Gujarat Election 2022: નવસારીમાં PM મોદીએ મતદારોના મતની તાકાત સમજાવી, કહ્યુ- તમારા મત છે, ત્યારે મોદીનો વટ છે
વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) આ ચૂંટણીમાં મતદાનના તમામ રેકોર્ડ તોડવાની અપીલ કરી. સાથે જ દુનિયાભરમાં આજે ભારતનો જય જયકાર થઇ રહ્યો છે. તો તેનું કારણ વડાપ્રધાન મોદી પોતે નહીં પરંતુ નવસારીની જનતાએ આપેલો એક એક મત હોવાનું જણાવ્યુ.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : સુરેન્દ્રનગર અને ભરુચ જિલ્લાના જંબુસરમાં સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન મોદીએ નવસારીમાં વિશાળ જનસભા સંબોધી. જ્યાં વડાપ્રધાન મોદીએ આ ચૂંટણીમાં મતદાનના તમામ રેકોર્ડ તોડવાની અપીલ કરી. સાથે જ દુનિયાભરમાં આજે ભારતનો જય જયકાર થઇ રહ્યો છે. તો તેનું કારણ વડાપ્રધાન મોદી પોતે નહીં પરંતુ નવસારીની જનતાએ આપેલો એક એક મત હોવાનું જણાવ્યુ. વડાપ્રધાને પોતાના સંબોધનમાં નવસારીના પ્રખ્યાત ચીકુની પણ વાત કરી. તેમણે કહ્યુ કે નવસારીના ચીકુએ દિલ્હીમાં ચમકારો મારે તેવુ કામ કર્યુ છે.
નવસારીમાં PM મોદીનું સભાને સંબોધન
નવસારી મારા માટે નવુ નથી, હું પણ નવસારી માટે નવો નથી. તમે મને PMનું કામ સોંપ્યુ છે. પણ નવસારી તો મારા દિલમાં છે. આજે તમારી પાસે લોકતંત્રના પર્વ માટે આશીર્વાદ માગવા આવ્યો છું.
મતદાનનો રેકોર્ડ તોડવા PM મોદીએ કરી અપીલ
મને વિશ્વાસ છે કે ગુજરાત આ વખતે તમામ રેકોર્ડ તોડવાનો છે. જ્યારે લોકસભાની ચૂંટણી હતી, ત્યારે તમારી લોકસભામાં તમે હિંદુસ્તાનના રેકોર્ડ તોડીને સી.આર. પાટીલને વિજયી બનાવ્યા હતા. આ વખતે પણ ચૂંટણી તો જીતવાની જ છે. તમારા વોટ પણ પડવાના છે. કમળ પણ ખીલવાનું છે. પણ સાથે સાથે લોકતંત્રનો જય જયકાર પણ ચાલવો જોઇએ અને લોકતંત્રનો જય જયકાર ત્યારે જ થાય, જ્યારે એક એક મતદાર મત આપવા નીકળે. તેથી લોકશાહીના સમર્થકોને વિનંતી છે કે આ વખતે ગુજરાત રેકોર્ડ મતદાન કરે.
દુનિયામાં ભારતનો જય જયકાર થવાનું કારણ તમે આપેલો એક મત છે: PM મોદી
PM મોદીએ કહ્યુ કે આજે દુનિયાભરમાં ભારતનો જય જયકાર થઇ રહ્યો છે. જેનું કારણ હું નહીં પણ તમે આપેલો એક મત છે. તમારા મતની તાકાતના કારણે આજે હિંદુસ્તાન પ્રગતિ કરી રહ્યુ છે. આજે સારા રસ્તાઓ માટે ગુજરાતની ઓળખાણ છે.
તમારા મત છે, ત્યારે મોદીનો વટ છે: PM મોદી
ઘરે ઘરે નળથી જળ, 24 કલાક વીજળી, આ મૂળભુત સુવિધાઓ ભાજપે ઘરે ઘરે પહોંચાડી છે. જેનું કારણ તમારા એક મતની તાકાત છે. લાલચમાં આવ્યા વગર તમે ભાજપની સરકાર બનાવી તેની આ તાકાત છે. તમારા મત છે, ત્યારે મોદીનો વટ છે. તો હિંદુસ્તાનના પ્રત્યેક નાગરિકનો પણ વટ છે. આ નવસારીના લોકોના એક એક મતની જ તાકાત છે.
નવસારીમાં ખેડૂતોના ખાતામાં 300 કરોડ રુપિયા જમા થયા: PM મોદી
40 હજાર ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી સન્માન નિધી જાય છે. વર્ષમાં ત્રણ વાર જાય છે. ખાલી નવસારી અને આસપાસની વાત કરુ તો 300 કરોડ રુપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. તમે જે સરકાર બનાવી છે તેના કારણે જ આ શક્ય બન્યુ છે. હજારો લોકોને ઘર મળ્યા છે તે તમારા મતના કારણે જ મળ્યા છે. ફુટપાથ પર સુઇ જનારા, કાચા મકાનોમાં રહેનારાઓને પાકુ ઘર તમારા એક મતના કારણે જ મળ્યુ છે.
PM મોદીએ નવસારીના પ્રખ્યાત ચીકુની પણ વાત કરી
વડાપ્રધાને પોતાના સંબોધનમાં નવસારીના પ્રખ્યાત ચીકુની પણ વાત કરી. તેમણે કહ્યુ કે નવસારીના ચીકુએ દિલ્હીમાં ચમકારો મારે તેવુ કામ કર્યુ છે. દિલ્હીના નેતાઓ નવસારીના ચીકુ ખાતા થઇ ગયા છે. અમે ચીકુ પકવતા ખેડૂતો માટે અલગ વ્યવસ્થા કરી છે. જો કે દિલ્હીના એ જ નેતાઓ ગુજરાતમાં આવીને અહીંનુ અયોગ્ય બોલતા હોવાનું તેમણે જણાવ્યુ.