108 એમ્બ્યુલન્સની સેવા AMC હસ્તક નથી, સરકારે બનાવેલી નીતિ મુજબ કામ કરે 108 : હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે કરેલા સ્પષ્ટ નિર્દેશોને કારણે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખાસ નિમાયેલા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે, ગઈકાલે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે અધિકારીઓની બેઠક યોજી હતી. અને પ્રજાલક્ષી નિર્ણયોની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં કોરોનાનું અતિ ઝડપે વિસ્તરી રહેલા સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે સરકારી વ્યવસ્થા અવ્યવસ્થા સાબિત થતા ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો રીટ દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટો સુઓમોટી રીટની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા છે. તો પ્રજાને સતાવતી સમસ્યાઓને લઈને કેટલાક આકરા સવાલ પણ પુછ્યા છે.
હાઈકોર્ટે કરેલ અવલોકનમાં જણાવ્યુ છે કે, શુ 108ની ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હસ્તક છે કે રાજ્ય સરકાર હસ્તક. 108ની ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા AMC નથી. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ ગુજરાત સરકારે જે કોઈ નીતિ નિયમો બનાવ્યા હોય તેના આધિન કામ કરવાનું છે. સરકારી નીતી નિયમો મુજબ 108ની કામગીરી થવી જોઈએ.
અમદાવાદમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં બેડ મેળવવા માટે ઠેર ઠેર ભટકવું પડે છે. આ સ્થિતિનો નિવેડો લાવવા માટે, હોસ્પિટલની બહાર જ કુલ કેટલા બેડની વ્યવસ્થા છે. તેમાથી કેટલા દર્દી સારવાર માટે દાખલ છે અને કેટલા બેડ સારવાર માટે ઉપલબ્ધ છે તે વિગતો દર્શાવતું બોર્ડ દરેક હોસ્પિટલે લોકોની નજરે ચડે તે રીતે મૂકવુ પડશે.
કોરોનાના વધતા જતા સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે કયા વિસ્તારમાં કેટલા નિયંત્રણો મૂકવા કેટલા નિયંત્રણો દુર કરવા તે અંગેનો નિર્ણય ગુજરાત સરકારે કરવાનો છે. સરકાર જરૂરીયાત મુજબના નિયંત્રણો લાદીને કોરોનાને કાબુમા લેવાનો પ્રયાસ કરે. તેના માટે વિસ્તાર દિઠ જે કોઈ નિયંત્રણો લાદવા જરૂરી હોય તે સરકાર લાદે.
કોરોનાના ટેસ્ટ બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યુ છે. ગુજરાતમાં કોરોનાનુ પરિક્ષણ કરતી નવી લેબોરેટરી ઉભી થઈ નથી. લોકો ટેસ્ટીગના રિપોર્ટની 24 કલાક સુધી રાહ જોતા હોય છે આવા સંજોગોમાં કોરોનાના ટેસ્ટીગના આકડાઓ એકાએક કેવી રીતે વધ્યા.
ગુજરાત હાઈકોર્ટે કરેલા આવા સ્પષ્ટ નિર્દેશોને કારણે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખાસ નિમાયેલા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે, ગઈકાલે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે અધિકારીઓની બેઠક યોજી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે કરેલા અવલોકન અને કરેલા નિર્દેશ મુજબ કેટલાક મહત્વના પગલાઓની જાહેરાત કરી હતી. જે આજે 29મી એપ્રિલ 2021થી અમલમાં આવશે.
હવે અમદાવાદની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થવુ હશે તો 108માં જ જવુ ફરજીયાત નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તે વાહનમાં હોસ્પિટલ પહોચીને સારવાર માટે દાખલ થઈ શકશે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્વોટામાં દાખલ થવા માટે પણ 108ની મંજૂરી કે ભલામણની જરૂર નહી રહે. હોસ્પિટલોની બહાર ખાલી બેડ અને ભરેલા બેડની સંખ્યા દર્શાવતા બોર્ડ લગાવવાનો પણ આદેશ આ બેઠકમાં અપાયો હતો. જેનો અમલ આજ 29 એપ્રિલ 2021થી થશે.