Gujarat Election 2022: રાજકોટના વોટિંગ આઇકન ટ્રાન્સ જેન્ડર રાગિણી પટેલ, મતદાન જાગૃતિ અંગે કરી રહ્યા છે ઉત્સાહભેર કામ
ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલે જણાવ્યું હતું કે આ સમુદાયના લોકોમાં જેટલા પણ લોકો અન્ય જાતિ તરીકે નોંધાયેલા છે તેઓ બધા ચૂંટણીમાં ઉમંગ, ઉત્સાહ અને ગર્વભેર મતદાન કરવા અચૂક જાય.
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાતની આ વખતની ચૂંટણી રસપ્રદ બની રહી છે ત્યારે દરેક જિલ્લામાં પણ મતદારો પૂર્ણ ઉત્સાહથી મતદાન કરે તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ક્યાક સેલ્ફી તો ક્યાંક નાટકો ક્યાક જાગૃતિ રથ ફરી ફરીને લોકોને મતદાન માટે જાગૃત કરે છે ત્યારે રાજડકોટમાં નવતર પહેલ રૂપે ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલને જ વોટિંગ આઇકન તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને ચૂંટણીપંચે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી દ્વારા આ વખતે મતદાન માટે જાગૃતિ ફેલાવવા ‘હર વોટ જરુરી હોતા હે’ ના નામે એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલે જણાવ્યું હતું કે આ સમુદાયના લોકોમાં જેટલા પણ લોકો અન્ય જાતિ તરીકે નોંધાયેલા છે તેઓ બધા ચૂંટણીમાં ઉમંગ, ઉત્સાહ અને ગર્વભેર મતદાન કરવા અચૂક જાય. નોંધનીય છે કે રાજ્યમાં કુલ 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાત ઇલેકશન 2022: રાગિણી પટેલ આપે છે ચૂંટણી પ્રક્રિયાની માહિતી
રાજકોટમાં લોકો મતદાન માટે જાગૃત થાય અને લોકશાહીના ઉત્સવમાં લોકો અચૂક મતદાન કરે તેમજ લોકો ચૂંટણી પ્રક્રિયાને સારી રીતે જાણે તે માટે રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના આઇકોન તરીકે રાગિણી પટેલ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. ખાસ તો ગત ચૂંટણીઓમાં જ્યાં ઓછું મતદાન હતું એવા 88 મત ક્ષેત્રોમાં નાગરિકોને મતદાન માટે જાગૃત કરવા ખાસ અભિયાન પણ ચાલી રહ્યું છે. લક્ષ્ય સંસ્થાના સભ્ય એવા રાગીણી પટેલ થર્ડ જેન્ડર સમુદાય માટે ઉત્કર્ષની પ્રવૃત્તિઓ કરે છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે તેઓ મતદાન જાગૃતિ અભિયાનમાં ભાગ લઈને લોકોને મતદાન માટે પ્રેરણા આપી રહ્યા છે.
કોણ છે રાગિણી પટેલ
રાગિણી પટેલ ટ્રાન્સજેન્ડર છે અને તેઓએ MBA સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ તેમના બિન્દાસ અંદાજ અને પહેરવેશના કારણે તેમજ કપાળમાં મોટા ચાંલ્લાને કારણે ચર્ચામાં રહે છે. તેમણે પોતાની ટ્રાન્સજેન્ડર તરીકેન ઓળખને ટકાવી રાખવા પારિવારિકથી માંડીને સામાજિક સ્તરે ખૂબ સંઘર્ષ કર્યો હતો. રાગિણી પટેલના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયના આધાર કાર્ડ તથા સર્ટિફિકેટ કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. એ દરમિયાન જિલ્લા કલેક્ટર સાથે વાતચીત થયા બાદ તેઓ ચૂંટણીના કાર્યમાં જોડાયા હતા. રાગિણી પટેલ રાજકોટના કાલાવડના રહેવાસી છે તેમણે કહ્યું હતું કે મારો અબ્યાસ અને લાયકાત હોવા છતાં મને કામ ન મળ્યું તેમજ સમાજમાં સ્વીકૃતિ માટે પણ હજુ કેટલાય ટ્રાન્સજેન્ડર સંઘર્ષ કરે છે ત્યારે એવો પ્રયત્ન રહે છે કે ટ્રાન્સજેન્ડરને તેમની લાયકાતને આધારે કામ મળે. સાથે જ હું મતદાન જાગૃતિ અંગેની પૂરી ફરજ નિભાવીશ અને લોકોને મતદાન કરવા માટે જાગૃત પણ કરીશ.