Ahmedabad Body Donation: “મારી ચિતા પર રાખવા કોઈ ઝાડ તોડશો નહી, આવતો જન્મ પક્ષીનો મળ્યો તો માળો ક્યાં બાંધીશ”? પરિવારે કંઈક આ રીતે ઉતાર્યુ સમાજનું ઋણ
Ahmedabad Body Donation: અમદાવાદનાં ગોદરેજ ગાર્ડન સીટી વિસ્તારમાં રહેતા વ્યાસ પરિવારે એક એવું ઉમદા કાર્ય કરી નાખ્યું કે જેને સમાજ માટે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. 5 જૂને પર્યાવરણ દિવસ છે ત્યારે તેના કલાકો પહેલા જ મૃત્યુ પામેલા સદસ્યે નક્કર મેસેજ આપ્યો કે પર્યાવરણ બચાવશો તો તમે બચશો.
Ahmedabad Body Donation: પપ્પા I Love You, હંમેશા મારી સાથે રહેજો. સંબંધોનો ઋણાનુંબંધ શરીરથી અહીં પુરો થયો પરંતુ મારો આત્માનો તમારી સાથેનો સંબંધ હંમેશા અમર રહેશે. પપ્પા તમે જ તો શિખવાડ્યું હતું કે મોહ કોઈ વસ્તુનો રાખવો નહી, શિખ્યા પછી પણ તમારી બોડી ડોનેટ (Body Donate) કરવાનો સમય આવ્યો ત્યારે ખબર નહી કેમ મોહ વચ્ચે આવી ગયો. ખુશ્બુ વિપુલ વ્યાસ, આ તબીબ દિકરીનો પિતાનાં મૃતદેહ સાથેનો અંતિમ વાર્તાલાપ હતો.
અમદાવાદનાં ગોદરેજ ગાર્ડન સીટી વિસ્તારમાં રહેતા વ્યાસ પરિવારે એક એવું ઉમદા કાર્ય કરી નાખ્યું કે જેને સમાજ માટે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. 5 જૂને પર્યાવરણ દિવસ છે ત્યારે તેના કલાકો પહેલા જ મૃત્યુ પામેલા સદસ્યે નક્કર મેસેજ આપ્યો કે પર્યાવરણ બચાવશો તો તમે બચશો. આ સિવાય પણ વાત જ્યારે આપવાની આવે છે ત્યારે સ્વાર્થી થઈ જતી માનવજાતને પણ એ સંદેશો ગયો કે મૃત્યુ બાદ પણ તમારામાંથી કોઈ આગળની જીંદગી વિશે શિખી પણ શકે છે.
દોસ્તો, વાત છે આ વિપૂલ વ્યાસ અને તેમના પરિવારની કે જેમણે સમાજ, સંબંધ, ઋણાનુંબંધ, સેવા, શિખવાડવું, શિક્ષણનું ઉધાર એક જ વારમાં ચુક્તે કરી દીધુ. 58 વર્ષનાં વિપુલભાઈ વ્યાસનું તાજેતરમાં બ્રેઈન સ્ટ્રોકને લઈને નિધન થઈ ગયું. એમ કહેવાય કે મૃત્યુનો અંદેશો જાણો આવી જતો હોય છે તેમ તેમણે તેમની દિકરીને બોડી ડોનેટ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમની બોડી મેડિકલનાં વિદ્યાર્થીઓ માટે ડોનેટ કરી દેવાય. આ વિચાર પર પરિવાર સમજે એ પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું અને ખરેખર બોડી ડોનેટ કરવાનો સમય આવી ગયો.
નિલિમા વ્યાસ અને ખુશ્બુ વ્યાસ, માતા પૂત્રી વચ્ચે વિપુલભાઈની અંતિમ ઈચ્છાને માનવી કે ન માનવી તેની અસમંજસતા હતી. જો કે મેડિકલ વિદ્યાર્થીઓનાં હિતમાં પરિવારે બોડી ડોનેટ કરવાનું નક્કી કર્યું પરંતુ કોવીડ ગાઈડલાઈન્સ (Covid Guidelines)નાં પગલે અમદાવાદમાં તો શક્ય ન બન્યુ પરંતુ શક્ય બન્યુ તો નડિયાદની જે.એસ. આયુર્વેદ કોલેજ (J S Ayurveda College)માં કે જે કોલેજમાં વર્ષ 2010ની સાલમાં પૂત્રી ખુશ્બુનો હાથ પકડીને તે મેડિકલમાં એડમિશન અપાવવાની પ્રોસિઝર કરવા ગયા હતા. 360 ડિગ્રી પર સમયે ટર્ન લીધો હતો કેમકે આજે પૂત્રી, પિતાનાં મૃતદેહને સોંપવા માટેની પેપર પ્રોસિઝર કરી રહી હતી.
