Gujarat Election 2022 : અમદાવાદ ક્લેક્ટરે મતદારોને અચૂક મતદાન કરવા કરી અપીલ, ઓળખપત્રોની હાર્ડ કૉપી સાથે રાખવા ભલામણ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022નો પ્રથમ તબક્કો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ચૂક્યો છે. અમદાવાદ જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ મતદાન થાય, એ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. ધવલ પટેલ દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ મતદારોને 5મી ડિસેમ્બર, 2022ના રોજ સવારે 8.00થી સાંજના 5.00 દરમિયાન અચૂક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022નો પ્રથમ તબક્કો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ચૂક્યો છે. અમદાવાદ જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ મતદાન થાય, એ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. ધવલ પટેલ દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ મતદારોને 5મી ડિસેમ્બર, 2022ના રોજ સવારે 8.00થી સાંજના 5.00 દરમિયાન અચૂક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને મતદાન મથક પર ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મતદાન ઓળખ પત્રની ફિઝિકલ કૉપી સાથે રાખવા ભલામણ કરવામાં આવી છે. કેટલાક મતદારો માત્ર ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાર સહાયતા સ્લીપ લઈને જ મતદાન કરવા આવી જતા હોય છે, પરંતુ ચૂંટણી પંચે કરેલી સ્પષ્ટતા અનુસાર મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા વોટર ઈન્ફર્મેશન સ્લીપ ઉપયોગમાં લઈ શકાશે નહીં, માન્ય ઓળખપત્રની ફિઝિકલ કૉપી હોવી જરૂરી છે. એટલે તમામ મતદારોને મતદાન કરવા આવે ત્યારે મતદાર ઓળખપત્ર અથવા તો ચૂંટણી પંચ દ્વારા માન્ય અન્ય પુરાવા સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે.
જેમાં કેટલાક મતદારો મોબાઇલ એપ અથવા તો ડિજી-લૉકરના ઓળખના પુરાવાના ભરોસે રહેતા હોય છે, પરંતુ અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મતદાન મથક પર મોબાઇલ ફોન પર પ્રતિબંધ હોવાથી કોઈ પણ પ્રકારના ડિજિટલ ઓળખ પુરાવાઓ દર્શાવી શકાશે નહીં, એટલે માન્ય ઓળખપત્રની હાર્ડ કોપી સાથે રાખવાની ભલામણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર મતદાર ફોટો ઓળખપત્ર (એપીક કાર્ડ)ની અવેજીમાં આધાર કાર્ડ, મનરેગાના જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફ્સ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એનપીઆર અંતર્ગત આરજીઆઈ દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શનના દસ્તાવેજ, કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્ર/ જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈશ્યૂ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈશ્યૂ કરેલાં સરકારી ઓળખપત્રો, યુનિક ડિસએબિલિટી આઈ-કાર્ડ તથા બિન નિવાસી ભારતીયોઓની જો મતદાર તરીકે નોંધણી થઈ હોય તો, તેઓ મતદાન મથકે અસલ પાસપોર્ટ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી મતદાન કરી શકશે. અલબત્ત, આ ઓળખપત્રોની હાર્ડ કૉપી દર્શાવવી જરૂરી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડૉ. ધવલ પટેલ દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ, મુક્ત અને નિષ્પક્ષ રીતે મતદાન થાય અને મતદારો શાંતિપૂર્વક કોઇપણ ત્રાસ કે અવરોધ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મતદાન મથકો અંદર અને તેની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં શાંતિ જળવાઇ રહે તે હેતુથી મતદાન મથકની અંદર મતદાન કરવા આવતા મતદારો પોતાની પાસે મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ન લઇ શકે અને તેનો ઉપયોગ ન કરી શકે તે હેતુથી નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.
આ જાહેરનામાને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન વખતે ડિજિટલ ઓળખપત્રોને બદલે માન્ય ઓળખપત્રો સાથે જ મતદાન કરવા આવવા ભલામણ કરવામાં આવી છે. મોબાઇલ પર પ્રતિબંધ હોવાથી કોઈ એપના ડિજિટલ પુરાવા દર્શાવી શકાશે નહીં, એટલે માન્ય ઓળખપત્રોની હાર્ડ કોપી ખાસ સાથે રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.