Ahmedabad : કોલેજો ખુલી પણ હોસ્ટેલો ના ખુલતા વિદ્યાર્થીઓને મુશ્કેલી, હોસ્ટેલો ફરીથી શરૂ કરવા માંગ
રાજ્યમાં 15 જુલાઈથી કોલેજો ઓફલાઈન શરૂ કરવામાં આવી છે. પરંતુ હોસ્ટેલ શરૂ કરવામાં આવી નથી. જેને લઈને બહારગામથી ભણવા આવેલા વિધાર્થીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
રાજ્યમાં કોરોના સંક્ર્મણ ઓછું થતા કોલેજો ફરી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં 15 જુલાઈથી કોલેજો શરૂ થઈ ગઈ છે. 50 ટકા ક્ષમતા સાથે કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું છે. પરંતુ હોસ્ટેલો ક્યારે શરૂ થશે તેને લઈને અસમંજસ છે. હોસ્ટેલો શરૂ ના થતા બહારગામના વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. કોલેજો શરૂ થઈ પણ હોસ્ટેલો શરૂ ના થતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. હોસ્ટેલો શરૂ કરવા અંગે સરકારે કોઈ માર્ગદર્શિકા જાહેર નથી કરી.
ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) ભવનો ચાલુ થઈ ગયા છે. પણ યુનિવર્સિટીએ હોસ્ટેલ શરૂ કરી નથી. વિદ્યાર્થીઓની માંગ છે કે કોલેજો શરૂ કરવામાં આવી તો હોસ્ટેલો તાત્કાલિક ખોલવામાં આવે.
હોસ્ટેલો બંધ હોવાથી વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની મુશ્કેલી સર્જાઈ છે. જે વિદ્યાર્થીઓ અમદાવાદ બહારના છે અને સમરસ હોસ્ટેલ કે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા તેવા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. કોલેજો શરૂ થઈ ગઈ છે પરંતુ હોસ્ટેલ બંધ હોવાથી બહારના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા જ નથી.
બીજી તરફ 27 જુલાઇથી ગુજરાત યુનિવર્સિટીની બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ સહિતની વિદ્યાશાખાની ઓફલાઇન પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. પરીક્ષામાં માત્ર અમદાવાદ અને ગાંધીનગરમાં સેન્ટરો આપવામાં આવ્યા છે. જેના કારણે બહારગામના વિદ્યાર્થીઓને રહેવાની મુશ્કેલી ઉભી થશે.
એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે સમરસ હોસ્ટેલ અને ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ તાત્કાલિક શરૂ કરવામાં આવે. એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ બહારગામથી પરીક્ષા આપવા અમદાવાદ કે ગાંધીનગર આવશે તેમને રહેવા અને જમવાની મુશ્કેલી ઉભી થશે.
વિદ્યાર્થીઓને પીજીમાં રહીને પરીક્ષા આપવી પડશે. યુનિવર્સિટીએ બહારગામના વિદ્યાર્થીઓ માટે જે તે જિલ્લાઓમાં સેન્ટરો ફળવ્યા નથી. ત્યારે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને પરીક્ષા આપી શકે તે માટે તાત્કાલિક હોસ્ટેલો શરૂ કરવી જોઈએ.
આ અંગે વિદ્યાર્થી ભાવિક રોહિતે જણાવ્યું હતું કે હું સુરેન્દ્રનગરથી આવું છું. હોસ્ટેલો બંધ હોવાથી ઓફલાઇન અભ્યાસ માટે આવી શકતો નથી. ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું છે પણ હોસ્ટેલ બંધ હોવાથી ઘરે રહીને જ ઓનલાઇન શિક્ષણ મેળવવું પડે છે. જો સરકાર હોસ્ટેલો ખોલે તો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ મેળવી શકશે.
આ પણ વાંચો : Throwback : જ્યારે અંકિતા વિના નહોતા રહેવા માંગતા સુશાંત, જણાવ્યુ હતું- કેવી રીતે લગ્ન કરવાનાં છે તેઓ…