Narmada: ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી. એલ. સંતોષની અધ્યક્ષતામાં ST મોરચાની બેઠક યોજાઈ, આદિવાસી મતો મેળવવાની રણનીતિ ઘડાઈ
કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેમણે આદિવાસીઓ માટે ભાજપે કંઈ નથી કર્યું તેવા આક્ષેપ કર્યા હતા. ત્યારે આ બેઠકમાં રાહુલ ગાંધીના આક્ષેપો અંગે આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે વળતો જવાબ આપ્યો હતો.
ભાજપના (BJP) રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી. એલ. સંતોષની (B.L. Santosh) અધ્યક્ષતામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Statue of Unity) એકતા નગરમાં ભાજપ ST મોરચાની બેઠક યોજાઈ. જેમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં (Gujarat Assembly elections) આદિવાસી મતો મેળવવાની રણનીતિ પર ભાજપના આગેવાનો અને ટોચના આદિવાસી નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ભાજપને વધુ મજબુત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના નેતાઓ હવે વધુમાં વધુ બેઠકો મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતના પ્રવાસ વધારી દીધા છે. જેથી હવે રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ.સંતોષ (B.L. Santosh) પણ ગુજરાત મુલાકાતે આવ્યા છે. બી.એલ.સંતોષે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એકતા નગરમાં ભાજપ ST મોરચાની બેઠક યોજી. આ પ્રસંગે ત્રિપુરાના ઉપમુખ્યમંત્રી અને ગોવાના સ્પીકર પણ હાજર રહ્યા.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેમણે આદિવાસીઓ માટે ભાજપે કંઈ નથી કર્યું તેવા આક્ષેપ કર્યા હતા. ત્યારે આ બેઠકમાં રાહુલ ગાંધીના આક્ષેપો અંગે આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે વળતો જવાબ આપ્યો હતો. તેમને કહ્યું કે આજના અને કોંગ્રેસ સમયના ભારતમાં બહુ ફરક છે. આપણે કોરોનામાં બીજા દેશ પર નિર્ભર રહેવું પડ્યું નથી. બીજી તરફ મનસુખ વસાવાના નિવેદન અંગે નિમીષા સુથારે કહ્યું, આદિવાસીના અધિકાર છીનવાઈ રહ્યાં હોય તેવું મને લાગતું નથી. વિશ્લેષણ સમિતિ દ્વારા તેનો અભ્યાસ થઈ રહ્યો છે.
સંઘ સાથે બેઠકો કરી એક રિપોર્ટ તૈયાર કરશે
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવનારા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ વિધાનસભાની વહેલી ચૂંટણી સંદર્ભે ભાજપ સરકાર, સંગઠન અને સંઘ સાથે બેઠકો કરી એક રિપોર્ટ તૈયાર કરી પક્ષના મોવડીઓને આપશે. જેના આધારે સંઘ અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી અંગેનો આગામી નિર્ણય લઈ શકે છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ મામલે ભાજપે ફાસ્ટટ્રેક મોડ પર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના મોટા નેતાઓએ સમીક્ષા બેઠકો અને ચિંતન શિબિર શરુ કરી દીધી છે. આ પહેલા 7 મેના રોજ સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠકનું આયોજન દિલ્હીમાં થયુ હતુ, તે પરંપરામાં બદલાવ લાવીને અને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના આમંત્રણને માન આપીને એકતાનગરમાં પ્રથમ વખત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.