ગુજરાતમાં AAPનો મુખ્યમંત્રી ચહેરો કોણ છે? અરવિંદ કેજરીવાલ આજે જાહેરાત કરશે
આમ આદમી પાર્ટી(AAP Party)એ ગુજરાતની તમામ 182 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી અરવિંદ કેજરીવાલ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 11 જેટલા રોડ શો કરશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો શંખ વાગી ગયો છે. ચૂંટણી પંચે મતદાનની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. દરમિયાન, આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. શુક્રવારથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની પાંચ દિવસની મુલાકાતે આવશે. ગુજરાત પ્રવાસના પહેલા દિવસે એટલે કે 4 નવેમ્બરે અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે.
કેજરીવાલે લોકોને અપીલ કરી હતી કે તેઓ પંજાબની તર્જ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરીને ગુજરાત ચૂંટણીમાં AAPના સીએમ ઉમેદવાર ચહેરાને પસંદ કરે, આ માટે પાર્ટીએ હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી પણ જારી કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોની પ્રતિક્રિયા અને પસંદગીના આધારે જ કેજરીવાલ મુખ્યમંત્રી પદ માટે ચહેરાની જાહેરાત કરશે.
કેજરીવાલ ઘણી જગ્યાએ રોડ શો કરશે
5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધીના તેમના ચાર દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લગભગ 11 રોડ શો કરશે. જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતની તમામ 182 સીટો પર વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા મહિનાઓથી પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી વ્યસ્ત છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAPના 27 ઉમેદવારોનો વિજય થયો હતો
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો. આમ આદમી પાર્ટીના 120 માંથી 27 ઉમેદવારો જીત્યા અને 28.47% મત મેળવ્યા. જ્યારે ગાંધીનગરમાં તેમણે 44માંથી 40 બેઠકો પર ચૂંટણી લડી હતી. અહીં તેમનો એક ઉમેદવાર જીત્યો અને તેને 21.70% વોટ મળ્યા.
આમ આદમી પાર્ટીએ રાજકોટની તમામ 72 બેઠકો, ભાવનગરની તમામ 52 અને અમદાવાદની તમામ 192 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ અહીં તેમને એક પણ બેઠક મળી નથી. જોકે, રાજકોટમાં 17.40%, ભાવનગરમાં 8.41% અને અમદાવાદમાં 6.99% મતદાન થયું હતું. આ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ જનતાને ઘણા વચનો આપ્યા છે.