સરદાર જયંતીથી ગુજરાત કોંગ્રેસની પરિવર્તન યાત્રાની શરૂઆત, કોંગ્રેસને જીતાડવા રાજસ્થાનના બે નેતાઓનો પ્રચાર
Gujarat Assembly Election 2022: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પૂર્વે જ કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે. સરદાર જયંતિથી કોંગ્રેસની પરિવર્તન યાત્રાની શરૂઆત કરશે. ગુજરાતમાં કોંગ્રેસના જીતાડવા રાજસ્થાનના બે નેતાઓ સભાઓ ગજવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પૂર્વે જ કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા લઈ સમગ્ર રાજ્યમાં ફરશે. 2017માં જ્યાં રાહુલ ગાંધી બસ લઈને ગુજરાતભરમાં ફર્યા હતા, ત્યારે આ ચૂંટણીમાં એક યાત્રાને બદલે અલગ-અલગ 5 જગ્યાઓથી એક સાથે યાત્રા શરૂ કરવા જઈ રહ્યું છે. પરિવર્તન સંકલ્પ યાત્રા સાથે કોંગ્રેસ આક્રમક પ્રચાર પ્રસારની શરૂઆત કરશે.
વિધાનસભા 2022ની ચૂંટણીને ગુજરાત કોંગ્રેસ એક મિશન તરીકે લઈ રહી છે અને આ જ કારણથી આ મિશનને પાર પાડવા માટે નવી નવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી છે. આ વખતે 2022 વિધાનસભાની ચૂંટણીમાં 2017 વિધાનસભાની ચૂંટણી કરતા અલગ જ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. જેમાં કોંગ્રેસ વધારેમાં વધારે લોકો સુધી પહોંચવા યાત્રાઓના સહારે જોવા મળી રહ્યું છે. દિવાળી પહેલા પણ યુથ કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં સમગ્ર રાજ્યમાં યુવા પરિવર્તન યાત્રા યોજી હતી. ત્યારે હવે દિવાળી બાદ રાષ્ટ્રીય નેતા તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના માર્ગદર્શનમાં ગુજરાતના ચારેય ઝોનમાંથી 5 પરિવર્તન સંકલ્પ યાત્રા યોજવામાં આવશે. સરદાર પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબરથી કોંગ્રેસ રાજ્યમાં 5 પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત કરશે.
- બનાસકાંઠાના વડગામ, ભુજ, ફાગવેલ અને જંબુસરથી કોંગ્રેસ યાત્રાઓ શરૂ કરી રહ્યું છે. જેમાં ચાર કરોડથી વધુ લોકો સુધી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ પહોંચવાનું કોંગ્રેસનું આયોજન છે. તમામ પાંચ યાત્રાઓમાં 145 સભાઓ અને 95 થી વધુ રેલીઓ યોજવામાં આવશે. યાત્રાના આયોજન માટે કોંગ્રેસના 10 લાખથી વધુ કાર્યકરોને ફિલ્ડમાં તેમજ ઓનલાઈન જવાબદારીઓ સોંપવામાં આવી છે.
- કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની યાત્રા કચ્છ , મોરબી , જામનગર , પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મોરબી જિલ્લાને સમાવતી રહેશે. 8 દિવસ ચાલનાર યાત્રાની શરૂઆત મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ કરાવશે.
- સૌરાષ્ટ્ર ઝોન 2 ની યાત્રા 7 દિવસની રહેશે, જેમાં ગીર સોમનાથ , અમરેલી , ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લાઓને સમાવવામાં આવશે.
- ઉત્તર ગુજરાતની 7 દિવસિય યાત્રાની શરૂઆત વડગામથી રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત કરાવશે. જે બનાસકાંઠા , પાટણ, મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી અને ગાંધીનગરથી પસાર થશે.
- મધ્ય ગુજરાતની 8 દિવસિય યાત્રાની શરૂઆત રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ કરાવશે. બક્ષીપંચ સમાજની આસ્થાનું કેન્દ્ર ફાગવેલથી શરૂ થઈ રહેલ યાત્રા વડોદરા, આણંદ, ખેડા , નડિયાદ, મહીસાગર, પંચમહાલ , દાહોદ , છોટા ઉદેપુર જિલ્લાને આવરી લેશે.
- દક્ષિણ ગુજરાત 6 દિવસની યાત્રાની શરૂઆત જંબુસરથી રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા કરાવશે. જે ભરૂચ , નર્મદા , તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાને આવરી લેશે.
ગુજરાત કોંગ્રેસની આ યાત્રાથી રાજ્યની 175 વિધાનસભા વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ યાત્રાઓની શરુઆત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ કરશે અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ યાત્રાને આગળ ધપાવશે. યાત્રાઓ દરમ્યાન રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આપેલા 8 વચનો જન જન સુધી પહોચાડવામાં આવશે