Gujarat election 2022 : ધોરાજી બેઠક પર ‘વિજય’ મેળવવા ‘રૂપાણી’ નું ઓપરેશન, જૈન સમાજ સાથે બેઠક યોજી ભાજપને જીતાડવા કરી અપીલ
2017માં પાટીદાર અનામત આંદોલનને કારણે ધોરાજી(DHORAJI) ઉપલેટાની સીટ પર પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર એવા લલિત વસોયા કોંગ્રેસમાંથી 25,000 જેટલા મતના લીડથી વિજેતા થયા હતા.
ધોરાજી વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોકસીનો જંગ છે. ત્યારે ભાજપએ નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. અને, ખાનગી બેઠકો યોજીને ચૂંટણીનો પણ ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ મામલે ધોરાજીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૈન સમાજ સાથે બેઠક યોજી હતી. અને, ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાને ચૂંટણી જીતાડવા અપીલ કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી -2022 માટે પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજનાર છે. ત્યારે 75 વિધાનસભાની બેઠક અને લલિત વસોયાનું ગઢ ગણાતા ધોરાજી ઉપલેટાની સીટ પર કમળ ખીલાવવા માટે ભાજપએ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ ક્યાંય પણ કચાસ રાખવા માંગતું નથી. એક વાત એવી પણ સામે આવી છે કે આ બેઠક પર સીધી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પણ નજર છે. આ સીટ કોઈપણ ભોગે કબજે કરવા ભાજપે કવાયત હાથ ધરી છે. અને નેતાઓની ફૌજ ધોરાજી શહેરમાં ઉતારી દીધી છે. ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અને પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને કડવા પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ અમૃતિયા સહિતના નેતાઓએ ધોરાજીના જૈન સમાજ સાથે ચૂંટણીલક્ષી એક બેઠક યોજી હતી. જેમાં જૈન સમાજના આગેવાન લલીતભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે, વિજયભાઈ રૂપાણીએ ધોરાજી જૈન સમાજના મતદારોને ભાજપને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
2017ની ચૂંટણીમાં અહીંયા લલિત વસોયા કોંગ્રેસમાંથી ચૂંટાયા
2017માં પાટીદાર અનામત આંદોલનને કારણે ધોરાજી ઉપલેટાની સીટ પર પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર એવા લલિત વસોયા કોંગ્રેસમાંથી 25,000 જેટલા મતના લીડથી વિજેતા થયા હતા. વાત કરીએ તો ધોરાજી ઉપલેટાની બેઠક આમ રસાકસીભરી બેઠક રહી છે. અહીંયાથી વિઠ્ઠલ રાદડિયા ભાજપમાંથી બે વખત ચૂંટાયા છે અને કોંગ્રેસમાંથી પણ ચૂંટાયા છે અને જયેશ રાદડિયા પણ પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત આ બેઠક પરથી કરી હતી. અને, સર્વ પ્રથમવાર ધોરાજીની બેઠક પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2017માં લલિત વસોયા કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા. પરંતુ પાટીદાર અનામત આંદોલનનું ફેક્ટર ચાલી જતા અહીંયાથી લલિત વસોયા ખૂબ જ જંગી બહુમતીથી ચૂંટાયા હતા અને હરિભાઈ પટેલ હારી ગયા હતા.
ગત ટર્મમાં લઘુમતી સમાજ અને જૈન સમાજ પણ કોંગ્રેસ સાથે હતો. અને જેને કારણે લલિત વસોયાને ખૂબ જ ફાયદો થયો હતો. આ વોટબેંક ઉપર ભાજપે પ્રદેશ ભાજપના આગેવાનોને મોકલી અને સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને જિલ્લા ભાજપના હોદ્દેદાર સહિત ધોરાજી સ્થાનિક જૈન સમાજના આગેવાનોને વિશ્વાસમાં લઈ અને એક બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપના કારોબારી સભ્યો દિનેશભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. અને જૈન સમાજ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા થઈ હતી. જેમાં જૈન સમાજના લોકો દ્વારા ભાજપને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. હવે આ બેઠકથી ભાજપને 500 જેટલા મતનો લાભ થશે તેવું અનુમાન છે.
ક્રેડીટ ઈનપુટ- હુસેન ખુરેશી- ધોરાજી