Ahmedabad: સતત તાણમાં રહેતા પોલીસકર્મીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડાયટ પ્લાન, કર્મચારીઓ માટે યોજાયો સેમીનાર
Ahmedabad : મનોચિકિત્સક ડો.માનસિંગ ડોડીયા દ્વારા ઝોન 5 અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને તણાવ દૂર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Ahmedabad: કોરોનાકાળમાં સતત વ્યસ્તતા અને ઓવરટાઈમ કરવાને કારણે અમદાવાદ શહેર પોલીસના (ahmedabad police) અનેક પોલીસકર્મીઓ માનસિક તણાવ અનુભવતા હોય છે. પોલીસકર્મીઓમાંથી માનસિક તણાવ દૂર કરવા તેમજ શારીરિક ફિટ રહે તે માટે અમદાવાદ શહેર ઝોન 5 DCP અચલ ત્યાગી દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડાયેટ પ્લાનિંગનો એક ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ઝોન 5 વિસ્તારમાં આવતા પોલીસકર્મીઓને માનસિક તણાવ કેવી રીતે દૂર કરવો તેની માહિતી આપવામાં આવી હતી.
સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ ડાયેટ પ્લાનિંગ સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો.માનસિંગ ડોડીયા દ્વારા ઝોન 5 અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને તણાવ દૂર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો.માનસિંગ ડોડીયાનું માનવું છે કે સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે તેની કામગીરી પોલીસકર્મીઓને સોંપવામાં આવી છે.
જેને નિભાવવા માટે ગુજરાત પોલીસના તમામ પોલીસકર્મીઓ દિવસ રાત કામગીરી કરતા હોય છે. જેમાં ઓવરટાઈમ, ઘર્ષણના બનાવો, આરોપીઓ સાથે સમય વિતાવવાના તેમજ ઉપરી અધિકારીના પ્રેસરના કારણે અનેક પોલીસકર્મીઓ માનસિક તણાવનો ભોગ બનતા હોય છે. જેને કારણે આવા પોલીસકર્મીઓનો સ્વભાવ ચીડિયો થઈ જતો હોય છે.
પોલીસકર્મીઓને સ્ટ્રેસ ઘટાડવા માટે દિવસ દરમ્યાન 8 કલાકની ઉંઘ લેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ દરરોજ પ્રોટીનયુક્ત ખોરાક લેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ 45થી વધુ ઉંમરના ફિટ પોલીસકર્મીઓને તેમજ શ્રેષ્ટ કામગીરી કરનાર મહિલા પોલીસકર્મીઓને ઝોન 5 DCP અચલ ત્યાગી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેથી પોલીસકર્મીઓમાં વધુ સારું કામ કરવાની પ્રેરણા મળતી રહે.
આ પ્રસંગે ઝોન 5 DCP અચલ ત્યાગીએ કહ્યું હતું કે આ પ્રકારના સેમિનાર પોલીસકર્મીઓ માટે થાય તે જરૂરી છે. કારણકે પોલીસકર્મીઓની જિંદગીમાં હંમેશા સ્ટ્રેસ રહેતો હોય છે, જેને સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો તે ભવિષ્યમાં જોખમી સાબિત થતો હોય છે. ઝોન 5 દ્વારા પોલીસકર્મીઓને મદદરૂપ થવા માટે આ બીડું ઉપાડ્યું છે અને દર 2 મહિને આ પ્રકારના સેમિનાર થતાં રહે તે માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેશે.