હવે ક્ષત્રિય સમાજ મેદાને, સાબરકાંઠામાં રેલી યોજી કરણી સેનાએ ક્ષત્રિયોને 55 બેઠક પર ટિકિટ આપવાની કરી માગ
Gujarat Election:વિધાનસભા ચૂંટણીમાં એક બાદ સમાજ ટિકિટની માગ કરી રહ્યો છે. તેમા હવે કરણી સેનાએ પણ ક્ષત્રિય સમાજનું જ્યાં જ્યાં પ્રભુત્વ હોય ત્યા ટિકિટની માગ કરી છે. સાબરકાંઠામાં કરણીસેનાએ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યુ અને 55 બેઠકો પર ક્ષત્રિયોને લડાવવાની વાત કરી છે.
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ જ્ઞાતિ આધારિત રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. એક બાદ એક સમાજ અને જાતિઓ પોતાના માટે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની માગ કરી રહી છે. જેમાં OBC સમાજ, કોળી સમાજ, પાટીદાર સમાજ બાદ હવે કરણી સેનાએ ક્ષત્રિય સમાજને ટિકિટ આપવાની માગ કરી છે. સાબરકાંઠા(Sabarkatha)માં કરણી સેનાએ એક વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. આ રેલી બાદ કરણી સેના(Karani Sena)ના પ્રમુખ રાજ શેખાવતે જણાવ્યુ કે ક્ષત્રિય સમાજ રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યો છે. તેમણે કહ્યુ અમે સર્વે કરાવ્યો છે. રાજ્યમાં 55 બેઠક પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને આ તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજને ટિકિટ મળે તેવી અમારી માગ છે. આ સાથે રાજ શેખાવતે (Raj Shekhavat) ઉમેર્યુ કે જે પક્ષ અમને ટિકિટ આપશે તેમને અમારુ સમર્થન રહેશે.
જે પાર્ટી ટિકિટ આપશે તેમને સમાજનું ખુલ્લુ સમર્થન રહેશે- રાજ શેખાવત
રાજ શેખાવતે વધુમાં જણાવ્યુ હતુ કે જો ક્ષત્રિય સમાજને ટિકિટ નહીં મળે તો તેઓ અપક્ષમાંથી ઉમેદવારો ઉભા રાખશે. રાજ શેખાવતે સ્પષ્ટ કર્યુ છે કે જે પાર્ટી તેમને ટિકિટ આપશે તેને સમાજનું ખુલ્લુ સમર્થન રહેશે. ક્ષત્રિય સમાજે 55 બેઠકોની માગ કરી છે.
થોડા દિવસ અગાઉ ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજની યોજાઈ હતી ચિંતન શિબિર
આ અગાઉ ભાવનગરમાં પણ આાગામી ચૂંટણીને અનુલક્ષીને ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે હેતુથી ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ જોતા ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી ટિકિટની માગણી કરવામાં આવી છે. બેઠકમાં ક્ષત્રિય સમાજનો એક જ સૂર જોવા મળ્યો કે જો ક્ષત્રિય સમાજને ટિકિટ નહીં મળે તો જેમ ક્ષત્રિય સમાજ અન્ય ઉમેદવારોને જીતાડી શકે છે તેમ અમે હરાવી પણ શકે છે.
સિદસર ઉમિયાધામના જેરામ પટેલે પાટીદારો માટે માગી હતી ટિકિટ
આ અગાઉ જામનગર સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલે પણ પાટીદારો માટે ચૂંટણીમાં 50 ટિકિટની માગ કરી હતી. તેમણે પાટીદારોના પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારોને ટિકિટ આપવાની વાત કરી હતી. એ પહેલા કોળી સમાજ પણ તેમના ઉમેદવારને પ્રભુત્વ આપવાની માગ કરી ચુક્યો છે.