Gujarat Election 2022: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના શ્રમિકોને મતદાનના દિવસે મળશે વેતન સાથે રજા
Gujarat Election: મહારાષ્ટ્ર સરકારે આ અંગે જીઆર બહાર પાડ્યો છે. જાહેર કરાયેલા GRમાં જણાવાયું છે કે, મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓ જેમ કે પાલઘર, નાસિક, નંદુરબાર અને ધુલેમાં કામ કરતા ગુજરાત વિધાનસભાના મતદારો માટે એક દિવસની રજા આપવામાં આવી છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતમાં આગામી મહિને એક અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. શિંદે સરકારે ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારોને એક દિવસની રજા આપી છે. શિંદે સરકારે તમામ ખાનગી કંપનીઓને કહ્યું છે કે, જો તેઓ આ આદેશનું પાલન નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કંપનીઓ વેતન પણ કાપી શકશે નહીં.
ગુજરાત ચૂંટણી 2022: આદેશનો ભંગ થશે કાર્યવાહી થશે
મહારાષ્ટ્ર સરકારે આ અંગે જીઆર બહાર પાડ્યો છે. જાહેર કરાયેલા GRમાં જણાવાયું છે કે, મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓ જેમ કે પાલઘર, નાસિક, નંદુરબાર અને ધુલેમાં કામ કરતા ગુજરાત વિધાનસભાના મતદારો માટે એક દિવસની રજા આપવામાં આવી છે. તમામ ખાનગી કંપનીઓને તેનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આદેશનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે.
મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને તબક્કાની ચૂંટણીમાં 16 હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે. 2022માં 51,782 મથકોમાંથી 16 હજારથી વધુ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ તહેનાત કરાશે. સંવેદનશીલ મથકો પર પોલીસ અને પેરામીલીટ્રી ફોર્સના જવાનો તહેનાત રહેશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકોની ચૂંટણી યોજાશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 1 હજાર 518 મતદાન મથકો વધ્યા છે.