Election 2022: કોંગ્રેસનો હાથ છોડીને આવેલા હર્ષદ રીબડિયા કરશે કેસરિયા, સમર્થકો સાથે આવતીકાલે ભાજપમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુુ આપનારા હર્ષદ રીબડિયા આવતીકાલે ભાજપમાં જોડાશે. તો બીજી તરફ કોંગ્રેસના સુખરામ રાઠવાએ કહ્યું હતું કે કોઈના જવાથી ફરક નથી પડતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુુ આપનારા હર્ષદ રીબડિયા આવતીકાલે ભાજપમાં જોડાશે. ગત રોજ તેમણે વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું અને વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ધારાસભ્યના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ચૂંટણી પહેલા હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો થરૂ થઈ હતી. હર્ષદ રિબડિયાએ (Harshad Ribadia) રાજીનામુ આપ્યા બાદ જણાવ્યું હતું કે મેં ગદ્દારી નથી કરી, કોંગ્રેસ (Congress) દિશાહિન પક્ષ બની ગયો છે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે.
તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. પાટીદાર સમાજના નેતા રિબડિયા 2017 માં કોંગ્રેસની ટિકિટ પર પટેલ સમુદાયના પ્રભુત્વવાળી બેઠક પરથી ચૂંટાયા હતા. રિબડિયા છેલ્લા સાડા ચાર વર્ષથી ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારની હંમેશા ટીકા કરતા જોવા મળ્યા હતા. જોકે હવે તેમણે ચૂંટણી આવતા પહેલા ભાજપનો સાથ લીધો છે ત્યારે જોવું રહ્યું કે ભાજપ તેમને ચૂંટણીમાં ક્યાંથી ટિકીટ આપે છે.
કમલમ ખાતે આવતીકાલે મોટી સંખ્યામાં સમર્થકો સાથે કેસરિયા કરશે
હર્ષદ રિબડીયાએ ભાજપમાં જોડાવાનું નક્કી કરતા જૂનાગઢના કોંગ્રેસ કાર્યકર્તાઓએ હર્ષદ રિબડિયા ગદ્દાર હોવાનું લખાણ લખીને તેમનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ સુખરામ રાઠવાએ કહ્યું કોઈના જવાથી ફરક નથી પડતો. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના રાજીનામા પર કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ભાજપ પાસે સારા ચહેરા ન હોવાથી અમારા નેતાઓને તોડે છે.
જો કે કોંગ્રેસ વિશાળ પક્ષ હોવાથી કોઈના જવાથી કંઈ અટકવાનું નથી અમે ચિંતન કરીને આગામી ચૂંટણીમાં તમામ ધારાસભ્યોને ટિકિટ મળે તેવા પ્રયાસ કરીશું. નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિવિધ પક્ષમાંથી રાજીનામા પડવાની અને જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
દરમિયાન ભાજપ પણ અનૂસૂચિત જાતિની વોટ બેંક અંકે કરવા માટે આદિવાસી વિસ્તારમાં ભાજપ યાત્રા કાઢશે. કુલ 27 આદિવાસી બેઠકો માટે ભાજપ યાત્રાનું આયોજન કરશે. આ યાત્રાનો પ્રારંભ 12 ઓક્ટોબરે ઉનાઈથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે.પી. નડ્ડા કરાવશે અને 10 દિવસમાં 1067 કીમીની યાત્રા અંબાજીથી ઉમરગામ સુધી ફરશે. હાલમાં ભાજપ પાસે 27 આદિવાસી બેઠકોમાંથી 11 બેઠકો છે.