Ahmedabad : સ્કૂલ ચલે હમ, 10 દિવસમાં અધધ વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ શાળાઓમાં મેળવ્યો પ્રવેશ
Ahmedabad : મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 10 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો.
Ahmedabad : છેલ્લા થોડા વર્ષોથી બાળકોને ભણાવવા માટે લોકો સરકારી સ્કૂલ તેમજ કોર્પોરેશન હેઠળની સ્કૂલને પ્રાધાન્ય આપી રહ્યા છે. તેનુ મુખ્ય કારણ જે તે છે ખાનગી શાળાઓમાં સતત ફીમાં થતો વધારો. ફીમાં વધારો થવાના કારણે વાલીઓ પોતોના બાળકોને છેલ્લા થોડા વર્ષોથી કોર્પોરેશનની સ્કૂલમાં ભણાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની શાળાઓમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે.
આ સિવાય અન્ય કારણ એ પણ માનવામાં આવે છે કોરોનાના કારણે આર્થિક સંકટ હોવાથી વાલીઓ કોર્પોરેશનની સ્કૂલમાં પોતાના બાળકને પ્રવેશ અપાવવા આગળ વધી રહ્યા છે.
શાસન અધિકારીના પ્રમાણે છેલ્લા 10 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં કુલ 18,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે હજી પણ પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઇન છે. આપને જણાવી દઇએ કે આ વર્ષે પ્રવેશ મેળવનારાનો આંકડો વધી શકે છે.
કોર્પોરેશનની શાળાઓમાં શિક્ષણના સ્તરમાં વધારો
મળતી જાણકારી પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં થોડા વર્ષોથી શિક્ષણનું સ્તર વધ્યુ છે. જે કારણે વધારે વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં એડમિશન લે છે. આ ઉપરાંત ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આ સિવાય વિના મૂલ્યે પુસ્તક, ઇન્ફ્રાસ્ટ્રકચર,અલગ અલગ લેબોરેટરી, વિશાળ પ્લે ગ્રાઉન્ડ અલગ અલગ યોજનાઓના કારણે વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં ભણવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
ભલામણ પત્રો સાથે પણ મેળવી રહ્યા છે પ્રવેશ
આપને જણાવી દઇએ કે પહેલા ખાનગી શાળાઓમાં એડમિશન લેવા માટે કોઇ વગદાર વ્યક્તિની ભલામણનો પત્ર લઇ જવા પડતા હતા પરંતુ હવે આ ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. વાલીઓ કોર્પોરેશનની શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે ભલામણ પત્રો લઇને જઇ રહ્યા છે. જેથી કરીને બાળકને સરળતાથી એડમિશન મળી શકે. મહત્વપૂર્ણ છે કે ઓઢવ, વસ્ત્રાલ, બાપુનગર વગેરે વિસ્તારોમાં કોર્પોરેશનની શાળાઓમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યા વધી છે.
મળતી જાણકારી પ્રમાણે કોઇ વિદ્યાર્થીને ખાનગી શાળામાંથી એલસી (લીવીંગ સર્ટિફિકેટ) આપવામાં ન આવે તો તેવા વિદ્યાર્થીઓની સર્વ શિક્ષા અભિયાનની ગાઇડલાઇન પ્રમાણે કસોટી લેવામાં આવે છે અને તે કસોટીના આધારે તેને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.