વિધાનસભાની ચૂંટણીમાં મતદાન નહી કરનાર કર્મચારીના નામ બોર્ડ પર લખાશે, ચૂંટણી પંચે અનેક કંપનીઓ સાથે કર્યા MOU
ખાનગી કંપની, કોર્પોરેટ હાઉસ ઉપરાંત રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના એકમો અને સરકારી વિભાગોના કર્મચારીઓ કે જેઓ મતદાન નહીં કરે તેમને પણ ટ્રેક કરવામાં આવશે.
ચૂંટણી પંચે (Election Commission) ગુજરાતમાં એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસ સાથે અનોખા કરાર કર્યા છે. આ કરાર હેઠળ, આ કોર્પોરેટ ગૃહો (Corporate houses) તેમના કર્મચારીઓ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરે છે કે નહીં, તેના પર નજર રાખશે. જો આ કોર્પોરેટ ગૃહોના કર્મચારીઓમાંથી કોઈએ તેમનો મત ના આપ્યો, તો તેઓ તેમની વેબસાઈટ અથવા ઓફિસના નોટિસ બોર્ડ પર મતદાન ના કરનાર લોકોની યાદી બનાવીને તેમા મતદાન ના કરનારનું નામ લખશે.
ચૂંટણી પંચે જૂનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને 500 થી વધુ કર્મચારીઓ ધરાવતી કોર્પોરેટ કંપનીઓને મતદાન માટે પ્રોત્સાહીત કર્યા છે. આવી કંપનીના જે કોઈ કર્મચારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ના કરે તેવા કર્મચારીઓની ઓળખ કરવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવા પણ જણાવ્યું હતું,
મીડિયા રિપોર્ટ અનુસાર, ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી ભારતીએ કહ્યુ કે, “અમે 233 એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે. જે અમને ચૂંટણી પંચની માર્ગદર્શિકાના અમલમાં મદદ કરશે. ગુજરાતમાં પ્રથમ વખત અમે 1,017 ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા કર્મચારીઓની ચૂંટણીમાં ભાગીદારી પર નજર રાખીશું.”
આ અહેવાલમાં પી ભારતીને ટાંકીને કહેવાયું છે કે, “ વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચની પહોંચ વધારવા માટે, પંચે ગુજરાતમાં 100 કે તેથી વધુ કામદારોને રોજગારી આપતા ઉદ્યોગો પર નજર રાખવાનું નક્કી કર્યું છે. આ એકમોમાં નોડલ ઓફિસર તરીકે જે તે કંપનીના HR અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ મતદાન ના કરનારા કર્મચારીઓની યાદી તૈયાર કરશે અને આ યાદીને કંપની, પોતાની વેબસાઇટ અથવા નોટિસ બોર્ડ પર પ્રકાશિત કરશે. એ જ રીતે રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના એકમો અને સરકારી વિભાગોના કર્મચારીઓ કે જેઓ મતદાન નહીં કરે તેમને પણ ટ્રેક કરવામાં આવશે.”
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતુ કે: “2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન સૌથી ઓછી મતદાન ટકાવારી ધરાવતા સાત જિલ્લાઓમાંથી ચાર મેટ્રોપોલિટન શહેરો હતા. શહેરી વિસ્તારોમાં મતદાન સામાન્ય રીતે ઓછું હોય છે, જેના કારણે એકંદરે ઓછું મતદાન થાય છે. મુદ્દાઓ પર ચર્ચા કરવાનો ઉત્સાહ માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત ન હોવો જોઈએ, પરંતુ મતદાન દ્વારા અભિવ્યક્તિ શોધવાની પણ જરૂર છે.