દિગ્ગજ કન્નડ અભિનેતા એસ શિવરામનું થયુ નિધન, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય
કન્નડ અભિનેતા એસ શિવરામનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેના પુત્ર દ્વારા નિધનની પુષ્ટિ કરવામાં આવી હતી.
S Shivaram Death : દિગ્ગજ કન્નડ ફિલ્મ અભિનેતા (Kannad Actor) એસ શિવરામનું 83 વર્ષની વયે શનિવારે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. શિવરામે છ દાયકાથી વધુ સમય સુધી ફિલ્મી દુનિયામાં કામ કર્યું છે. તેમના પુત્ર એલ લક્ષ્મીશે કહ્યું, “મારા પિતા શિવરામ હવે આપણી વચ્ચે રહ્યા નથી. પ્રશાંત હોસ્પિટલના તબીબોએ તેમનો ઇલાજ કરવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે ભાગ્યની યોજના કંઈક જુદી હતી. જેનો આપણે સ્વીકાર કરવો પડશે.”
કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ (CM Basavraj Bommai )શિવરામના નિધન પર શોક વ્યક્ત કર્યો,તેમણે કહ્યું કે સ્વર્ગસ્થ અભિનેતાના અંતિમ સંસ્કાર રવિવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
મુખ્યપ્રધાન બોમ્મઈએ શોક વ્યક્ત કર્યો
દિગ્ગજ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતાં બોમ્માઈએ કહ્યું, “શિવરામે કલા જગતમાં પોતાના માટે એક વિશેષ સ્થાન બનાવ્યું હતું. તેણે એક અભિનેતા તરીકે દરેક પાત્રમાં પ્રાણ ફૂંક્યા. તેમની મોટાભાગની ફિલ્મોએ જબરદસ્ત સફળતા મેળવી.”
અભિનેતાને યાદ કરતાં વધુમાં બોમ્માઈએ કહ્યું, શિવરામનું કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં (Kannad Film Industry) યોગદાન ઘણું છે. તેણે પોતાની છ દાયકાની વ્યાવસાયિક કારકિર્દીમાં સહાયક દિગ્દર્શક, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા તરીકે કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી છે. તેણે શરપંજરા, શુભમંગલા, નગરહવુ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને ચાહકોના દિલમાં મહત્વનુ સ્થાન મેળવ્યુ છે.
આ ફિલ્મથી મળી ઓળખ
તમને જણાવી દઈએ કે, શિવરામનો જન્મ 28 જાન્યુઆરી, 1938ના રોજ થયો હતો અને તેઓ શિવરામન્ના તરીકે જાણીતા હતા. ફિલ્મોના દિગ્દર્શન ઉપરાંત તેમણે હીરોથી લઈને કો-સ્ટાર સુધીની 60 થી વધુ ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી હતી. તેણે 1965માં ફિલ્મ ‘બર્થા જીવા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ ‘દુદ્દે દોડપ્પા’ અને ‘લગ્ન પત્રિક’થી તેમને સફળતા મળી હતી.
આ પણ વાંચો : સલીમ-સુલેમાને Colexion સાથે લોન્ચ કર્યું NFT, કહ્યું ‘સંગીત સાથે અમારા ચાહકોની નજીક જવાની આ એક શ્રેષ્ઠ તક’