Gujarat Vidhansabha Election 2022 : ગુજરાતની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ ભાજપ સત્તાનો ગઢ કાયમી રાખવા મતદારોને મનાવી રહી છે. તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ પરિવર્તનની આશયથી આગળ વધી રહી છે. તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પગપેસારો કરવા એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવી રહી છે. જો કે નેતાઓએ ક્યાંક વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે કમલમ ખાતે આજે ભાજપ સંકલ્પ પત્ર (BJP Manifesto) જાહેર કર્યું છે.
સુરતના કતારગામમાં આપની જનસભામાં પથ્થરમારો થયો છે. બાળકને આંખ પર પથ્થર વાગતા ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડ્યા બાદ સભા ફરી શરૂ થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
રાજકોટમાં જંગલેશ્વરમાં યોજાયેલી સભામાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનિલ રાજ્યગુરુએ નિવેદન આપ્યુ કે મારા મતે અલ્લાહ અને મહાદેવ બંને એક જ છે. હું સોમનાથ ભક્તો સાથે જાવ કે અજમેર મુસ્લિમ સાથે જાવ બંનેમા સરખી ખુશી મળે. મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ છે. ઈન્દ્રનિલે જંગલેશ્વરમાં સભા દરમિયાન કહ્યુ હું અલ્લાહનો નારો બોલાવીશ તમે મહાદેવ બોલજો.
પીએમ મોદી ફરી બે દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે. પીએમ મોદી ભરૂચના નેત્રાંગમાં બપોરે 1 વાગ્યે વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે. જ્યારે બપોરે 3.30 વાગ્યે ખેડામાં અને સાંજે 6.30 વાગ્યે સુરતમાં જંગી જાહેર સભા સંબોધશે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર ગણતરીનો દિવસો બાકી છે ત્યારે PM મોદી આ બે દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છની તમામ બેઠકો પર ડોર-ટુ-ડોર પ્રચારમાં પણ જોડાશે. અને જનતા સાથે સીધો સંવાદ કરીને તેમને રીઝવવા પ્રયાસ હાથ ધરશે.
પોરબંદર- ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝગડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન છે. જેમા 2 જવાનોના મોત થયા. જ્યારે અન્ય 2 જવાનો ઘાયલ છે. બંને ઈજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. જવાનો મણિપુરમની બટાલિયન છે
ગુજરાત વિધાનસભા પ્રચાર ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. જેના પગલે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ ભાવનગર પહોંચ્યા છે. તેવો સાત વિધાનસભા બેઠક પર ઉમેદવારોની જીત નિશ્ચિત કરવા ભાવનગર પહોંચ્યા છે. જયારે શહેરના રૂપમ ચોકથી મેન બજાર સુધી ભવ્ય રોડ શો યોજ્યો છે. જેમાં રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા રોડ શો દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો સૌથી પહેલા મોંઘવારી દૂર કરશે, ત્યારબાદ બેરોજગાર યુવાનોને રોજગાર આપશે તેમજ બેરોજગાર યુવાનોને રોજગારીની તક ઉભી ન થાય ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપશે સાથે જ દિલ્લી અને પંજાબ મોડલની પણ અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં વાતો કરી હતી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. વિરમગામમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ રોડ-શો સમયે પસાર થતી 108 એમ્બ્યુલન્સ ઝડપથી જઈ શકે તે માટે યોગી રોડ-શો થોડીવાર રોકાવ્યો હતો.યોગી આદિત્યનાથે સુરક્ષા જવાનોને ઈશારો કરી પહેલા એમ્બ્યુલન્સ ઝડપથી પસાર કરાવી હતી. જે બાદ યોગી આદિત્યનાથનો રોડ-શો નિયત રૂટ પર આગળ વધ્યો હતો
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહુવામા જાહેરસભાને સંબોધિત કરી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સભા સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવલ પર પણ શબ્દો નો આકરો પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રામાં મેઘા પાટેકર જોડાઈ છે. મેધા પાટકરે ગુજરાતને નર્મદાના પાણીથી વંચિત રાખવાનું કામ કર્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બરે યોજનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાનો કોઇ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લામાં ૮૦ + તથા દિવ્યાંગ અને અશક્ત મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી તેવા મતદારોની મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટના 24 લોકો પહેલીવાર મતદાન કરશે. પાકિસ્તાનથી ભારત આવીને વસેલા લોકોને ભારતીય નાગરિકતા મળી છે. જેથી તેઓ પહેલીવાર ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેશે. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ બાળકોના સારા શિક્ષણ અને સલામતીને લઈ ભારતમાં 2007માં આવ્યા હતા. જે બાદ લાંબી કાયદાકીય પ્રક્રિયાના અંતે ભારતની નાગરિકતા અને મત આપવાનો અધિકાર મળતા સૌએ ખુશી વ્યક્ત કરી.
ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉમેદવારોથી લઈને પ્રચારકો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર પણ ચૂંટણીને લઈને સજ્જ છે. મતદારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ કલેક્ટરે એક થ્રિ વે સિસ્ટમ ઉભી કરી છે. જે મતદારોની ફરિયાદોને ધ્યાને રાખીને તેનું નિવારણ કરે છે. આ ફરિયાદો કરવા માટે 1950 અને 1800 233 2367થી બે હેલ્પ લાઈન નંબર શરૂ કરવામાં આવી છે. આ સાથે જ સીવિજીલ એપ પણ શરૂ કરવામાં આવી છે. આ બંને નંબર પર નવા ચૂંટણી કાર્ડ, સરનામું બદલવા સહિતના સુધારા તેમજ આચાર સહિતા ભંગની ફરિયાદ માટે મતદારો કોલ કરે છે.
ભાવનગરમાં ભાજપ નેતા પરશોત્તમ સોલંકીએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પરષોત્તમ સોલંકીએ કોંગ્રેસના શક્તિસિંહ ગોહીલનું નામ લઈને કહ્યું કે, "આ લોકોએ અમને હેરાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું, હું મુંબઈથી ભાવનગર આવ્યો એટલે આ લોકોને ભાગી જવું પડ્યું હતું. મારા આવવાથી શક્તિસિંહને કચ્છ જતા રહેવું પડ્યું હતું. 27 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત શક્તિસિંહનું નામ જાહેરમાં લીધું છે અને મારે જે કરવું હોય તે કરીને જ બતાવું છું."
CM ભુપેન્દ્ર પટેલે ગુરુકુળથી ભવ્ય રોડ શોનો પ્રારંભ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા છે. આ રોડ શો જયંત પાર્ક, ન્યુ નિકિતા પાર્ક, સત્તાધાર ચાર રસ્તા, ગુલાબ ટાવર રોડ, અજંતા ઇલોર એપાર્ટમેન્ટ, ઇન્દ્રપ્રસ્થ ટાવર પાસે, ગાંઠિયા રથ થઇને સમભાવ પ્રેસ રોડ, મધરડેરી ચાર રસ્તા, કલગી ચાર રસ્તા, જ્યુપીટર ટાવર, NFD સર્કલ સુધી થશે.
Gujarat Election 2022 :અમદાવાદમાં CM ભુપેન્દ્ર પટેલનો રોડ શો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/fYvKSWh3TF
— Tv9 Gujarati (@tv9gujarati) November 26, 2022
લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સજ્જ છે. વડોદરામાં ચૂંટણી પંચ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોના ઘરે જઈને મતદાન કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરની પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં 100થી વધુ મત એકત્ર કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ આ કાર્યવહી કરવામાં આવી રહી છે. જેમાં પોલિંગ સ્ટાફ, પોલીસ સુરક્ષા સાથે મતદારના ઘરે જઇ બેલેટ પેપર આપીને મતદાન કરાવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો. બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરવાનાં કાર્યક્રમમાં વિરોધ જોવા મળ્યો. ભાજપ નેતાઓ દલિત સમાજના રોષનો ભોગ બન્યાં હતા. વજુભાઈ વાળાએ રાજકોટની સભામાં ઉચ્ચારેલા શબ્દોને લઈ રોષ ફેલાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપનાં નેતાઓ દેખાડા માટે બાબાસાહેબને ફૂલહાર કરતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.
