Ahmedabad: વડાપ્રધાને મેટ્રોનો પ્રારંભ કરાવ્યા બાદ અમદાવાદીઓ પણ મેટ્રોમાં બેસવા આતુર, જુઓ મેટ્રોનો નજારો
મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી 21 કિલોમીટર જ્યારે વાસણા APMCથી મોટેરા સુધીનો રૂટ 18.89 કિલોમીટરનો છે.. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે.
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Pm Narendra Modi) મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ હવે અમદાવાદીઓ મેટ્રોની (Ahmedabad Metro) મુસાફરી માણવા આતુર છે. આગામી 2 ઓક્ટોબરથી થલતેજથી વસ્ત્રાલનો રૂટ શરૂ થશે. જ્યારે 6 ઓક્ટોબરે વેજલપુર APMCથી મોટેરાનો રૂટ શરૂ થશે. મેટ્રો સેવા શરૂ થતાં મોંઘવારીમાં લોકોના નાણાં અને સમય બંનેની બચત થશે. મેટ્રોના દરેક સ્ટેશન અને ટ્રેનમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
હવે અમદાવાદમાં બે કોરીડેરમાં મેટ્રો ટ્રેન દોડશે. પ્રધાનમંત્રી મેટ્રોમાં મુસાફરી કરીને થલતેજ દૂરદર્શન કેન્દ્રના મેટ્રો સ્ટેશન ખાતે પહોચ્યા હતા. જે દરમિયાન CCTVની સુવિધા તેમજ સુરક્ષા માટે પોલીસ જવાનો સ્ટેશનો ઉપર તહેનાત જોવા મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવ્યો. વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યાં હતા, ત્યાંથી કાલુપુર મેટ્રો સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર સુધીના મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી કરી હતી.
40 કિલોમીટરના રૂટ પર દોડશે 32 મેટ્રો ટ્રેન
મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી 21 કિલોમીટર, જ્યારે વાસણા APMCથી મોટેરા સુધીનો રૂટ 18.89 કિલોમીટરનો છે. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે. શરૂઆતમાં દર અડધો કલાકે મેટ્રો મળશે અને ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે મળતી થશે. દરેક સ્ટેશને મેટ્રો ટ્રેન 30 સેકન્ડ રોકાશે તેમજ જૂની હાઈકોર્ટ પાસેથી આગળ જવા માટે મેટ્રોનો રૂટ બદલી શકાશે.
મેટ્રોમાં માત્ર 25 રૂપિયા જ ભાડું આપવુ પડશે
પ્રથમ સપ્તાહમાં થલતેજથી વસ્ત્રાલ ગામ અને APMCથી મોટેરા રૂટ પર એકાંતરે દિવસે મેટ્રો દોડશે. મેટ્રો પરિવહન મુસાફરી માટે શહેરીજનો માટે એક સસ્તો અને ઝડપી વિકલ્પ બની રહેશે. વસ્ત્રાલ ગામથી થલતેજ રિક્ષામાં જઈએ તો 55 મિનિટનો સમય લાગે અને રિક્ષા કે કેબમાં 325 રૂપિયાથી માંડીને 360 રૂપિયા ભાડું થાય. તેની સામે મેટ્રોમાં માત્ર 35 મિનિટમાં પહોંચી જવાશે અને ભાડું પણ માત્ર 25 રૂપિયા થશે. તે જ રીતે એપીએમસીથી મોટેરા સુધી જવા માટે કેબમાં 320 રૂપિયાનું ભાડું થાય જ્યારે રિક્ષામાં 246 રૂપિયા આપવા પડે તેની સામે મેટ્રોમાં માત્ર 25 રૂપિયા જ ભાડું આપવુ પડશે.