Gujarat Election 2022: વડોદરાની સભામાં PM અને યોગેશ પટેલની ચર્ચાએ ધ્યાન ખેંચ્યું,જાણો બંને વચ્ચે શું વાતચીત થઇ
Gujarat assembly election: ભાજપમાં આ વખતે ટિકિટ મેળવવાની ભારે હોડ જામી હતી. આમ છતાં કેટલાક મંત્રી અને કેટલાક વર્તમાન ધારાસભ્યો પણ ટિકિટ મેળવવામાં સફળ ન થયા. પરંતુ આ બધામાં વડોદરાની માંજલપુર બેઠકના ઉમેદવાર યોગેશ પટેલ અપવાદરૂપ હતા.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ભાજપમાં આ વખતે ટિકિટ મેળવવાની ભારે હોડ જામી હતી. આમ છતાં કેટલાક મંત્રી અને કેટલાક વર્તમાન ધારાસભ્યો પણ ટિકિટ મેળવવામાં સફળ ન થયા. પરંતુ આ બધામાં વડોદરાની માંજલપુર બેઠકના ઉમેદવાર યોગેશ પટેલ અપવાદરૂપ હતા. જેઓને સામે નહોતો ઉંમરનો બાદ્ય નડ્યો કે નહોતી એન્ટિઇન્કમબન્સીની અસર દેખાઇ. યોગેશ પટેલની લોકપ્રિયતાને જોતા ભાજપ તેમને ટિકિટ આપવા જાણે કે મજબૂર બન્યું. આ તમામ વચ્ચે વડોદરામાં વડાપ્રધાનની જનસભા સમયે યોગેશ પટેલ અને વડાપ્રધાન મોદી વચ્ચે હળવી ચર્ચા ઉડીને આંખે વળગી હતી. સ્ટેજ પર વડાપ્રધાન મોદીએ યોગેશ પટેલને નજીક બોલાવી ચર્ચા કરી હતી. કહેવાય છે કે મોદીએ તેમની જંગી જીતનું વચન માગ્યું હતુ. મોદી અને યોગેશ પટેલની વાતની નોંધ સ્ટેજ પર હાજર નેતાઓ સહિત જનતાએ પણ લીધી હતી.
PMએ જંગી જીતનું વચન માગ્યું હોવાની ચર્ચા
ગઈકાલે વડોદરામાં પીએમ મોદીની જાહેરસભા હતી. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માંજલપુર બેઠકના ઉમેદવાર યોગેશ પટેલને બોલાવીને પૂછ્યું બધુ બરાબર છે ને? સાથે જ વધુમાં વધુ મતોથી જીતવાની શુભેચ્છા પણ આપી. સભા દરમિયાન પીએમ મોદીએ યોગેશ પટેલને બે વખત પોતાની પાસે બોલાવ્યા હતા અને ચૂંટણી જીતવાનું જાણે વચન માગી લીધુ હતું. તેમણે યોગેશ પટેલને સવાલ કર્યો હતો કે સારા મતથી જીતશોને? જેના જવાબમાં યોગેશ પટેલે હા પાડી હતી. યોગેશ પટેલે વડાપ્રધાનને શિવરાત્રી પ્રસંગે વડોદરા આવવાનું આમંત્રણ આપ્યું હતું. કારણ કે શહેરના સૂરસાગર તળાવમાં શિવજીની 111 ફૂટ ઊંચી પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરી ચાલી રહી છે. આ કાર્ય શિવરાત્રિ પહેલા પૂરી કરી દેવાશે અને શિવરાત્રીએ સમારોહ યોજાશે. જે પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોજાય તે માટે યોગેશ પટેલે નિમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ પણ તેમના નિમંત્રણનો સ્વીકાર કરીને આવવાની હા પાડી હતી.
પીએમ મોદીએ સવાલ કર્યો હતો કે શિવજીની પ્રતિમા પર સોનું ચઢી ગયું? જેના જવાબમાં યોગેશ પટેલે હા પાડી હતી. ત્યારબાદ પીએમ મોદીએ સવાલ કર્યો હતો કે સિક્યોરિટી પણ રાખવી પડશેને? જેના જવાબમાં યોગેશ પટેલે કહ્યું હતું કે- સિક્યોરિટીની જરૂર નથી કારણ કે ઊંચી પ્રતિમા પાણીની વચ્ચે છે અને 32 ફૂટ ઊંચા પેડસ્ટલ પછી પ્રતિમાં મૂકાઈ છે. તેમ છતાં પીએમ મોદીએ સલાહ આપી હતી કે- કોઈ ચોરી ન જાય તે સાચવજો.