Dilip Kumar Health : દિલીપ કુમારના મોતના સમાચારો પર ભડકી સાયરા બાનો, કહ્યું – ઠીક છે સાહેબ
સાયરા બાનોએ દિલીપકુમારની તબિયત વિશે માહિતી આપતી વખતે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી દિલીપ કુમારને શ્વાસને સંબંધિત તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) ની રવિવારે તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમને હિન્દુજા હોસ્પિટલમાં રુટિન ટેસ્ટ અને અન્ય પરીક્ષણો માટે દાખલ કરવા પડ્યા હતા. દિલીપકુમારને હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતાની સાથે જ તેમના મોત અંગે અફવાઓ ઉડવા માંડી હતી. આ અફવાઓ પર દિલીપકુમારની પત્ની અને દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનો (Saira Banu) ગુસ્સે થયા હતા.
એક અહેવાલ મુજબ સાયરા બાનોએ દિલીપકુમારની તબિયત વિશે માહિતી આપતી વખતે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી દિલીપ કુમારને શ્વાસને સંબંધિત તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે હવે ઠીક છે. આ સાથે જ દિલીપકુમારના મોતની અફવાઓ ફેલાવનારાઓ પર આકરા પ્રહારો કરતાં સાયરા બાનોએ દિલીપકુમારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું.
અફવા નીકળી દિલીપકુમારના મોતના સમાચાર
તેમણે લખ્યું- “વોટ્સએપ ફોરવર્ડ્ પર વિશ્વાસ ન કરો, બધુ ઠીક છે. તમારી દિલથી કરેલી દુઆઓ અને પ્રાર્થનાઓ બદલ આભાર. ડોકટરોના જણાવ્યા મુજબ, તે 2 થી 3 દિવસમાં ઘરે આવશે. ઇન્શા અલ્લાહ. ”
Don’t believe in WhatsApp forwards. Saab is stable. Thank you for your heart-felt duas and prayers. As per doctors, he should be home in 2-3 days. Insh’Allah.
— Dilip Kumar (@TheDilipKumar) June 6, 2021
એક અહેવાલ મુજબ રવિવારે વાત સામે આવી હતી કે દિલીપકુમારને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. ઓક્સિજનના ઘટાડાની સાથે તેમના ફેફસાંમાં પણ પાણી ભરાવાની સમસ્યા પણ પ્રકાશમાં આવી હતી. ડૉક્ટરોના મતે દિલીપકુમાર સ્થિર છે અને આઈસીયુમાં દાખલ નથી. જો બધું બરાબર થઈ જાય, તો તેમને 2 થી 3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે રવિવારે સવારે દિલીપકુમારના ટ્વિટર હેન્ડલ દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ થવા વિશે માહિતી આપવામાં આવી હતી. આ ટ્વિટમાં લખ્યું હતું – દિલીપ સાહેબને નોન કોવિડ હિન્દુજા હોસ્પિટલમાં રૂટીન ટેસ્ટ માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમને થોડા સમયથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ડૉ. નીતિનની ટીમ તેમની સંભાળમાં રોકાયેલ છે.
દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી મળ્યા બાદ એનસીપીના પ્રમુખ શરદ પવાર તેમને મળવા માટે હિન્દુજા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. શરદ પવારની હોસ્પિટલમાંથી બહાર આવતાની ફોટોગ્રાફર્સે તસ્વીરો તેમના કેમેરામાં કેદ કરી હતી. આ સિવાય અનેક હસ્તીઓ અને દિલીપ કુમારના ચાહકો તેમની ઝડપથી તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે.