Indian Idol 12: કિશોર કુમારના દીકરાએ કર્યો મોટો ખુલાસો, “શોમાં ખોટા વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું”
અમિત કુમાર ગાંગુલીએ કહ્યું છે કે તેઓ આ એપિસોડ સામેની ટીકાથી વાકેફ છે. એમ પણ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે દરેકની પ્રશંસા કરવાની છે.
સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) દર અઠવાડિયે શ્રોતાઓનું મનોરંજન કરવા માટે ખાસ એપિસોડ લાવે છે. દર અઠવાડિયે એક વિશેષ અતિથિ શોમાં આવે છે અને સ્પર્ધકોને તાલીમ આપવાની સાથે સાથે તેઓ તેમને પ્રોત્સાહિત પણ કરે છે. ગયા અઠવાડિયે આ શો ખાસ કિશોર કુમાર ઉપર હતો જેમાં તેમના પુત્ર અમિતકુમાર ગાંગુલી (Amit Kumar Ganguly) ખાસ મહેમાન તરીકે આવ્યા હતા. શોમાં સ્પર્ધકો અને જજોએ કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી, જે લોકોને પસંદ ના આવ્યું અને તેની ટીકા થઈ રહી છે. હવે આ અંગે કિશોર કુમારના પુત્રની પ્રતિક્રિયા આવી છે અને તેમણે કહ્યું છે કે તેમને પણ આ એપિસોડ પસંદ નથી આવ્યો.
એક ખાનગી સમાચાર સાથેની ખાસ વાતચીતમાં અમિત કુમાર ગાંગુલીએ કહ્યું છે કે તેઓ આ એપિસોડ સામેની ટીકાથી વાકેફ છે. એમ પણ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે દરેકની પ્રશંસા કરવાની છે, ભલે ગમે તે હોય. તેણે એમ પણ સ્વીકાર્યું કે તે આર્થિક કારણોસર ઇન્ડિયન આઇડલ 12 માં ગયા હતા.
અમિતે કહ્યું- મેં જે કરવાનું કહ્યું તે મેં કર્યું. મને કહેવામાં આવ્યું કે દરેકની પ્રશંસા કરવી પડશે. તે ભલે જેવું પણ ગાય, તમારે તેના વખાણ કરવા પડશે. કારણ કે તે કિશોર દાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. મેં વિચાર્યું કે તે મારા પિતાને શ્રદ્ધાંજલિ હશે. મેં તેમને મારી સ્ક્રિપ્ટ માટે અગાઉથી પણ પૂછ્યું હતું, પરંતુ આવું કંઈ થયું નથી.
ઇન્ડિયન આઇડલ 12 માં જવા માટેનું કારણ
જ્યારે અમિતને ઈન્ડિયન આઇડલ 12 પર જવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે દરેકને પૈસાની જરૂર હોય છે. મેં જે પૈસા માંગ્યા તે આપ્યા, તેમને મારી માંગણીને પૂર્ણ કરી, તો હું કેમ ના જાઉં. પરંતુ કંઈ વાંધો નહીં. હું શો, જજ અને સ્પર્ધકોને માન આપું છું. આ પ્રકારની વસ્તુઓ કેટલીકવાર બની જાય છે.
જજ નેહા કક્કર અને હિમેશ રેશમિયાએ કિશોર કુમારના ગીત ગાવા પર થયેલી આલોચના વિશે તેમણે કહ્યું કે “હા, મને આ એપિસોડમાં બિલકુલ આનંદ જ ના મળ્યો.”
કિશોર કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ગાયકોમાંના એક છે. તેમણે એક લાડકી ભીગી ભાગિ સી, ઓ મેરે દિલ કે ચેન, મેરે સપનો કી રાની, યે શામ મસ્તાની જેવા ઘણા શ્રેષ્ઠ ગીતો ગાયા છે. તેમણે હિન્દી સિવાય બંગાળી, મરાઠી, ગુજરાતી અને ભોજપુરી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે.
આ પણ વાંચો: શું કાર્ટૂનના છેલ્લા એપિસોડમાં ‘ટોમ એન્ડ જેરી’એ આત્મહત્યા કરી લીધી હતી? જાણો શું છે સત્ય
આ પણ વાંચો: હંમેશા એક જ લાઈનમાં કેમ ચાલે છે કીડીઓ ? જાણો તેના પાછળનું રોચક કારણ