Gujarat Election: કોંગ્રેસની વધુ 3 ગેરંટીની જાહેરાત, જૂની પેન્શન યોજના અને 8 રૂપિયામાં સવાર-સાંજ ભોજનનો આપ્યો વાયદો
Gujarat Election: રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે રાજ્યની જનતાને વધુ ત્રણ વચન આપ્યા છે. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ કે જો કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ ફરી લાગુ કરશે અને ગરીબોને સવાર સાંજ આઠ રૂપિયામાં દાળ-શાક- રોટલી અને અથાણા સાથેનું પોષ્ટિક ભોજન આપવામાં આવશે.
ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election)ને લઈ કોંગ્રેસ (Congress) પ્રજાને વધુ ત્રણ વચન આપ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે ગુજરાતમાં સરકાર બનશે તો જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ફરી લાગુ કરીશું. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 100 દિવસીય ઈન્દિરા ગાંધી રોજગાર યોજના શરૂ કરાશે. ઉપરાંત ગરીબોને સવાર સાંજ માત્ર 8 રૂપિયામાં શહેરી વિસ્તારોમાં ભોજનની વ્યવસ્થા કરાશે. જેમાં બપોરે અને સાંજે 100 ગ્રામ દાળ, શાક, રોટલી અને અથાણા સહિતનું પૌષ્ટિક ભોજન જરૂરિયાતમંદોને આપવામાં આવશે.
હાલ અનેક સરકારી કર્મચારીઓ રાજ્યમાં જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં તેનો લાભ લેવા માટે પંજાબની આપ સરકારે જૂની પેન્શન યોજનાની વિચારણા અંગેની જાહેરાત કરી છે તો ગુજરાત કોંગ્રેસે તો તેના વચનોમાં જ જૂની પેન્શન યોજના લાગુ કરવાની બાંહેધરી આપી છે. અગાઉ 8 ચૂંટણી વચનો આપી ચુકેલી કોંગ્રેસે આજે વધુ ત્રણ વચનોની લ્હાણી કરી છે.
કોંગ્રેસના નવા ત્રણ વચન
- 2003-04માં કેન્દ્રની એનડીએ સરકારે નાબૂદ કરેલ જૂની પેન્શન યોજના ગુજરાતમાં પુનઃ લાગુ કરવી. પહેલા મળતા તમામ લાભો પણ આપવા.
- ગ્રામ્ય વિસ્તાર માટે ચાલતી મનરેગા યોજનાની જેમ શહેરી વિસ્તારના લોકો માટે વાર્ષિક 100 દિવસ રોજગારી આપતી ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના શરૂ કરવાનું વચન અપાયું.
- શહેરી વિસ્તારોમાં ગરીબો માટે બપોરે અને રાત્રે આઠ રૂપિયામાં ભોજન આપતી યોજના શરૂ કરવાનું વચન કોંગ્રેસે આપ્યું. જેમાં 100 ગ્રામ દાળ અને 100 ગ્રામ સબ્જી સહિત રોટલી સાથેની થાળી આપવાનું આયોજન છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે આજે આપેલ ત્રણેય વચન રાજસ્થાનની કોંગ્રેસ સરકાર જમીની સ્તર પર આપી રહી છે. જો ગુજરાતમાં સરકાર બનશે તો અગાઉ આપેલ 8 વચનો અને આજના 3 વચનોને પાળવામાં આવશે.
રાહુલ ગાંધીએ આપેલા 8 વચન
અગાઉ 8 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી જ્યારે અમદાવાદ આવ્યા હતા, ત્યારે તેમણે આઠ વચનોની જાહેરાત કરી હતી. જેમાં દસ લાખની મફત આરોગ્ય સેવા, ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયાનું દેવું માફ, 10 લાખ યુવાઓને નોકરી, કોન્ટ્રાક્ટ પ્રથા રદ અને 3000 બેરોજગારી ભથ્થાનો સમાવેશ થાય છે.
અગાઉ આઠ ચૂંટણી વાયદાઓ આપી ચૂકેલ કોંગ્રેસે વધુ ત્રણ વચનોની જાહેરાત કરી છે.