સુરતની એવી સરકારી શાળા જ્યાં પ્રવેશ માટે આ વર્ષે પણ લાગી લાઇન, આવ્યા 3500થી વધુ ફોર્મ
સુરતની એક સરકારી શાળામાં 1600 વિદ્યાર્થીઓની જગ્યા છે. પરંતુ આ વર્ષે પણ પ્રવેશ માટે 3500થી વધુ વિદ્યાર્થીઓ આવતાં અહી ડ્રો કરીને પ્રવેશ આપવો પડી રહ્યો છે.
ખાનગી શાળામાં અભ્યાસ માટે વાલીઓ ઊંચું ડોનેશન આપીને પણ બાળકોને પ્રવેશ અપાવતા હોય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે સરકારી શાળામાં અભ્યાસ કરાવવા માટે વાલીઓ લાઈનમાં ઉભા રહે છે? હાલ કોરોના કાળમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે ત્યારે વાલીઓ ખાનગી સ્કૂલમાંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈને સુરતની આ સરકારી શાળામાં બાળકનું અભ્યાસ કરાવવા દોટ મૂકી રહ્યા છે.
કોરોનાના કારણે એક તરફ લોકોની આર્થિક સ્થિતિ બગડી છે તો બીજી તરફ શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર પણ સુધરી રહ્યું છે. એક જ બિલ્ડીંગમાં બે પાળીની શાળા ચાલે છે. જેમાં કુલ 1600 વિદ્યાર્થીઓની સંખ્યા છે. પરંતુ આ વર્ષે પણ પ્રવેશ માટે 3500થી વધુ વિદ્યાર્થીઓ આવતાં અહી ડ્રો કરીને પ્રવેશ આપવો પડી રહ્યો છે.
સુરતના ઉતરાણ વિસ્તારમાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ (મહાનગર પાલિકા) દ્વારા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334. આ સરકારી શાળામાં આ વર્ષે પણ વિદ્યાર્થીઓના એડમિશન માટે વાલીઓએ પડાપડી કરી છે.
શું છે આ શાળાની ખાસિયતો?
આ શાળામાં બાળકોને હાઈટેક શિક્ષણ આપવામાં આવે છે. રમવા માટે શાળામાં વિશાળ મેદાન પણ છે. બાળકોના સર્વાંગી વિકાસ અને અભ્યાસ કરાવવા માટે શિક્ષિત સ્ટાફની સુવિધા છે.
અહીં બાળકોને રમવા માટે જૂની પરંપરાગત રમતો પણ જીવંત રાખવામાં આવી છે. જેમ કે ભમરડા, લખોટી, લંગડી, ખોખો. આજના સમયમાં બાળકો મોબાઇલ અને કમ્પ્યુટરમાં રચ્યાપચ્યા હોય છે. તેઓ શારિરિક રમતોથી દુર થઇ રહ્યા છે. જેથી તેને જીવંત રાખવા આ રમતો શીખવાડવામાં આવે છે.
આ શાળામાં બાળકો ટીચરને સર કે મેડમ કહીને બોલાવતા, પણ તેઓ શિક્ષકને ગુરૂજી અથવા દીદી કહીને સંબોધે છે. વર્ષ દરમ્યાન મહિનામાં એક દિવસ એવો નક્કી કરવામાં આવે છે કે કોઇનો પણ જન્મદિવસ હોય તો તે દિવસે શાળાના તમામ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને બોલાવી એક હવન કરવામાં આવે છે. માતૃપિતૃ પૂજન, દાદા દાદી પૂજન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા બાળકોને સારા સંસ્કારો મળે તે પ્રયત્નો શાળાના રહે છે. હવે સુરત મહાનગરપાલિકા પણ આ કોન્સેપ્ટ અન્ય શાળાઓમાં પણ અમલ કરવા જઇ રહી છે.
આ વર્ષે કોરોના હોવાથી આ શાળા દ્વારા વેકેશન પહેલાં જ ગુગલ ફોર્મ સોશિયલ મિડિયા મારફતે મોકલવામાં આવ્યા હતા. જે લિંકના આધારે લોકોએ ફોર્મ ભરીને પરત મોકલ્યા હતા. પણ તે ફોર્મની સંખ્યા 3500થી વધુ થઈ ગઈ હતી. આ વર્ષે 1800ની સંખ્યા સામે 3500થી વધુ ફોર્મ આવતાં હવે શાળા દ્વારા ડ્રો કરીને પ્રવેશ આપવો પડયો છે.
આ પણ વાંચો: Surat: સ્ટડી માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ બાદ નોકરી અર્થે જતા લોકો માટે અલગ વેક્સિનેશન સ્લોટ, જાણો પ્રક્રિયા