Cyclone Tauktae Update : ગુજરાત ઉપર ત્રાટકનારા તાઉ તે વાવાઝોડાને લઈને, 1.5 લાખ લોકોનું કરાશે સ્થળાંતર, અસર પામનારા 15 જિલ્લામાં NDRFની 45 ટીમ તહેનાત
Tauktae Cyclone Gujarat Update : તાઉ તે વાવાઝોડાને કારણે ઊભી થનારી પરીસ્થિતિને પહોચી વળવા માટે NDRFની 45 ટીમ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત SDRFની 6 ટીમને પણ તહેનાત કરી દેવાઈ છે. NDRFની 29 ટીમને સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, ૪ ટીમને દક્ષિણ ગુજરાતમાં અને ૧૫ વધારાની ટીમ હવાઈ માર્ગે મંગાવાઈ છે. જે આવતીકાલ સુધીમાં આવી જશે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા તાઉ તે વાવાઝોડા સોમવારને 17મી મે એ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. હવામાન વિભાગે તાઉ તે વાવાઝુડાનો સંભવિત માર્ગ જાહેર કર્યો છે તે મુજબ, ગુજરાતના 15 જિલ્લામાં તેની અસર જોવા મળશે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લઈને સાવચેતીના ભાગરૂપે, દરિયાકાંઠાના જિલ્લાઓના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1.5 લાખ લોકોનુ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાશે. અત્યાર સુધીમાં પંદર હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર થઈ ચૂક્યું છે.
તાઉ તે વાવાઝોડાને કારણે ઊભી થનારી પરીસ્થિતિને પહોચી વળવા માટે NDRFની 45 ટીમ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત SDRFની 6 ટીમને પણ તહેનાત કરી દેવાઈ છે. NDRFની 29 ટીમને સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, ૪ ટીમને દક્ષિણ ગુજરાતમાં અને ૧૫ વધારાની ટીમ હવાઈ માર્ગે મંગાવાઈ છે. જે આવતીકાલ સુધીમાં આવી જશે. એટલુ જ નહીં પાંચ NDRFની ટીમો અનામત રાખવામાં આવી છે. એટલે કે કુલ ૪૫ NDRFની ટીમ બચાવ અને રાહતની કામગીરી માટે ફાળવવામાં આવી છે.
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે, તાઉ તે વાવાઝોડા સંદર્ભે લીધેલા પગલાઓની વિગતો આપતા જણાવ્યુ હતું કે, ૧૭ મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
તા. ૧૭ અને ૧૮મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, અમદાવાદ જિલ્લાનો દક્ષિણ ભાગ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં ૭૦ થી ૧૭૫ કિ.મી. સુધીનો પવન ફુકાવાની સંભાવના છે.
વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લેતા, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના દરિયાકાંઠા વિસ્તારમાંથી કુલ દોઢ લાખ જેટલા લોકોનું કોવિડની માર્ગદર્શીકા અનુસાર સ્થળાંતર કરાવાશે. જેમાં આજે બપોર સુધીમાં અમદાવાદ જિલ્લાનો દક્ષિણ વિસ્તાર, અમરેલી, આણંદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ સહીત કુલ 17 જિલ્લાઓમાંથી 15 હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે અને મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને દરિયામાં રહેલ માછીમારોની બોટને પરત બોલાવવા જરૂરી કાર્યવાહી કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં 1977 બોટ પરત આવી ગઈ છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલા મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.