AHMEDABAD: આધેડ નરાધમે ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, વતન ભાગે તે પહેલા પોલીસે ઝડપી લીધો
AHMEDABAD: શહેરમાં કમકમાટી ઉભી કરી દે એવી ઘટના સામે આવી છે. વાડજના એક નરાધમે ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું.
મુંબઈમાં થયેલી બલાત્કારની ઘટનાની આગ સમગ્ર દેશના લોકોના દિલમાં લાગેલી છે. આવા સમયે ગુજરાતના અમદાવાદમાં કમકમાટી ઉભી કરી દે એવી ઘટના સામે આવી છે. વાડજના એક નરાધમે ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું. હેવાન આધેડે બાળકીને રમાડવાના બહાને દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ આચર્યા બાદ આધેડ ફરાર થઈ ગયો હતો પરતું પોલીસે ગણતરીના કલાકોમાં રેલવે સ્ટેશનથી આધેડ ઝડપી લીધો.
તસ્વીરમાં જોવા મળતો નરાધમ આધેડ રામશરણ ચૌહાણ છે. જેણે તેની દિકરીથી પણ નાની ઉંમરની 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચર્યા બાદ આધેડ ફરાર થઈ ગયો બાળકીની હાલત જોઈને તેના માતા પિતાએ બાળકીને પૂછતા આ આધેડનો ભાંડો ફૂટ્યો. પરિવાર બાળકી લઇ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે પણ આ દુષ્કર્મના ગંભીર ગુનાને લઈને અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી. આ દરમિયાન આરોપીને રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પોતાના વતન જાય તે પહેલા જ પોલીસે દબોચી લીધો.
પકડાયેલ આરોપી રામશરણ ચૌહાણ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. ત્યાં પત્ની અને બે દીકરીઓ રહે છે અને છેલ્લાં ઍક વર્ષથી તે અમદાવાદમાં રોજગારી માટે આવ્યો હતો. વાડજ વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરતો હતો. આધેડ આરોપીએ પાડોશમાં સંબંધ બનાવીને આ બાળકીને રમાડવાના બહાને તેના ઘરે લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે અગાઉ પણ આ બાળકીને રમાડવાના બહાને લઈ ગયો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. બીજી બાજુ આધેડની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આ ફૂલ જેવી બાળકીના મેડિકલ રિપોર્ટ કરાવી અને વધુ તપાસ શરૂ કરવામાં છે.
નિર્દોષ બાળકી પર થયેલા બનાવને જોતાં ફરી એક વખત બાળકીઓની સલામતીને લઈને સવાલો ઉઠયો છે. પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ પણ ખુબ છે. એક તરફ મુંબઈમાં બનેલી ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે ત્યારે એ પણ સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું ખરેખર અમદાવાદ હવે સુરક્ષિત છે?
આ પણ વાંચો: વાઈનશોપની પરમિશન માટે તોડી પડાયું શિવ મંદિર, સેલવાસના સ્થાનિકો 25 વર્ષથી કરતા હતા પૂજા