Birthday Special: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગુંજતૂ નામ ‘મોહનલાલ’, સુપર સ્ટારની પહેલી ફિલ્મ જ નહોતી થઈ રિલીઝ
મોહનલાલની ફિલ્મ 'ગુરુ' શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી.તેણે ફિલ્મ ક્ષેત્રે વિશેષ યોગદાન માટે ચાર વિશેષ રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે.
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (Film Indutry) આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા અભિનેતા મોહનલાલ વિશ્વનાથન નાયર(Actor Mohanlal) ગાયક અને દિગ્દર્શક પણ છે. પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે અત્યાર સુધી 340થી વધુ ફિલ્મો કરી છે. મોહનલાલને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભગવાન પણ કહેવામાં આવે છે. મોહનલાલને કલા અને અભિનય ક્ષેત્રે તેમની ઉત્કૃષ્ટ પ્રતિભા માટે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આજે તેઓ તેમનો 62મો જન્મદિવસ (Mohanlal Birthday) ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસ પર અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી વાતો જણાવીશુ.
મોહનલાલ વિશ્વનાથન નાયર
મોહનલાલનું પૂરું નામ મોહનલાલ વિશ્વનાથન નાયર છે. તેમનો જન્મ 21 મે 1960ના રોજ કેરળના (Kerala) એલાન્થુર નામના સ્થળે થયો હતો. જોકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેઓ મોહનલાલના નામથી જ ઓળખાય છે. મોહનલાલના પિતાનું નામ વિશ્વનાથન નાયર હતું. તે ચાહકોમાં પ્રેમથી ‘લલેટેન’ તરીકે પણ ઓળખાય છે. તેઓ સરકારી વકીલ હતા અને તેમની માતાનું નામ સંતા કુમારી છે. મોહનલાલે પ્રારંભિક શિક્ષણ એલપી સ્કૂલ મુદાવમુંગલ અને તિરુવનંતપુરમમાં મોડર્ન સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે.
મિત્રોએ મોહનલાલને આગળ વધવામાં મદદ કરી
મોહનલાલ તેમના શાળાના દિવસોથી નાટકોમાં ભાગ લેતા હતા અને તેમાં હંમેશા સારા અભિનયના પુરસ્કારો મેળવતા હતા. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેમણે ઉચ્ચ શિક્ષણ માટે તિરુવનંતપુરમની મહાત્મા ગાંધી કોલેજમાં પ્રવેશ લીધો. અહીંથી તેણે સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. કહેવાય છે કે આ કોલેજમાં મોહનલાલને કેટલાક એવા મિત્રોનો સમૂહ મળ્યો જેણે તેમને જીવનમાં આગળ વધવામાં ઘણી મદદ કરી.
મોહનલાલની ફિલ્મ ‘ગુરુ’ શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ (OScar Award) માટે નોમિનેટ થઈ હતી. ઉપરાંત તેમણે ફિલ્મના ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન માટે ચાર વિશેષ રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે, જેમાંથી 2 શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર અને આ સિવાય સ્પેશિયલ જ્યુરી એવોર્ડ અને શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતા પુરસ્કાર. તેમને 17 કેરળ રાજ્ય પુરસ્કારો અને 11 ફિલ્મફેર પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. બોલીવુડ ફિલ્મમાં તેમના અભિનય માટે આઇફા એવોર્ડ મેળવનાર તે એકમાત્ર સાઉથ ભારતીય અભિનેતા છે. મોહનલાલને શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટીના ડાયરેક્ટર તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.
‘થિરનોતમ’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી
મોહનલાલે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ’થિરનોતમ’થી કરી હતી. જો કે કેટલાક કારણોસર તે રિલીઝ થઈ શકી નથી. જે બાદ તેઓ ‘મંજીલ વારિન્ન્યા પુક્કલ’માં દેખાયા. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી. આ ફિલ્મ પછી મોહનલાલે પાછું વળીને જોયું નથી અને એક પછી એક ફિલ્મો કરતા ગયા. મલયાલમ ઉપરાંત, તેણે હિન્દી, તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મો જેવી બીજી ઘણી ભાષાઓમાં પણ અભિનય કર્યો. મોહનલાલની આરામ તુબરામ, નરસિંહમ, રાવણપ્રભુ અને નારણ જેવી ફિલ્મો બ્લોકબસ્ટર હતી.