Gujarat Election 2022: પોરબંદરમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ, કાંધલ જાડેજા સહિતના ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો થશે
ભાજપે (BJP)કુતિયાણા બેઠક ઉપર ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી હતી. કોંગ્રેસે કુતિયાણાથી નાથાભૂરા ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા હતા .આ બેઠક પર કાંધલ જાડેજાનો દબદબો છે ત્યારે પરિણામો જ બતાવશે કે અહીં કોણ મેદાન મારી જાય છે
પોરબંદરના પોલીટેકનિક કોલેજમાં આવતીકાલે મત ગણતરી થશે. પોરબંદરની મતગણતરી A વિભાગમાં અને B વિભાગમાં કુતિયાણા બેઠકની મતગણતરી થશે. પોરબંદરમાં કુલ 14 ટેબલ પર 19 રાઉન્ડમાં મત ગણતરી યોજાશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સૌ પ્રથમ બેલેટ પેપરની મત ગણતરી હાથ ધરવામાં આવશે.
પોરબંદરમાં NCPથી નારાજ કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા. કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટી અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. કુતિયાણા બેઠક પર હવે ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. ત્યારે આવતીકાલે આ બેઠક ઉપર રસપ્રદ પરિણામો જોવા મળી શકે છે. કુતિયાણા બેઠક પર ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે જંગ જામ્યો છે. આથી આ ઉમેદવારોના રાજકીય ભાવિનો આવતીકાલે નિર્ણય થશે. નોંધનીય છે કે કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાને ટિકિટ ન મળતા સમર્થકોમાં રોષ ભભૂક્યો હતો. NCPના 6 હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધું હતું.
પોરબંદર જિલ્લાની રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલ ચૂંટણીનો રોમાંચ જોવા મળી રહ્યો છે. છેલ્લી 2 ટર્મથી અહીં કાંધલ જાડેજાનો દબદબો છે. 2012 અને 2017માં અહીંથી કાંધલ જાડેજાની જીત થઇ હતી. આ વખતે પણ કાંધલ સમાજવાદી પાર્ટીમાંથી કુતિયાણાની બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. જો કે આ વખતે તેમને ટક્કર આપવા માટે કોંગ્રેસે કુતિયાણાથી નાથાભૂરા ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા હતા. અને તેમની દીકરીઓ તેમના પ્રચારમાં જોડાતા નાથા ઓડેદરા લાઇમલાઇટમાં આવી ગયા હતા.
ભાજપે કુતિયાણા બેઠક ઉપર ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી હતી. ભાજપે આ વખતે મહિલા ઉમેદવારને આ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે આ બેઠક પર જે ટફ ફાઇટ હતી તે હવે એકતરફી થઇ ગઇ છે. આ બેઠક પરનું સમીકરણ હવે ખૂબ જ રસપ્રદ બની રહેશે તેથી જ આવતીકાલના પરિણામોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.