Gujarat Election Analysis 2022 : ગુજરાતમાં હંમેશાથી મજબૂત વિપક્ષ તરીકે રહેતી કોંગ્રેસ પાર્ટીના આ વખતે વળતા પાણી કેમ થયા ? આ રહ્યા ઉડીને આંખે વળગે તેવા કારણો
એક સમયે સત્તાની ખુબ નજીક લાગી રહ્યુ હતુ કોંગ્રેસ પરંતુ તેવું કંઈ જ આ વખતે ના જોવા મળ્યુ. આ વખતે કોંગ્રેસ એક્સ્ટ્રા વોટ તો ઠીક પરંતુ પોતાના કમિટેડ વોટર્સને પણ ના સાચવી શકી.
કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં હંમેશાથી મજબૂત વિપક્ષ તરીકે રહેતી. 2022માં ગોધરા સમયે પણ કોંગ્રેસે 50થી વધુ બેઠકો જાળવી રાખી હતી. આદિવાસી, લઘુમતિ તથા દલીત વિસ્તારો તથા અન્ય જાતિ અને શહેરોમાં પણ હંમેશાથી કોંગ્રેસના કમિટેડ વોટર્સ રહ્યા છે. અને એટલે દર વખતે એવરેજ 40 ટકા આસપાસ કોંગ્રેસના પક્ષમાં મતદાન થતુ હતુ. જોકે તેમાં પણ 2017માં તો કોંગ્રેસે સૌથી વધુ 77 સીટો જીતી હતી. એક સમયે સત્તાની ખુબ નજીક લાગી રહ્યુ હતુ કોંગ્રેસ પરંતુ તેવું કંઈ જ આ વખતે ના જોવા મળ્યુ. આ વખતે કોંગ્રેસ એક્સ્ટ્રા વોટ તો ઠીક પરંતુ પોતાના કમિટેડ વોટર્સને પણ ના સાચવી શકી. પરિણામે કોંગ્રેસના વળતા પાણી થયા.
કોંગ્રેસ પાર્ટીની નિષ્ક્રિયતા !
એક બાજુ ભાજપ એગ્રેસિવ રીતે જંગ લડી રહી હતી ત્યારે કોંગ્રેસમાં એટલો ઉત્સાહ નહોતો જોવા મળતો. ગામે ગામ જતા ચોક્કસ હતા પરંતુ તેનાથી કોઈ વેવ ઉભી ના થઈ. પાર્ટીને થોડા સમયમાં ખ્યાલ આવી જવો જોઈએ કે આ સ્ટ્રેટેજી કામ નથી કરી રહી. પરંતુ કોંગ્રેસ સ્ટ્રેટેજી બદલવાથી લઈને એગ્રેસિવ થવા સુધીના મામલામાં સતત નિષ્ક્રિય જોવા મળી હતી. ઘણા કારણોમાંથી આ પણ એક ઉડીને આંખે વળગે તેવુ કારણ છે.
કેન્દ્રીય નેતાઓની ગેરહાજરી
ભાજપમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ એ સિવાય તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો પ્રચારમાં જોડાયા ત્યાં કોંગ્રેસમાં અશોક ગહેલોત અને ભૂપેશ બઘેલ સિવાય નોંધનીય કોઈ ચહેરો દેખાયો નહી. ખાસ તો રાહુલ ગાંધીએ પહેલા તબક્કામાં છેલ્લે છેલ્લે બે રેલીઓ કરી અને બીજા તબક્કામાં તો રાહુલ આવ્યા પણ નહી. પ્રિયંકા ગાંધી પણ કેમ્પેનથી બહાર રહ્યા . તેનાથી કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો અભાવ દેખાયો હતો.
મજબૂતીથી મુદ્દા ના ઉઠાવ્યા
કોંગ્રેસે રોડ રસ્તા પર આવીને મુદ્દાઓને મોટા ના બનાવ્યા. મોરબી દુર્ઘટનામાં પીડિતોને ન્યાય અપાવવા માટે સત્તા સામે લડાયક મુદ્રામાં આવવાની જગ્યાએ ડિફેન્સીવ દેખાઈ કે જેના લીધે લોકોમાં ચૂંટણીના મહિના પહેલા જે લાગણી ઉદભવી જોઈએ તે કોંગ્રેસ ના ઉદભવી શકી. અને જો તેની જગ્યાએ ભાજપ હોય તો સરકાર જવા સુધીનું જોખમ સત્તા વિરૂદ્ધ સર્જી શકી હોત. કારણ કે તેવું 2014 પહેલા વિપક્ષમાં ભાજપ હતી ત્યારે જોવ મળતુ હતુ.
અનેક મોટા નામ ભાજપમાં ભળી ગયા
5 વર્ષ દરમિયાન કોંગ્રેસના અનેક મોટા નામ ભાજપમાં ભળી ગયા અને તેને કોંગ્રેસ મનાવી ના શકી. આવા અનેક નામ છે જેમ કે બ્રિજેશ મેરજા, કોળી નેતા કુંવરજી બાવળિયા, પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર, જવાહર ચાવડા આવા તો 15થી વધુ નામ છે કે જે 2017માં કોંગ્રેસ સાથે હતા ત્યારે કોંગ્રેસ મજબૂત દેખાતી હતી પરંતુ તેઓ 2022માં નહોતા તો કોંગ્રેસ નબળી દેખાઈ.
ઈમોશનલ ફેક્ટરનો અભાવ
2017માં ત્રણ જ્ઞાતિના લોકો ભાજપની સામે હતા જેમાં જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ તથા અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે. તે સમયે લોકોના ઈમોશન્સ આ ત્રણ નેતાઓ સાથે જોડાયા હતા પરંતુ આ વખતે પ્રજાના ઈમોશ્ન્સ સાથેનો કોઈ મોટો મુદ્દો જોવા ના મળ્યો. કોંગ્રેસે ચોક્કસ મોંઘવારી બેરોજગારી જેવા પાયાના પ્રશ્નો ઉઠાવ્યા પરંતુ તેનાથી કોંગ્રેસ તરફી પ્રજાની લાગણી ઉદભવી નહી.
જોકે લોકશાહી છે કોઈએક પાર્ટી જીતે અને એક હારે પરંતુ કોંગ્રેસે અહિંથી આત્મમંથનની સખત જરૂર છે અને જો પાર્ટી તે નહી કરે તો ગુજરાત કોંગ્રેસના અચ્છે દિન આવવાની કોઈ શક્યતા નથી. પાર્ટીએ પોતાના માળખામાં ધરખમ ફેરફાર કરવા પડે, પ્રજાની વચ્ચે જવું પડે અને લોકો સાથે જનસંપર્ક કરી સતત મુદ્દાઓને ઉઠાવતા રહેવુ પડે. હજી 5 વર્ષનો સમય બાકી છે જો કોંગ્રેસ પરિણામને પરખીને વ્યુહરચના બનાવે તો પાર્ટી જીવંત થઈ શકે નહી તો વર્તમાન પરિણામ પાર્ટીની સામે જ છે.