Gujarat Election 2022: મનિષ સિસોદિયાએ મહેસાણામાં ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં આક્રમક પ્રચાર શરૂ કર્યો છે ત્યારે હવે દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા પણ ગુજરાતના ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતર્યા છે. આજે આપના મનિષ સિસોદિયાએ ગાંધી આશ્રમથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો જે આજે મહેસાણા પહોંચી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇ આમ આદમી પાર્ટી એક્શનમાં છે મિશન ગુજરાત પર દિલ્લીથી આમ આદમી પાર્ટીના (AAP) નેતા આવી રહ્યાં છે જેના ભાગરૂપે દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા (Manish Sisodia) મહેસાણાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પરા રામજી મંદિરમાં દર્શન કરી તોરણવાળી માતાના ચોક સુધી તિરંગા યાત્રા યોજી હતી. આ દરમિયાન મનિષ સિસોદિયાએ કહ્યું કે હવે ગુજરાતમાં પરિવર્તન થશે પ્રજા શિક્ષણ હોય કે આરોગ્ય તમામ ક્ષેત્રે ભાજપથી ત્રસ્ત છે માટે હવે પરિવર્તન ચોક્કસ થશે.
આમ આદમી પાર્ટીએ શરૂ કરી પરિવર્તન યાત્રા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં આક્રમક પ્રચાર શરૂ કર્યો છે ત્યારે હવે દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા પણ ગુજરાતના ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતર્યા છે. આજે આપના મનિષ સિસોદિયાએ ગાંધી આશ્રમથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પરિવર્તન યાત્રા અંતર્ગત મનિષ સિસોદિયા ઉત્તર ગુજરાતમાં 6 દિવસની યાત્રા કરશે. મનિષ સિસોદિયા અને AAPના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. મનિષ સિસોદિયાએ હૃદયકુંજમાં ગાંધીજીના ફોટાને સુતરની આંટી પહેરાવી હતી. ત્યારબાદ તેમણે રેંટિયો પણ કાંત્યો હતો. મનિષ સિસોદિયાએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આશ્રમમાં આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી. મનિષ સિસોદિયાએ ફરી ભાજપ સરકારને આડે હાથ લેતા કહ્યું કે ભાજપ અને કોંગ્રેસે ગુજરાતમાં સ્કૂલો અને હોસ્પિટલ ખોલી નથી અને હવે લોકોને જ્યારે અરવિંદ કેજરીવાલ પ્રત્યે આશા છે તો તેમને ગાળો આપવામાં આવે છે.
તો બીજી તરફ ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election 2022) નજીક આવતા જ આરોપ પ્રત્યારોપની રાજનિતી જોવા મળી છે. દરેક પક્ષ એકબીજા પર આક્ષેપ લેવાની તક ચૂકતો નથી ત્યારે આમ આદમી પાર્ટીની (AAP) વિવિધ ગેરંટીઓ અંગે ભાજપના (BJP) જયેશ રાદડિયાએ (Jayesh radadiya) વીરપુર ખાતે ખેડૂતોના એક કાર્યક્રમમાં કેજરીવાલ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે જે લોકો ગેંરટી આપે છે તે નેતાની ગેરંટી કોણ આપશે. તેમણે ઉમેર્યું હતું કે અમે તો ગેરંટીવાળા નેતા છીએ. જે બોલીએ છીએ તે કરીએ છીએ. તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કેટલાક લોકો ચોપાનિયા લઇને ગ્રામ્ય વિસ્તારોમાં મત માંગવા નીકળી પડયા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ખોટા વાયદા આપનારા લોકોને સાથ આપતા પહેલા ચેતી જજો.