં લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે. અત્યારે એડજસ્ટમેન્ટ વાળો માહોલ ચાલી રહ્યો છે. અને ફરીથી બાળકોને સેટ થવા માટે ઍકથી ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે.
શિક્ષકોના નિરીક્ષણ મુજબ વર્ગખંડમાં શિક્ષકો બાળકોને જે લખવાનું કહે છે તે સારી રીતે બાળકો લખી શકતા નથી. જો બાળકોની લખવાની ક્ષમતા નહીં સુધરે તો તેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ અને પરિણામ ઉપર પાડવાનો ખતરો ઉભો થયો છે.