Gujarat Election 2022: દાહોદમાં બુધવારે પીએમ મોદીની સભાને પગલે ટ્રાફિક નિયમન માટે હાઈવે બંધ રાખવાનો આદેશ
Gujarat Election 2022: દાહોદમાં પીએમ મોદીની સભાને લઈને ટ્રાફિકને લઈને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, આ ફેરફાર અંતર્ગત હાઈવે બંધ રાખવાનો આદેશ કરાયો છે અને કેટલાક વૈક્લિપક રૂટ પરથી જવાનો કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે હાલ પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. તમામ પાર્ટીઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. જેમા ભાજપના દિગ્ગજો પણ આ ચૂંટણી રણમાં પ્રચાર માટે ઉતર્યા છે. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરમાં દાહોદમાં ચૂંટણી સભા ગજવશે. પીએમના કાર્યક્રમને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જેમા કલેક્ટર ડૉ હર્ષિત ગોસાવીએ ટ્રાફિક નિયમન માટે હાઈવે બંધ રાખવાનો આદેશ કર્યો છે. 23 નવેમ્બરે સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આ મુજબનું ટ્રાફિક નિયમન રહેશે.
ટ્રાફિક નિયમનનું સંચાલન આ મુજબનું રહેશે
- ઈન્દોરથી અમદાવાદ જતા હાઈવે ઉપર બાંસવાડા તરફ જવાના નિર્દેશ કરતા બોર્ડથી આગળ સતી તોરલથી જમણી તરફ જતા ઝાલોદ બાંસવાડા હાઈવેને કાર્યક્રમમાં ભાગ લેવા જનારા વાહનો સિવાયના તમામ વાહનોએ લીમડીથી લીમખેડા થઈને ગોધરા-ઈન્દોર હાઈવે (NH 47)ને મળતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
- ઈન્દોરથી લીમડી, ઝાલોદ, બાંસવાડા (રાજસ્થાન) તરફ જતા વાહનચાલકોએ ઈન્દોર ગોધરા હાઈવે (NH 47)થી લીમખેડા જઈ લીમખેડાથી લીમડીવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
- દાહોદ, ધાનપુર, ગરબાડા, દેવગઢ બારીયા, સીંગવડ, લીમખેડા તાલુકા તરફથી સભાસ્થલે કાર્યક્રમમાં ભાગ લેવા આવતા વાહનો માટે સતી તોરલ હોટલ, કાળી તળાઈ ડોકી સબ જેલ સુધીનો રસ્તો વન-વે રહેશે અને વાહનોના વાહનચાલકોએ 40 કિમી પ્રતિ કલાકની ગતિમર્યામાં વાહનો ચલાવવાના રહેશે.
- ઝાલોદ, લીમડી, ફતેપુરા, સંજેલી તાલુકા તરફથી સભા સ્થળ તરફ આવનારા વાહનો માટે લીમડીથી ડોકી સબજેલ સુધીનો રસ્તો વનવે રહેશે અને આ વાહનોના વાહન ચાલકોએ 40 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદામાં વાહનો ચલાવવાના રહેશે.
- ચોસાલા ત્રણ રસ્તાથી ઉકરડી, સાંકરદા, કાળી ગામ થઇને ડોકી તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે બંધ રહેશે
- દાહોદ ટાઉનથી સભા સ્થળ પર જવા વાળા વાહનોએ ગોધરા રોડ રાબડાળ સતી તોરલ થઇને સભા સ્થળ પર જવાનું રહેશે
- ડોકી સબજેલની દક્ષિણ દિશા તરફ થઇને પટેલ ફળિયા, ડોકી ગામ તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધિત રહેશે
- ડોકી સબજેલની સામે રેંટીયા ગામ તરફ જતા બન્ને રસ્તાને વન-વે જાહેર કરી આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધિત રહેશે
- જિલ્લા સેવા સદનની સામે બોરવાણી તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધિત રહેશે
- આ જાહેરનામામાંથી આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલા વાહનો, ગર્ભવતી મહિલા કે ગંભીર બિમાર વ્યક્તિઓને લઇ જતા વાહનો કે ચૂંટણી ફરજમાં સંકળાયેલા અધિકારી-કર્મચારીઓના વાહનોને લાગુ થશે નહી. તેમજ અભ્યાસ કે પરીક્ષા અર્થે જતા વિદ્યાર્થીઓને આદેશમાંથી મુક્તિ અપાઇ છે .
ઈનપુટ ક્રેડિટ- પ્રિતેશ પંચાલ, દાહોદ