ગુજરાતમાં 1800થી વધુ કોવિડ હોસ્પિટલોમાં 90,000 બેડની વ્યવસ્થા, રોજના કરાઈ રહ્યા છે 1.75 લાખ ટેસ્ટીગ
ગુજરાતમાં ( gujarat ) નિષ્ણાંત તબીબોની એક ટાસ્ક ફોર્સ બનાવાયો છે. આ ટાસ્ક ફોર્સના માર્ગદર્શન અને સલાહ અને સુચનથી વખતો વખત કાર્યરીતિ નીતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં ( gujarat ) કોરોનાની ( corona ) બીજી ઘાતક લહેરમાં જે પ્રકારે કેસ વધી રહ્યા છે તે જોતા, ગુજરાત સરકારે 1800 કોવિડ હોસ્પિટલોમાં 90,000 બેડની વ્યવસ્થા કરી હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( pm narendra modi ) વિડીયો કોન્ફરન્સ મારફતે યોજેલી મુખ્ય પ્રધાનોની બેઠકમાં ( Meeting with chief ministers ) વિજય રૂપાણીએ એવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો કે, તમામ રાજ્યોએ આ લડાઈ સાથે મળીને લડવી પડશે. કોરોનાનો મુકાબલો સાથે મળીને કરીશું તો આપણી જીત નિશ્ચિત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સંવાદ કર્યો હતો. વિડીયો કોન્ફરન્સમાં સંબોધન કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ૧૫મી માર્ચે રાજ્યમાં ૪૨ હજાર બેડ હતા તેની સામે હાલ રાજ્યમાં ૯૦ હજાર બેડ ઉપલબ્ધ છે. ૧૮૦૦ થી વધુ કોવિડ હોસ્પિટલોમા ૧૧,૫૦૦ આઇ.સી.યુ. બેડ અને ૫૧ હજાર ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ સાથે ટેસ્ટિંગમાં વધારો કરીને ૫૦ હજારની સામે ૧.૭૫ લાખ કરવામાં આવ્યા છે. જેમાં ૭૦ હજાર જેટલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં ૬૩૦ પથારીઓની ક્ષમતા વાળા ૫ કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં બી.એ.પી.એસ. દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં ૧૫ કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉમદા ઉદાહરણ છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં નિષ્ણાંત તબીબોની એક ટાસ્ક ફોર્સ બનાવાયો છે. જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સના માર્ગદર્શન અને સલાહ- સુચનથી વખતો વખત કાર્યરીતિ નીતિમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ આ ટાસ્ક ફોર્સે માઇલ્ડ અને મોડરેટ દર્દીઓ માટે ફેવીપેરાવિર અને આઇવરમેક્ટીન દવાના ઉપયોગની સલાહ આપી છે. તેના થકી કોરોનાના દર્દીઓમાં વાયરલ લોડ ઓછો કરવામાં મદદ મળશે.
કેંદ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેંદ્રીત કર્યું છે. હાલ ગુજરાતના શહેરોમાં કુલ ૩૦,૦૦૦ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે જેમાં ૨૦ હજાર મેડિકલ ટીમ નિયમિત ધોરણે દર્દીઓના સર્વે-સારવારનું કામ કરી રહી છે. એમ કહીને વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં મોટા ભાગના દર્દીઓને હોમ આઇસોલેશન થકી સારવાર આપવાના પ્રયત્નો પણ યથાવત છે, જેમાં ગયા વર્ષનો અનુભવ કામે લાગી રહ્યો છે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને સંજીવની રથ તથા ટેલિમેડીસીનના માધ્યમથી આવશ્યક સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. એકલા અમદાવાદમાં જ ૧૨૦૦થી વધારે સંજીવની રથ લોકોની સેવામાં છે, જે વરદાન રૂપ સાબિત થયા છે.
મુખ્ય પ્રધાને કહ્યું કે, ગુજરાતમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજનનો પુરવઠો જળવાઈ રહે તે માટે વિતરણ પ્રણાલીને મજબૂત કરવામાં આવી છે. ગંભીર દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ પણ ખુબ વધી છે તેને પહોંચી વળવા માટે પર પ્રયત્નો થઇ રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યમાં પૂરતા વેક્સિનેશન અને કૉવિડ એપ્રોપ્રિઍટ બિહેવિયરના ચુસ્ત પાલન થકી આવનારા દિવસોમાં ગુજરાત કોરોના પર પ્રભાવી નિયંત્રણ મેળવવામાં સફળ થશે તેવો વિશ્વાસ વિજય રૂપાણીએ વડાપ્રધાન સમક્ષની વિડીયો કોન્ફરન્સ થકી બેઠકમાં વ્યક્ત કર્યો હતો.