Ahmedabad: હાઈકોર્ટના ડરથી AMCની કાર્યવાહી? 5 દિવસમાં કુલ 2,076 યુનિટ સીલ કરાયા
31 મેથી 4 જૂન દરમિયાન કરાયેલ સિલિંગની કામગીરીમાં કોમર્શિયલ યુનિટ 1,052, હોટેલના 507 રૂમ, રેસ્ટોરેન્ટના 66 યુનિટ, 1 વર્કશોપ અને 30 સ્કૂલનો સમાવેશ થાય છે.
Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં Pil સંદર્ભે AMC દ્વારા બીયુ પરમિશન વગર ઉપયોગમાં લેવાતા યુનિટ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં છેલ્લા ચાર દિવસથી AMCનું એસ્ટેટ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. આજે પાંચમાં દિવસે પણ AMCએ વિવિધ વિસ્તારમાં તવાઈ બોલાવી 5 ઝોનમાં મળી 124 યુનિટ સીલ કર્યા.
જેમાં આજે કરેલી કાર્યવાહીમાં પશ્ચિમ ઝોનમાં 54, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 20, મધ્ય ઝોનમાં 2, પૂર્વ ઝોનમાં 20 અને દક્ષિણ ઝોનમાં 28 મળીને કુલ 124 યુનિટ સીલ કરવામાં આવ્યા. આમ 5 ઝોનમાં કુલ 12 મકાનોના 124 યુનિટ સીલ કરાયા છે તો 31 મેથી 4 જૂનના મળીને કુલ 2,076 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. 31 મેથી 4 જૂન દરમિયાન કરાયેલ સિલિંગની કામગીરીમાં કોમર્શિયલ યુનિટ 1,052, હોટેલના 507 રૂમ, રેસ્ટોરેન્ટના 66 યુનિટ, 1 વર્કશોપ અને 30 સ્કૂલનો સમાવેશ થાય છે.
કોરોનાકાળ વચ્ચે વેપાર ધંધાને હજુ થોડી છૂટ મળી તેવા સમયે સિલિંગ કરવામાં આવતા તમામ લોકોમાં AMCની કામગીરીને લઈને નારાજગી વ્યાપી છે. આજે રાણીપ ખાતે આવા જ કેટલાક નારાજ વેપારીઓએ AMCની આ કામગીરીનો વિરોધ કર્યો. વેપારીઓનો આક્ષેપ હતો કે જે બાંધકામ થયું તે સમયે બીયુ પરમિશન જેવું કંઈ હતું નહીં અને હાલમાં છે તો તે પ્રક્રિયા કરવા AMC સમય આપે અને બાદમાં સિલિંગ કમગીરી કરે.
કારણ કે હજુ વેપાર ધંધા માટે છૂટછાટ મળી તેવા સમયે કાર્યવાહી કરતા વેપાર ધંધા બંધ થઈ જતા ઘર કઈ રીતે ચલાવવુ તે પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે. જેથી વેપારીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરીને યોગ્ય સમયની માંગ કરી છે, જેથી વેપારીઓ હાલાકીમાં ન મુકાય.