Ahmedabad : કોર્પોરેશનનો સફાઇ કામદારો માટે ઐતિહાસિક નિર્ણય, હવે આ કિસ્સામાં વારસદારોને અપાશે નોકરી
Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇ કામદારોનાં મૃત્યુ કે અનફીટ થવાનાં કારણે ખાલી પડેલ જગ્યા પર જ તેઓનાં આશ્રિતોને વારસદારની નોકરી આપવામાં આવનાર હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આ અંગે કોઇ વધારાનો નાણાંકીય બોજો પડશે નહિ , તેમજ યુવાન કામદારો પણ મળી રહેશે.
Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સફાઇ કામદારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરના ૬૨૦૦ થી વધારે સફાઇ કામદારોનાં આકસ્મિક મૃત્યુ કે અનફીટનાં કિસ્સાઓમાં તેઓનાં આશ્રિતોને નોકરી(Job) આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના પગલે શહેરના 48 વોર્ડના સફાઇ કામદારોને તેનો લાભ મળશે.
જુદા- જુદા વોર્ડના ફરજ બજાવતા કામદારોને મળશે લાભ
Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ- ૨૦૧૭ માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં જુદા-જુદા વોર્ડોમાં ફરજ બજાવતા ૨૬૩૧ જેટલા સફાઇ કામદારો સહિત નવા પશ્ચિમ ઝોનનાં ૨૭૫૦, દક્ષિણ ઝોનમાં ૭૧, મલેરીયા ખાતામાં ૩૩૦, સ્નાનાગારમાં ૩૩ અને અ.મ્યુ.કો. સંચાલિત શારદાબેન તેમજ એલ.જી. હોસ્પિટલ જેવી મ્યુનિસિપલ હોસ્પિટલોમાં ફરજ બજાવતા ૧૮૫ સફાઇ કામદારો સહિત કુલ ૬૨૦૦ થી વધારે સફાઇ કામદારોને ફુલ ટાઇમ (૮ કલાકની) રોજીંદા કામદારની જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કાયમી સફાઈ કામદાર તરીકે નિમણુંકો આપવામાં આવેલ હતી.
વિવિધ બીમારીઓનાં ભોગ બનતા હોય છે
આ ઉપરાંત Ahmedabad શહેરનાં નાગરિકોની આરોગ્યની સુખાકારી માટે જાહેર રસ્તાઓ, જાહેર સ્થળો, બજારો, ગામતળ વિસ્તારો સહિત શહેરમાં આવેલા ૫૦૦ થી વધારે જાહેર શૌચાલયોની રોજેરોજની સફાઇની કામગીરી કરતા આ સફાઇ કામદારો- નગરની સ્વચ્છતાનાં લીધે વિવિધ બીમારીઓનાં ભોગ બનતા હોય છે જે કારણે તેઓ આકસ્મિક મૃત્યુનાં કિસ્સાઓમાં પરિવારનું ભરણ-પોષણ ચલાવવાનો મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે વળી બીમારીઓનાં કારણે તેઓ નોકરીનાં બાકી વર્ષોમાં પોતાની ફરજ બજાવવામાં અશક્ત થઇ જતા હોય છે.
શહેરને સ્વચ્છ રાખી ઉમદા કામગીરી કરવામાં આવી
હાલમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં તમામ ૪૮ વોર્ડોમાં સફાઇ કામદારો દ્વારા કરવામાં ચાલી રહેલ વિશ્વવ્યાપી કોરોના મહામારીમાં પણ ખુબ જ ખંતપૂર્વક કામ કરી શહેરને સ્વચ્છ રાખી અન્ય બીમારીઓ વધુ ન ફેલાય તેવી ઉમદા કામગીરી કરવામાં આવી રહેલ છે.
આશ્રિતને નોકરી આપવાનો ઐતિહાસિક નિર્ણય
જેમાં સફાઇ કામદારોનાં આ પ્રશ્નોનાં નિરાકરણ માટે અને તેઓનાં પરિવારનું ભરણ-પોષણ ચાલુ રહે તે મુજબનાં માનવીય અભિગમ સાથે રોજીંદા કામગીરીમાંથી કાયમી નિમણુંક આપવામાં આવેલ આ તમામ ૬૨૦૦ થી વધારે સફાઇ કામદારોને તેઓનાં આકસ્મિક મૃત્યુ કે બીમારીઓનાં કારણે ફરજ બજાવવામાં અશકતતા – અનફીટનાં કિસ્સાઓમાં પણ સફાઈ કામદારનાં પરિવારનાં કોઇપણ એક વયસ્ક આશ્રિતને વારસદારની સફાઇ કામદાર તરીકેની નોકરી(Job) આપવાનો ઐતિહાસીક નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવેલ છે.
સફાઇ કામદારોની ઘટ પુરાશે
આ ઉપરાંત સફાઇ કામદારોનાં મૃત્યુ કે અનફીટ થવાનાં કારણે ખાલી પડેલ જગ્યા પર જ તેઓનાં કે આશ્રિતોને વારસદારની નોકરી આપવામાં આવનાર હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આ અંગે કોઇ વધારાનો નાણાંકીય બોજો પડશે નહિ તથા યુવાન કામદારો પણ મળી રહેશે. તેમજ આશ્રિતોને વારસદારની નોકરી આપવાનાં કારણે સફાઇ કામદારોની ઘટ પુરાશે જેના કારણેશહેરમાં આવેલ વિસ્તારોની રોજેરોજની સફાઇ માટે પુરતા સફાઇ કામદારો ઉપલબ્ધ થશે.