ઋષિકેશ: ગંગાના પ્રવાહમાં રાજકોટના એક જ પરિવારના ત્રણ લોકો તણાયા, લોહાણા પરિવારમાં કલ્પાંત
ઋષિકેશમાં રાજકોટના એક જ પરિવારના ત્રણ સભ્યો ગંગામાં તણાયા હતા. આ કરુણ ઘટનાના પગલે પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
ઋષિકેશ યાત્રા માટે ગયેલા ગુજરાતના ત્રણ લોકો તણાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. માહિતી પ્રમાણે આ ત્રણ વ્યક્તિ રાજકોટના હોવાનું માલુમ પડ્યું છે. ખરેખરમાં રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઇ કારિયા પરિવાર સાથે ઋષિકેશ ગયા હતા. જ્યાં ઋષિકેશમાં સોમવારે મોડી સાંજે નીલકંઠ મહાદેવ પાસે તેમની પૌત્રી ન્હાવા ગઈ હતી. ગંગા નદીમાં જ્યારે પૌત્રી ન્હાવા ગઈ ત્યારે નાના નાના પથ્થરો પર પગ આવતા તે ગબડી પડી હતી. એ જ સમયે નદીમાં ઓચિંતું પાણીનો પ્રવાહ વધતા પૌત્રી તણાઈ ગઈ હતી.
તણાતી પૌત્રી બચાવવા ગયેલા પરિવારના અન્ય બે લોકો પણ ડૂબી ગયા હતા. એક જ પરિવારના કુલ 3 સભ્યો ડૂબી જતાં પરિવારમાં માતમ છવાયો છે. 3 પૈકી એકનો મૃતદેહ મળી મોદી રાત સુધી આવ્યો હતો. જ્યારે અન્ય બે ના મૃતદેહની શોધખોળ ચાલુ હતી. અહેવાલ અનુસાર બાદમાં બંને મૃતદેહ પણ મળી આવ્યા હતા. મહત્વનું છે કે, દિલીપભાઇના દીકરીની દીકરીને બચાવવા તેમના પત્ની પાણીમાં કૂદી પડ્યા હતા અને ત્યારબાદ તેમના જમાઈ કૂદી પડ્યા હતા. તેમની નજર સામે પરિવારના આ ત્રણેય આંખના પલકારામાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.