SALMAN KHANના કાળા હરણ શિકાર કેસની વધુ સુનાવણી 6 ફેબ્રુઆરીએ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પર રાજસ્થાનના જોધપુરમાં કાળા હરણનો શિકાર અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ ચલી રહ્યા છે
કાળા હરણના શિકાર કેસમાં, કોર્ટ સમક્ષ હાજર રહેવામાંથી સલમાનખાનને મુક્તિ મળી છે. જો કે આ કેસની વધુ સુનાવણી આગામી 6 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. જોધપૂર કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આજે મુદત હતી. કોર્ટ મુદત દરમિયાન ગેરહાજર રહેવા માટે સલમાનખાને કરેલી અરજી કોર્ટે, ગ્રાહ્ય રાખી હતી.
સલમાનના વકીલોની દલીલ
આ કેસની સુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલો હસ્તીમલ સારસ્વત, નિશાંત બોડા અને વિજય ચૌધરીએ કોર્ટમાં કહ્યું હતું કે કોરોના વાયરસ અને શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે સલમાન ખાન કોર્ટમાં હાજર થઈ શક્યો નથી. આ પછી જોધપુરના જિલ્લા ન્યાયાધીશ રાજેન્દ્ર કચ્છવાલે સલમાનને હાજર રહેવાની માફી આપી હતી. આ પહેલો કેસ નથી જ્યારે સલમાને અદાલતમાં માફી માંગી છે. આ 17 મી વખત છે જ્યારે સલમાનના વકીલોએ ગેરહાજર બદલ માફી માંગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પર રાજસ્થાનના જોધપુરમાં કાળા હરણનો શિકાર અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ ચલી રહ્યા છે. આ કેસમાં સલમાન ખાન કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને તેમની ધરપકડ બાદ જામીન પર છૂટા કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી હજી ચાલી રહી છે અને હવે સલમાન ખાનને આ કેસમાં સતત માફી મળી રહી છે. ફરી એકવાર કોર્ટે સલમાન ખાનને માફીની મંજૂરી આપી દીધી છે.