અમિત શાહે ભાવનગરના તળાજામાં સભા સંબોધતા કહ્યુ કે, પહેલા પાણીની ખૂબ જ સમસ્યા હતી. જો કે નરેન્દ્ર મોદીની સરકાર આવતા જ 24 કલાક વીજળી અને પાણીની સુવિધા મળતી થઇ છે. ભાજપે દોઢ લાખ કરતા વધારે ચેકડેમ બનાવી ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે તેવી સુવિધા કરી છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસે સરદાર સરોવર યોજનાને રોકી રાખી હતી. પણ નરેન્દ્ર મોદી ઉપવાસ પર બેસી ગયા તેથી ગુજરાતની જનતાને નર્મદાનું પાણી હાલ મળી રહી છે.
ભાજપે ચૂંટણી માટે જાહેર કરેલા સંકલ્પપત્રને લઇને ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. ભાજપના નેતા ચૈતન્ય શંભુ મહારાજે આ સંકલ્પપત્ર સમગ્ર ગુજરાતના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું. બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ ભાજપના સંકલ્પ પત્રને છેતરપિંડીનો દસ્તાવેજ ગણાવ્યો. તેમણે કહ્યું કે ભાજપે સંકલ્પ પત્ર સાથે તેમણે છેલ્લા 27 વર્ષમાં શું કર્યું એ પણ જાહેર કરવાની જરૂર હતી.
ગીર સોમનાથની ભૂમિ પરથી યુપીના મુખ્યપ્રધાને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જયાં યોગી આદિત્યનાથે જાહેર સભાને સંબોધતા કેજરીવાલને નમૂના કહી આતંકીઓ સાથે સરખાવ્યા હતા અને કહ્યું, આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ છે. આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિત ન કરાય. કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસે હંમેશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યુ છે. આંબેડકરને સન્માન આપવાના બદલે હરાવવાનું કામ કર્યું છે. તો સરદાર પટેલને પણ કયારેય સન્માન આપ્યું નથી. વધુમાં તે પણ કહ્યું, મુસ્લિમોના મતો માટે કોંગ્રેસે હિન્દુઓને પણ માન આપ્યું નથી.
ગીર સોમનાથમાં યોગી આદિત્યનાથે AAP અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. સભામાં યુપીના CMએ અરવિંદ કેજરીવાલને નમૂના કહ્યા. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ છે. આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિત કરાય ?. તો કોંગ્રેસ પર પ્રહરા કરતા કહ્યું કે,કોંગ્રેસે હંમેશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યુ છે. આંબેડકરને સન્માન આપવાના બદલે હરાવવાનું કામ કોંગ્રેસે કર્યુ.કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી.
અમરેલીના જાફરાબાદમાં ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. તેમણે બંને પાર્ટીઓને ગુજરાત વિરોધી ગણાવી. અમિત શાહે મેધા પાટકર મુદ્દે રાહુલ ગાંધી અને કેજરીવાલને ઘેર્યા. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ગુજરાતના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે. તેઓ પોતાની યાત્રામાં મેધા પાટકરને સાથે લઈને ચાલે છે. જ્યારે અરવિંદ કેજરીવાલે તો ગુજરાત વિરોધી મેધા પાટકરને ચૂંટણીની ટિકિટ પણ આપી હતી. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર વિરોધી મેધા પાટકરને પ્રજા ક્યારેય માફ નહીં કરે.
તો વધુમાં અમિત શાહે કહ્યું કે, ગુજરાતમાં શાંતિ અને સલામતી લાવવાનું કામ ભાજપ સરકારે કર્યું. ભાજપ સરકારે સમગ્ર ગુજરાતમાંથી માફિયાઓને સાફ કર્યા. હવે ગુજરાતમાં એક જ દાદા છે અને તે છે હનુમાન દાદા.તો વધુમાં કહ્યું કે, નર્મદા યોજનાના કારણે સમગ્ર ગુજરાતમાં પાણી પહોંચ્યુ છે.
અમરેલીના જાફરાબાદમાં સંબોધન કરતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, 1 તારીખનું મતદાન ભારતને સુરક્ષિત બનાવવાનું હશે. તમારો એક મત માત્ર 2022 નહીં, પરંતુ 2024 જીતાડવાનો મત હશે. તો વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી આવ્યા તે પહેલા સૌરાષ્ટ્રમાં ક્યાંય 24 કલાક વીજળી આવતી નહોતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં કાયદા- વ્યવસ્થાની પરિસ્થિતિ પહેલા કેવી હતી તે સૌ કોઈ જાણે છે.
પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 1 ડિસેમ્બરે રાજકોટમાં મતદાન યોજાવાનું છે. જેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. શહેરના અલગ અલગ મતદાન મથકોની બહાર કામગીરી શરૂ કરાઈ છે. રસ્તા પર 100 મીટર અને 200 મીટરના માર્કિંગ કરાયા છે. ચૂંટણી પંચના નિયમો હેઠળ કામગીરી થઈ રહી છે. 200 મીટરની બહાર કોઈપણ રાજકીય પક્ષ ટેબલ નાખી શકાય નહીં. મતદાનના દિવસે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે કામગીરી હાથ ધરાઈ છે. રાજકીય પક્ષોની સાથે સરકારી વિભાગો દ્વારા પણ અલગ અલગ કામગીરી હાથ ધરાઈ છે.
2017ના સંકલ્પ પત્રમાંથી ભાજપનો દાવો છે કે 70 ટકા વાયદા પૂર્ણ થયા. ભાજપના દાવા પર નજર કરીએ તો ખેડૂતોની આવક બમણી થઇ, દૂધ ઉત્પાદન ક્ષેત્રે પશુપાલકોને પ્રોત્સાહન મળ્યું, શ્રમ રોજગાર સ્ટાર્ટ અપને વેગ મળ્યો, યુવાનોને સરકારી વિભાગોમાં નોકરી આપી, આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી સ્થાપવામાં આવી, ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો આધુનિક બનાવ્યા, શહેરો અને ગામડાનો વિકાસ કર્યો અને દરેક ઘરમાં નળથી જળનો વાયદો પૂર્ણ કર્યો. તો કયા વાયદા અધુરા રહ્યા તેના પર નજર કરીએ તો વિધવા પેન્શન યોજનાનો સંકલ્પ, વિધવા બહેનોના ખાતામાં સહાય, વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણ માટે સહાય, સ્વનિર્ભર શાળા ફી નિયંત્રણ વિધેયકનો વાયદો, સ્વાસ્થ્ય ક્ષેત્રે મોબાઈલ ક્લિનિકનો મુદ્દો, 255 સરકારી લેબ સ્થાપનાનો વાયદો,ગામડાઓમાં પાકા રસ્તા અને ઘરનો વાયદો અને આદિવાસીઓના વિકાસનો વાયદો અધુરો છે.
ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે, ગુજરાત રાજકીય પરિવર્તનની ગંગોત્રી છે. આ સંકલ્પ પત્ર દસ્તાવેજ નથી. જે કહ્યું એ કર્યું છે, જે કહેશે એ કરવાની ભારતીય જનતા પાર્ટીમાં તાકાત છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોને રીઝવવા ભાજપે મુખ્યત્વે સંકલ્પપત્રમાં 30 વાયદાઓ આપ્યા છે.
ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. તેમાં નીચે મુજબના વાયદાઓ કરવામાં આવ્યા છે.
ભાજપના મેનિફેસ્ટો કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ભાજપનું સંકલ્પ માત્ર ચૂંટણીના વાયદા નથી. જે કહેવુ તે કરવુ એ ભાજપની કાર્યપધ્ધતિ છે. વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત હંમેશા નંબર વન રહ્યું છે. આજે ગુજરાતની કલ્યાણકારની નિતીઓ હવે બીજા રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવી રહી છે.
ભાજપના ચૂંટણી ઢંઢેરા દરમિયાન ભાજપ રાષ્ટ્રીય જે. પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા છે. સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે, ભાજપ લોકોની અપેક્ષા પૂર્ણ કરતી પાર્ટી છે. અલગ-અલગ માધ્યમો દ્વારા સૂચનો મગાવવામાં આવ્યા હતા. ગુજરાતના લોકોએ સુચવેલા સુચનોનો દસ્તાવેજ છે અમારો સંકલ્પ પત્ર. તો વધુમાં કહ્યું કે, ભાજપે અત્યાર સુધી તમામ સંકલ્પો પૂર્ણ કર્યા છે.
2017ના સંકલ્પ પત્રમાંથી ભાજપનો દાવો છે કે 70 ટકા વાયદા પૂર્ણ થયા. ભાજપના દાવા પર નજર કરીએ તો ખેડૂતોની આવક બમણી થઇ, દૂધ ઉત્પાદન ક્ષેત્રે પશુપાલકોને પ્રોત્સાહન મળ્યુ, શ્રમ રોજગાર સ્ટાર્ટ અપને વેગ મળ્યો, યુવાનોને સરકારી વિભાગોમાં નોકરી આપી, આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી સ્થાપવામાં આવી, ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો આધુનિક બનાવ્યા,શહેરો અને ગામડાનો વિકાસ કર્યો અને દરેક ઘરમાં નળથી જળનો વાયદો પૂર્ણ કર્યો.
ગુજરાતની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં ઠેર ઠેર ઉમેદવારોનો વિરોધ જોવા મળી રહ્યો છે. અમરેલીના કાગદડી અને ખાંભાના દાઢીયાળી ગામમાં ધારી બેઠકના ઉમેદવાર જે.વી. કાકડીયાનો વિરોધ થતાં તેઓ સભા અધુરી છોડીને નીકળી ગયા. બીજી તરફ જામનગરના કાલાવડમાં વોર્ડ નંબર 6ના કોંગ્રેસના કોર્પોરેટર સદામ બારાડી અને લઘુમતિ સમાજના 500 કાર્યકરો ભાજપમાં જોડાયા. તો નવસારીના બિલિમોરા પાલિકાના અપક્ષ સભ્ય સહિત 150થી વધુ કાર્યકરોએ પણ કેસરિયો ધારણ કર્યો. બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ સહિત 4 હોદ્દેદારોને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરાયા. તો પાટણના સિદ્ધપુરમાં પણ ભાજપના 5 નેતાઓને કોંગ્રેસનો પ્રચાર કરવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે.
વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષો મતદારોનો મત જીતવા એડીચોડીનું જોર કરી રહ્યા છે. PM મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે પ્રચારની કમાન સંભાળી છે.અમિત શાહ આજે 5 મેરેથોન સભા યોજશે. સવારે 11.00 કલાકે તેઓ જાફરાબાદમાં સભા સંબોધશે. બપોરે 1 કલાકે ભાવનગરના તળાજા. બપોરે અઢી વાગ્યે મહુવા.જ્યારે સાંજે સાડા પાંચ વાગ્યે વડોદરામાં સભા ગજવશે.અમિત શાહ રાત્રે અમદાવાદના પ્રહલાદનગરમાં જાહેરસભાને સંબોધન કરી મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે.
Published On - Nov 26,2022 10:10 AM