Gujarat Election 2022: ભરૂચના વાગરામાં અમિત શાહનું નિવેદન, ‘2002 બાદ ભાજપે આખા ગુજરાતમાં કાયમની શાંતિ કરી દીધી’
Gujarat Election 2022: મિશન મધ્ય ગુજરાત પર આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભરૂચ, નર્મદા, ખેડા અને દાહોદમાં ચૂંટણી સભા સંબોધી હતી. ભરૂચમાં અમિત શાહ વિરોધીઓ પર આક્રમક રીતે વરસ્યા હતા. અમિત શાહે નિવેદન આપ્યુ હતુ કે 2002 બાદ ભાજપે આખા ગુજરાતમાં કાયમી શાંતિ કરી દીધી છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. મિશન મધ્ય ગુજરાત પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાર સ્થળે સભા ગજવી કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો. “2002 બાદ ભાજપે આખા ગુજરાતમાં કાયમની શાંતિ કરી દીધી. “આ નિવેદન આપ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે. ભરૂચના વાગરામાં એક સભા દરમિયાન અમિત શાહ આક્રમક ભાષણ આપતા કહ્યુ કે, ગુજરાતમાં અસામાજિક તત્ત્વો અગાઉ વારંવાર હિંસા કરતા અને કોંગ્રેસ તેમને છાવરતી હતી. પરંતુ 2002માં એ લોકોને એવો તે પાઠ ભણાવ્યો કે કાયમી શાંતિ થઈ ગઈ, 22 વર્ષથી આજ સુધી કરફ્યુ લાદવો નથી પડ્યો.
ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ પર કરી શાબ્દિક સ્ટ્રાઈક
ભરૂચના વાગરામાં આક્રમક પ્રચાર દરમ્યાન અમિત શાહે ભ્રષ્ટાચાર મુદ્દે ફરી કોંગ્રેસ પર શાબ્દિક સ્ટ્રાઇક કરી. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું પરંતુ વિકાસ કરવાને બદલે પોતાના ઘર અને ગજવા ભર્યા. કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાના એવા પર્યાય બની ગયા હતા કે ‘કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ’એવી કહેવત બની ગઇ હતી. કોંગ્રેસે ગુજરાતમાં વિકાસ થવા જ ન દીધો. કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર અને ગુંડારાજ એટલા ફૂલ્યાફાલ્યા હતા કે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું હતું.. અમિત શાહે ભરૂચ તેમજ આસપાસના પંથકમાં ભાજપે કરેલા વિકાસ કાર્યો ગણાવી જણાવ્યું કે ભાજપ સરકારે તાજેતરમાં જ ભરૂચમાં 8 હજાર કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યું. જે અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરને ટ્વિન સિટી તરીકે ડેવલપ કરાશે.
નાંદોદમાં અમિત શાહે કર્યો મેગા રોડ શો
આ તરફ નર્મદાના નાંદોદમાં અમિત શાહે મેગા રોડ શો કરી શક્તિપ્રદર્શન કર્યું. સૌથી પહેલા ખેડાના મહુધામાં શાહે કોંગ્રેસ પર શાબ્દિક ચાબખાં ફટકાર્યા અને કહ્યું કે સોનિયા-મનમોહનની આગેવાની હેઠળનું કોંગ્રેસનું શાસન કૌભાંડો અને ભ્રષ્ટાચારનું હતું. તો દાહોદના ઝાલોદમાં આદિવાસીઓના વિકાસનો મુદ્દો ઉઠાવી કહ્યું કે કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો. ભરૂચના વાગરામાં શાહે કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું પણ વિકાસને બદલે પોતાના ઘર અને ગજવા ભર્યા. ‘કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ’ એવી કહેવત હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કાલે અમરેલીના જાફરાબાદમાં અમિત શાહ જંગી સભા સંબોધશે.