અમદાવાદમાં દિવ્યાંગો અને વૃદ્ધોનું ઘર પર જ રસીકરણ, અત્યાર સુધીમાં 2 હજાર લોકોને અપાઈ રસી
"કોવિડ વેક્સીનેશન ઘર સેવા" હેઠળ 2,000 થી વધુ વરિષ્ઠ નાગરિકો અને વિવિધ વિકલાંગોને તેમના ઘરે રસીના ડોઝ આપવામાં આવ્યા.
AHMEDABAD :અમદાવાદ શહેરમાં કોવિડ-19 સામે 100 ટકા રસીકરણના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે AMC દ્વારા શરૂ કરાયેલી વિશેષ ઝુંબેશ “કોવિડ વેક્સીનેશન ઘર સેવા” હેઠળ 2,000 થી વધુ વરિષ્ઠ નાગરિકો અને વિવિધ વિકલાંગોને તેમના ઘરે રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શરૂ કરાયેલ મહારસીકરણ અભિયાન અંતર્ગત 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 18 વર્ષથી વધુ ઉંમરના દિવ્યાંગ વ્યક્તિઓનું ડોર ટુ ડોર રસીકરણ 7 ઓક્ટોબરથી કરવામાં આવી રહ્યું છે. AMCના અધિકારીએ જણાવ્યું કે, “અત્યાર સુધીમાં કુલ 2,077 લાભાર્થીઓએ કોવિડ -19 રસીની પ્રથમ કે બીજો ડોઝ ઘરે જ લેવાની સુવિધા મેળવી છે.”
તેમણે કહ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાની આ સુવિધાનો લાભ લેવા માટે અત્યાર સુધીમાં 2,536 લોકોએ ઓનલાઈન અથવા ફોન દ્વારા નોંધણી કરાવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, જો કોઈ ઉપરોક્ત કેટેગરીમાં આવે છે કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ઘરે કોરોના રસી મેળવવા ઈચ્છે છે, તો કોઈ ઓનલાઈન અથવા AMC દ્વારા આપેલા નંબર 6357094244 / 6357094227 પર સંપર્ક કરીને નોંધણી કરાવી શકે છે.
▶️ જો આપની ઉંમર 50થી વધુ છે
▶️જો આપ 18 કે તેથી વધુ વર્ષના દિવ્યાંગ છો
▶️ જો આપનો પ્રથમ ડોઝ બાકી છે અથવા તો બીજા ડોઝ માટેનો ગાળો પૂર્ણ થઈ ગયેલ છે
તો આપ 6357094244/6357094227 પર કોવિડ વેક્સિનેશન ઘર સેવા માટે નોંધણી કરાવી એનો લાભ લઇ શકો છો. pic.twitter.com/6wDYY6h3kj
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) October 8, 2021
ગુજરાતમાં કોરોના કેસ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા, જે પછી કુલ કેસોની સંખ્યા વધીને 826,418 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોઈ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો નથી. આ વાયરસથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 10087 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓ સાજા થયા હતા, ત્યારબાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 816,167 થઈ ગઈ છે. 164 સક્રિય દર્દીઓ છે.
દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14,306 નવા દર્દીઓ આવ્યા, ત્યારબાદ દર્દીઓની કુલ સંખ્યા વધીને 34,189,774 થઈ ગઈ. છેલ્લા 24 કલાકમાં 18,762 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 33,567,376 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 443 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 454,712 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં 167,695 સક્રિય દર્દીઓ છે.