Gujarat Election 2022: AAPના દિગ્ગજો 25 નવેમ્બર સુધી સતત ગુજરાત પ્રવાસ કરશે, રોડ શો અને સભાઓ કરીને ઉમેદવારો માટે કરશે પ્રચાર
પહેલી વાર એવુ બની રહ્યુ છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણીમાં (Gujarat election) તમામ 182 બેઠક પર ઉમેદવારને ઉભા રાખ્યા છે. ત્યારે AAPના દિગ્ગજો એટલે કે CM અરવિંદ કેજરીવાલ, CM ભગવંત માન અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા એક પછી એક ગુજરાતમાં પ્રચારની ડોર સંભાળી રહ્યા છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ પૂરજોશમાં પ્રચારની કામગીરીમાં લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટી પણ ઉમેદવારોના પ્રચારના કામે લાગી ગઈ છે. પહેલી વાર એવુ બની રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણીમાં તમામ 182 બેઠક પર ઉમેદવારને ઉભા રાખ્યા છે. ત્યારે AAPના દિગ્ગજો એટલે કે CM અરવિંદ કેજરીવાલ, CM ભગવંત માન અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા એક પછી એક ગુજરાતમાં પ્રચારની ડોર સંભાળી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના ત્રણ દિગ્ગજોએ ગુજરાતમાં પ્રચારમાં પોતાના પક્ષના ઉમેદવારો માટે પ્રચારની કમાન સંભાળી લીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20, 21, 22 નવેમ્બર એમ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. 20મી નવેમ્બરે એટલે કે આજે તેઓ હાલોલ ખાતે સાંજે 4:00 કલાકે રોડ શોમાં ભાગ લેવાના છે તો 21મી નવેમ્બરે સાંજે 5:00 કલાકે અમરેલી ખાતે રોડ શોમાં ભાગ લેશે. 22 નવેમ્બરે બપોરે 2:00 કલાકે ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધશે. સાંજે 5:00 કલાકે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે અને રાત્રે 9:00 કલાકે સુરતમાં જાહેરસભાને સંબોધશે.
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા 4 દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ 21, 22, 23,24 નવેમ્બર ના રોજ 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 5 દિવસ ગુજરાતની મુલાકાતે રહેશે. તેઓ 21, 22, 23, 24, 25 નવેમ્બર સુધીમાં 18 રોડ શોમાં ભાગ લેશે. રાજ્યસભા સાંસદ સંજયસિંહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ 20, 21 નવેમ્બર 2 રોડ શો અને 6 જનસભાને સંબોધિત કરવાના છે.
ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
(વિથ ઇનપુટ-જીગ્નેશ પટેલ,અમદાવાદ)