Ahmedabad : 15 જુલાઇથી 90 ટકા ટ્રેનો શરૂ થાય તેવી શક્યતા, લોકલ ટ્રેનો બાબતે કોઇ નિર્ણય નહિ
Ahmedabad : દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ રેલવે વિભાગ દ્વારા ટ્રેનો દોડાવવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે, ટુંકસમયમાં જ અમદાવાદ રેલવે સ્ટેશનથી 90 ટકા ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાઇ શકે છે
Ahmedabad : દેશભરમાં કોરોના કેસમાં દિવસને દિવસે ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેથી વેપાર ધંધા અને કરફ્યુમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. જેની સાથે લોકો પણ પોતાના વતનથી હવે શહેર તરફ રોજીરોટી મેળવવા માટે જઇ રહ્યા છે. જેના કારણે રેલવેમાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે.
જોકે રેલવે દ્વારા હાલમાં નિશ્ચિત ટ્રેનો દોડાવાતી હોવાથી અને રિઝર્વેશન ક્વોટામાં જ મુસાફરી થતી જોવાથી ટ્રેનો ભરચક ચાલી રહી છે. તેમજ વેઇટિંગ ચાલી રહ્યું છે. જેના કારણે મુસાફરોને હાલાકી ન પડે માટે રેલવે દ્વારા વધારાની સ્પેશ્યલ ટ્રેનો પણ દોડાવાઈ રહી છે.
જોકે હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રેલવે વિભાગ વધુ ટ્રેનો શરૂ કરી શકે છે. જેના કારણે 15 જુલાઈ સુધી અમદાવાદથી પસાર થતી 90 ટકા ટ્રેનો દોડતી થશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
જોકે મહત્વની ટ્રેનો એવી મેમુ-ડેમુ અને લોકલ ટ્રેનને શરૂ કરવા અંગે હાલ રેલવે વિભાગ દ્વારા કોઈ નિર્ણય નહિ લેવાયાની માહિતી મળી રહી છે. કેમ કે જો તે ટ્રેનો શરૂ થાય તો સૌથી વધુ એ ટ્રેનોમાં મુસાફરો અવરજવર કરી શકે છે. જેના કારણે કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં થઈ શકવાની રેલવે વિભાગને ભીતિ છે. જેથી નિયમ જળવાય અને મુસાફરોને રાહત મળે તે પ્રકારના નિર્ણય રેલવે વિભાગ લઈ રહ્યું છે.
તેમજ મેમુ-ડેમુ અને લોકલ ટ્રેન શરૂ કરવા અંગે આગામી દિવસમાં રેલવે વિભાગ વિચારણા કરશે તેવી માહિતી પણ મળી રહી છે.
મહત્વનું છે કે 2020માં કોરોના સંક્રમણ શરૂ થતાં અને લોકડાઉન જાહેર કરાતા રેલવે વ્યવહાર બંધ કરાયો હતો. જે બાદ અનલોક થતા લોકોની સગવડને ધ્યાને રાખી કેટલીક ટ્રેનો શરૂ કરવા સાથે રેલવે વ્યવહાર શરૂ કરાયો હતો.
હવે જ્યારે કોરોનાન કેસ સતત ઘટી રહ્યા છે. અને છેલ્લા 3 દિવસથી 90થી નીચે કેસ રાજ્યમાં નોંધાયા છે. ત્યારે મુસાફરોની હાલાકી દૂર થાય માટે રેલવે વિભાગ 15 જુલાઈ સુધીમાં અમદાવાદથી પસાર થતી 90 ટકા ટ્રેન શરૂ કરવા વિચાર કરી રહી છે. જે ટ્રેનો તબક્કા વાર શરૂ કરવામાં આવશે. જેથી મુસાફરોને પરિવહન કરવામાં સરળતા રહે.
આ પણ વાંચો : Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર