Ahmedabad : USમાં વ્હાઇટ હાઉસથી 30 જ કિમી દુર જોવા મળશે ભારતીય સંસ્કૃતિની ઝાંકી, આકાર પામી રહ્યુ છે વિશાળ જિનાલય
જૈન સોસાયટી ઓફ ઓફ મેટ્રોપોલીટન વોશિંગ્ટનના આંગણે શિલ્પયુક્ત શિખરબદ્ધ જિનાલય (Jinalay) તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં અમેરિકાના (America) વ્હાઈટ હાઉસથી માત્ર 30 કિમીના અંતરે આ જિનાલય આકાર પામી રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિને (Indian culture) દેશ વિદેશમાં સન્માન અપાવે અને પ્રાચીન ભારતની પ્રથાને વિદેશમાં ગૌરવ અપાવે તેવા અને ભારતની ઓળખ સમાન વધુ એક મંદિર અમેરિકાની (America) ધરતી પર બનાવાશે. વ્હાઈટ હાઉસથી (White House) માત્ર 30 કિમીના અંતરે વિશાળ જૈન મંદિર ઉભુ કરવામાં આવશે જેનાથી અમેરિકામાં વસતા લાખો હિન્દુ લોકોની આસ્થાનું સ્થળ બનશે સાથે સાથે વિદેશીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
વ્હાઇટ હાઉસથી થોડા જ અંતરે બનશે જિનાલય
જૈન સોસાયટી ઓફ ઓફ મેટ્રોપોલીટન વોશિંગ્ટનના આંગણે શિલ્પયુક્ત શિખરબદ્ધ જિનાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં અમેરિકાના વ્હાઈટ હાઉસથી માત્ર 30 કિમીના અંતરે આ જિનાલય આકાર પામી રહ્યું છે. આ પ્રસંગે આચાર્ય પ્રવર પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ છે અને અહીંના મંદિર તથા ધાર્મિક સ્થળો એક વિશેષ મહત્વ ધરાવે છે . ભુતકાળમાં અનેક લોકો ભારતમાં આવ્યા અને ભારતે ઉદારતા રાખી તમામને પોતાના ધર્મસ્થાનો સ્થાપવા મંજૂરી આપી, પરંતુ ભારત પાસે જે ઐતિહાસીક વારસો છે તે દેશ વિદેશમાં લઈ જવો પણ તેટલો જ જરૂરી છે. માટે અમેરિકાની ધરતી પર વિશાળ જિનાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે.
મહારાજે જણાવ્યું કે, આ જિનાલયના કારણે અમેરિકાના નવનિયુક્ત સાંસદો પણ ખુબ ખુશ છે અને ખાસ અમેરિકાના પ્રમુખે પણ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી છે. ત્યારે 2023ના અંત સુધીમાં આ જિનાલય બનીને તૈયાર હશે.
જિનાલયની વિશેષતા
આ સાથે જ આ મંદિરની વિશેષતા જોઈએ તો કુલ 6 એકર જમીનમાં આ મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેના પર ભૂમિપૂજન, ખનનવિધિ અને શિલારોપણ જેવી પ્રારંભિક વિધિ પૂર્ણ કરી છે અને તમામ મંજૂરીઓ મળ્યા બાદ હવે 30,000 ચોરસ ફૂટનું બાંધકામ પણ શરૂ કરાયું છે. જેમાં 6000 ચોરસ ફુટમાં શ્વેતાંબર અને દિગંબર મંદિર આ સાથે જ અન્ય 24000 ફુટમાં ધાર્મિક,શૈક્ષણિક તથા સામાજિક સંકુલ પણ તૈયાર કરવામા આવશે. જેમાં સ્થાનક, ઉપાશ્રય સહિત કલાસરૂમ અને લાયબ્રેરી જેમાં પ્રાચિન ભારતનો ભવ્ય ઈતિહાસ પણ સૌ સુધી પહોચે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમદાવાદમાં થશે
શ્વેતાંબર મંદિરમાં કુલ 450 લોકોની ક્ષમતા રાખવામાં આવશે. દેરાસરમાં 3 શિખરો, ફલોર, દિવાલો અને છત ખાસ સંગેમરમર મકરાણા માર્બલમાં તૈયાર થશે. આ સાથેજ દેરાસરના ગર્ભગૃહમાં અંજનસલાકા થયેલ પાંચ તીર્થંકર પરમાત્માની પરિકર સહિત મૂર્તિઓ પણ રાખવામા આવશે. તમામ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા અને પ્રથમ ટાંકણા વિધાન અમદાવાદમાં કરવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ સન્માન સાથે આ તમામ મૂર્તિઓને અમેરિકામાં તૈયાર થતા જિનાલય ખાતે દર્શનાર્થે મુકવામાં આવશે. આમ વિદેશી ધરતી અને તેમાં પણ અમેરિકાના વ્હાઈટ હાઉસની ખુબ જ નજીક આકાર પામી રહેલ મંદિર દેશ વિદેશમાં ભારતની સંસ્કૃતિની ઝાંકી કરાવશે.