પત્ની નિલિમા વ્યાસે કહ્યું કે તેમની આદત હતી કે મારા ચશ્મા હંમેશા સાફ કરી આપવા, આજે લાગે છે કે એ ચશ્મા સાફ નોહતા કરી આપતા પણ જાણે કે સાચુ જોવાની દ્રષ્ટી કેળવી આપતા ગયા. પૂત્રી ખુશ્બુ કહે છે કે અમે જ્યારે તેમની બોડીને લઈને નડિયાદ જવા માટે રવાના થયા ત્યારે આંખમાં આંસુ નોહતા. જીંદગી ક્યારેક મૃત્યુ બાદ પણ ફરી શરૂ થતી હોય છે. હજારો ચોપડીઓ વાંચીને તેને મોઢે રાખનારા મારા પપ્પા આજે મરીને પણ વિદ્યાર્થીઓને શિખવતા જશે એ મોટી વાત છે.
તેમના સાસુ કે જે 1960નાં દશકમાં ઓલ ઈન્ડિયા રેડિયોમાં એન્કર હતા તેમની પાસેથી વિપુલભાઈને વારસામાં સાહિત્ય અને પુસ્તક મળ્યા હતા, એમ કહેવાય કે જે પરિવારથી બ્રેઈન મળ્યું તેજ પરિવારમાંથી વારસામાં બ્રેઈન હેમરેજ પણ મળ્યું અને તે તેમને આંબી ગયું.
જે. એસ. આયુર્વેદ કોલેજનાં પ્રિન્સિપાલ ડો. કલાપી પટેલે પણ આ અનોખા પ્રસંગ પર કહેવું પડ્યું કે આ એક બોલ્ડ ડિસિઝન હતું. વિદ્યાર્થીઓ માટે એક બોડી માંડ સ્વસ્થ હાલતમાં આવતી હોય છે અને તેના પર 20 થી 25 સ્ટુડન્ટ શિખતા હોય છે તેવામાં જે કોલેજમાંથી ડોક્ટરની ડિગ્રી લીધી ત્યાંજ પૂત્રીએ ભણતરનું ઋણ ઉતાર્યું. એમ જોવા જઈએ તો પૂત્રીએ ભણતરનું, પિતાએ પોતાનાં વચનનું , પત્નિએ સિંદુરનાં સેંથાનું અને પરિવારે સમાજનું ઋણ ચુકતે કરી દીધુ કહેવાય. એમ પણ જતા જતા જેમણે ત્યાગ અને મોહની ભાવના ન રાખવાનું શિખવાડ્યું તે જતા જતા પણ શિખવાડતા જશે હવે.
ડો. ખુશ્બુ વ્યાસ આજે આણંદનાં પલોલ ખાતે મેડિકલ ઓફિસરની ફરજ બજાવે છે. તેમના માતા ફેમિલી કોર્ટમાં વકીલ તરીકે પ્રેકટીસ કરે છે. વિપુલભાઈ પોતે પણ વકીલાતની ડિગ્રી લઈ ચુક્યા હતા અને નરેન્દ્રભાઈ મોદી જે સમયગાળામાં તે મણિનગર હેડગેવાર ભવન ખાતે રહેતા હતા તેમની સાથે પણ પુસ્તકોનાં પ્રેમને લઈ પરિચયમાં આવ્યા હતા. પુસ્તક અને પ્રકૃતિને શ્વાસમાં ભરનારા વિપુલભાઈનાં નિધન બાદ મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. પરિવાર કહે છે કે ઓક્સિજનનાં રૂપમાં શ્વાસમાં રહેશે અને જીંદગીને સ્વસ્થ બનાવતા રહેશે.
સમાજ માટે આ એક પ્રેરણાદાયક પ્રસંગ છે કે જે સંબંધોનાં મોહમાયાથી ઉપર ઉઠીને છે અને આવા વિચારો અગર મર્યા બાદ પણ જીવતા રહે છે તો એ સ્વસ્થ સમાજ માટે એ ઓક્સિજન છે કે જે મેળવવા માટે તમારે ફેક્ટરી નહી નાખવી પડે, ખાલી વિચારો પર અમલ કરવાની જરૂર રહેશે, એટલે કે શ્વાસ લેવાની.