સૂર્યવંશમ બતાવનારી ચેનલે ફિલ્મ વિશે પૂછ્યો આ સવાલ, અનુપમ ખેરે એવો આપ્યો જવાબ કે સૌ હસવા લાગ્યા
ટીવી ચેનલ પર સુર્યવંશમ એટલી વખત બતાવવામાં આવ્યું છે કે હવે તો દર્શકો ઊંઘમાં પણ એક એક ડાયલોગ બોલી શકે. તાજેતરમાં ચેનલે ફિલ્મને લઈને સવાલ પૂછ્યો હતો, જેના પર અનુપમ ખેરે મજેદાર ટીપ્પણી કરી હતી.
ઘણી બોલિવૂડ મૂવીઝ છે કે જે ટીવી વારંવાર ટેલિકાસ્ટ થાય છે. તેમજ પ્રેક્ષકોને પણ આ ફિલ્મો જોવાનું પસંદ છે. તેમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સૂર્યવંશમ્’ નું નામ મોખરે લેવામાં આવે છે. જગ જાહેર છે કે આ ફિલ્મ અન્ય ફિલ્મ્સ કરતા ઘણી વાર બતાવવામાં આવે છે. તેમજ આ ફિલ્મને લઈને અનેક પ્રકારના જોક્સ અને મીમ્સ પણ બનાવવામાં આવે છે. હવે તાજેતરમાં જ સોની મેક્સે આ ફિલ્મ માટે એક ટ્વીટ કર્યું હતું જેને અનુપમ ખેરે મજેદાર પ્રતિસાદ આપ્યો છે.
ખરેખરમાં સૂર્યવંશમ્ ફિલ્મ માટે ચેનલે લખ્યું હતું, ‘શું હીરા તેના પિતા ઠાકુર ભાનુ પ્રતાપસિંહનું દિલ જીતશે?’ હવે આ ટ્વિટ જોઈને અનુપમ ખેર હસી પડ્યા. આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘મેરે પ્યારે સોનીમેક્સ 2 મૂવીઝ વાલે. તમારો આ સવાલ જોઈને હું હસવું રોકી શકતો નથી. આ ફિલ્મ એટલી વખત બતાવવામાં આવી છે કે હવે ચંદ્ર પર રહેતા લોકો પણ આ સવાલનો જવાબ આપી શકે છે. જય હો ‘.
આ ટ્વીટ સાથે અનુપમે હસવાવાળી ઈમોજી પણ પોસ્ટ કરી હતી. ખરેખાર આ ફિલ્મ અનેક વાર ટીવી પર બતાવવામાં આવી છે. એવામાં ચેનલના આવા સસ્પેન્સ ભર્યા શબ્દોથી સોશિયલ મીડિયામાં હાસ્યનો માહોલ બની ગયો હતો. સૌને ખબર જ હશે કે આ ફિલ્મમાં અનુપમ ખેરે પણ અગત્યનો રોલ કર્યો છે.
માત્ર અનુપમે જ નહીં પરંતુ યુઝર્સએ પણ મજા લીધી હતી. એક યુઝરે કોમેન્ટ કરી કે ‘શું ભાનૂપ્રતાપ ઝેર વાળી ખીર ખાશે? જોવાનું ના ભૂલતા 7 વાગે. જ્યારે કોઈએ લખ્યું કે ‘આ પ્રશ્નને બાળકોની પરીક્ષામાં પૂછવો જોઈએ.’ તો એક યુઝરે લખ્યું કે અનુપમ સર આ સવાલ હવે તમે જ ચેનલને પૂછી શકો છો.
જણાવી દઈએ કે અહેવાલ અનુસાર સેટમેક્સ ચેનલે સૂર્યવંશમ ફિલ્મની રિલીઝ વખતે આ ફિલ્મના પ્રસારણના 100 વર્ષ સુધીના રાઈટ્સ ખરીદેલા છે. આ જ કારણ છે કે અમિતાભ બચ્ચનની આ ફિલ્મ ટીવી પર વારંવાર બતાવવામાં આવે છે. અનુપમ ખેરે પણ આ ફિલ્મમાં કોમિક રોલ ભજવ્યો છે.