સૌરાષ્ટ્રની 4500 જેટલી શાળાઓએ નવા શૈક્ષણિક સત્ર માટે ફી વધારો માગ્યો, ફી નિર્ધારણ કમિટી દ્વારા ફી નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ
બે હજાર જેટલી શાળાઓ એ ફી વધારો માંગ્યો છે જેમાં શાળા દ્વારા કોરોનાના કપરા કાળને કારણે બે વર્ષથી ન થયેલો ફી વધારો, મોંઘવારી આ ઉપરાંત શિક્ષકોના પગાર વધારવા તેમજ કોરોના કાળમાં કેટલાક વિદ્યાર્થીઓની ન આવેલી ફીનું કારણ આગળ ધરવામાં આવ્યું છે.
એક તરફ સામાન્ય માણસ મોંધવારીથી પીડાઇ રહ્યો છે ત્યાં મોંધવારીનો વધુ એક માર પડવા જઇ રહ્યો છે. રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્ર (Saurashtra) ની 4500 જેટલી શાળા (school) ઓની નવા શૈક્ષણિક સત્ર અંગેની ફી (fees) નક્કી કરવાની ફી નિર્ધારણ કમિટી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પૈકી બે હજાર જેટલી શાળાઓએ ફી નિર્ધારણ સમિતી સમક્ષ ફી વધારાની માંગ કરી છે. વર્ષ 2022- 23 માટે સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓની 4500 જેટલી શાળાઓએ પોતાના એફિડેવિટ રજૂ કર્યા છે જે પૈકી બે હજાર જેટલી શાળાઓએ 5 ટકાથી લઈને 25 ટકા જેટલા ફી વધારાની માંગ કરી છે. નિર્ધારણ કમિટીના સભ્યો અજય પટેલના કહેવા પ્રમાણે હાલમાં બે હજાર જેટલી શાળાઓ એ ફી વધારો માંગ્યો છે જેમાં શાળા દ્વારા કોરોનાના કપરા કાળને કારણે બે વર્ષથી ન થયેલો ફી વધારો, મોંઘવારી આ ઉપરાંત શિક્ષકોના પગાર વધારવા તેમજ કોરોના કાળમાં કેટલાક વિદ્યાર્થીઓની ન આવેલી ફીનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. ફી નિર્ધારણ સમિતિ દ્વારા જે શાળાએ વધારાની માંગ કરી છે તે શાળાની તપાસ કરવામાં આવશે અલગ-અલગ મુદ્દાઓ ચકાસવામાં આવશે અને ત્યારબાદ તેને વધારો આપવામાં આવશે. જુલાઈ મહિનાની શરૂઆતમાં આગામી શૈક્ષણિક સત્રની ફી નક્કી થઈ જશે તેવુ ફી નિર્ધારણ કમિટીનું કહેવું છે.
5 થી 52 ટકા ફી વધારાની માંગ
ફી નિર્ધારણ સમિતીના સભ્ય અજય પટેલના કહેવા પ્રમાણે રાજકોટ ઝોનના 10 જિલ્લાઓમાં પાંચ હજાર જેટલી શાળાઓ આવેલી છે જેમાંથી 4500 જેટલી શાળાઓ પોતાના સોગંદનામા સાથે એફઆરસીના સ્લેબમાં આવે છે જે પૈકી બે હજાર જેટલી શાળાઓએ ફી વધારાની માંગ કરી છે. શાળાઓએ 5 ટકા થી લઇને 25 ટકા સુધી ફી વધારાની માંગ કરી છે.જો કે ફી નિર્ધારણ સમિતી દ્રારા જે શાળાએ વધારો માંગ્યો છે તે શાળાના હિસાબોની ચકાસણી કરવામાં આવશે.જે યોગ્ય લાગશે કે પ્રમાણે વધારો આપવામાં આવશે..
વધારા માટે આ કારણો જવાબદાર હોવાનો શાળાનો દાવો.
શાળાઓએ જે વધારાની માંગ કરી છે તેમાં શાળા સંચાલકો દ્રારા કેટલાક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. 1.છેલ્લા બે વર્ષથી ફી વધારો કરવામાં આવ્યો નથી. 2.કોરોનાના કપરાં કાળમાં કેટલાક વિધાર્થીઓએ ફી ભરી નથી, 3.શિક્ષકોના પગાર બે વર્ષથી વધારો થયો નથી જે આ વર્ષે વધારવાનો હોવાથી 4.મોંધવારી વધુ હોવાને કારણે ભાવવધારો કરવો પડવાની જરૂરિયાત દર્શાવી છે.
આ જિલ્લાની શાળાઓમાં થશે અસર
- રાજકોટ
- જુનાગઢ
- ગીર સોમનાથ
- દેવભૂમિ દ્રારિકા
- મોરબી
- પોરબંદર
- ભાવનગર
જાન્યુઆરી મહિનામાં પણ રાજકોટ-સૌરાષ્ટ્ર ઝોનની 3500 સ્કૂલોની ફી નક્કી કરાઈ હતી
આ અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ રાજકોટ-સૌરાષ્ટ્ર ઝોનની 3500 સ્કૂલોની ફી નક્કી કરવામાં આવી હતી. તે સમયે ફી નિર્ધારણ કમિટી દ્વારા 1200 સ્કૂલોમાં 5 ટકા થી 10 ટકા જેટલો વધારો થશે કરવામાં આવ્યો હતો. ફી વધારા માટે રાજકોટ ઝોનની 60 ટકા સ્કૂલોમાં 5 થી 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો કરનાર સ્કૂલોની વાર્ષિક ફી 15 હજારથી ઓછી છે તેઓની જ ફી વધારવામાં આવી હતી. 15 હજારથી વધુની ફી ધરાવતી શાળાઓના ફી વધારાનો નિર્ણય બાકી રાખવામાં આવ્યો હતો.