Ahmedabad: બ્રેઇનડેડ મિત્તલબેનનું હૃદય કલકત્તાના દર્દીમાં ધબકશે, માત્ર 6 મિનીટમાં હ્યદય સિવિલથી એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું
સિવિલ હોસ્પિટલમાં 19 દિવસમાં બીજુ હ્યદયદાન મેળવવામાં SOTTO ની ટીમને સફળતા મળી છે. બ્રેઇનડેડ મિત્તલબેનના પરિવારે તેમના અંગોનું દાન કરવાનો હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ થકી અંગદાનની અવારનવાર બનતી ઘટનાઓ માનવતાની અનેરી સુવાસ ફેલાવી રહી છે. આવી જ અંગદાનની વધુ એક ઘટના આજે સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે. જેમાં 35 વર્ષીય મિત્તલબેન પ્રજાપતિ બ્રેઈનડેડ થતા તેમના પતિ ભરતભાઇ પ્રજાપતિ અને સ્વજનોએ તેમના અંગોનું દાન કરીને દિવંગતોને અમરત્વ આપ્યું છે.
ડોકટરોને મિત્તલબેનના મળેલા અંગોના દાનમાં હ્યદય મેળવવામાં પણ સફળતા મળી હતી. જેને ગ્રીનકોરિડોર મારફતે ફક્ત 6 મિનીટમાં અમદાવાદ એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું હતુ. અમદાવાદ એરપોર્ટથી મિત્તલબેનનું હ્યદય કલકત્તા મોકલવામાં આવ્યું. જ્યાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મિત્તલબેનનું અકસ્માત થતા તેઓને પ્રાથમિક સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઇ ગયા હતા. બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રેઇનડેડ જાહેર થયા. આ કપરી ક્ષણમાં પણ તેમના પતિ અને સ્વજનોએ હિંમતભર્યો નિર્ણય લીધો. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા મિત્તલબેનના પતિ અને તેમના સ્વજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું અને તેમના પરિવાર જનોને અંગદાન વિશે વિગતવાર માહિતી આપી. બાદમાં પરિવારજનોએ એ નિર્ણય લીધો જે ઉદાહરણ બની ગયો. તેમણે મિત્તલબેનના અંગોનું દાન કરવાનો જનહિતલક્ષી, હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.
મિત્તલબેન ના અંગદાનમાં 2 કિડની, લીવર, સ્વાદુપિંડ અને હ્યદયનું દાન મેળવવામાં સફળતા મળી હતી. જેના થકી 5 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન પ્રાપ્ત થશે.
આ બાદ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડ઼ૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની SOTTO હેઠળની ટીમ અંગદાન સંદર્ભે દિવસ -રાત જનજાગૃતિ માટે શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપ જ આજે સિવિલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થતા દર્દીના સ્વજનોમાં અંગદાન અંગે જાગૃકતા આવી છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 19 દિવસમાં આ બીજુ હ્યદયદાન મળ્યું છે. જે ખુબ મોટી સફળતા છે. મળેલી માહિતી અનુસાર અત્યાર સુધી અમદાવાદ સિવિલમાં SOTTO ની ટીમ દ્વારા 9 મહિનામાં 12 અંગદાન મેળવવામાં આવ્યા છે. જેના થાકી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન પણ મળ્યું છે.
આ પણ વાંચો: પીએમ મિત્ર યોજના શું છે ? સામાન્ય માણસને કેવી રીતે મળશે લાભ ? જાણો તેની સાથે જોડાયેલી મહત્વની બાબતો